PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે થયેલી તાજેતરની ચર્ચાએ લાંબા સમયથી અટકેલા ભારત–અમેરિકા વેપાર સોદા માટે નવા માર્ગ ખોલ્યા છે. બંને નેતાઓ વચ્ચેની વાતચીત માત્ર પોઝિટિવ વાતાવરણ જ નથી દેખાતું, પરંતુ એ પણ દર્શાવે છે કે બંને દેશો લાંબા સમયથી અટકેલા મુદ્દાઓ પર આગળ વધવા માટે ગંભીરતાથી તૈયાર છે. વેપાર કરાર ઘણા મહિનાઓથી અટકેલો હતો, પરંતુ તાજેતરમાં થયેલી વાટાઘાટો અને અમેરિકન અધિકારીઓના નિવેદનોને કારણે હવે આ સોદો પહેલાં કરતાં વધુ નજીક માનવામાં આવી રહ્યો છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતો કહે છે કે પહેલો તબક્કો સૌથી મહત્વનો બનશે, કારણ કે તેમાં ભારત માટે અત્યંત લાભદાયી બે ફેરફારો શક્ય છે પ્રથમ, રશિયન તેલ પર લાગતી 25 ટકા પેનલ્ટી ટેરિફ દૂર થઈ શકે છે, અને બીજું, ભારત પણ અમેરિકાની સામે લાદેલી પોતાની પ્રતિશોધાત્મક ડ્યુટી ઘટાડીને લગભગ 15–16 ટકાની આસપાસ લાવી શકે છે. જો આવું બને તો બંને દેશો માટે મોટી સફળતા ગણાશે અને આ સોદાના આગળ વધવા માટે મજબૂત પાયા તૈયાર થશે.
લાંબા ગાળાના સંબંધ
PM મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેમની વાતચીત દરમિયાન બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરી અને વેપાર, ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા સંમત થયા. આ દર્શાવે છે કે સંબંધો માત્ર વેપાર સીમિત નથી, પરંતુ લાંબા ગાળાના વ્યાપક સહકાર તરફ આગળ વધી રહ્યા છે. તેમ છતાં, કેટલાક મુદ્દાઓ હજુ પડકારરૂપ છે.
કૃષિ ક્ષેત્રમાં મોટો વિવાદ
કૃષિ ક્ષેત્ર સૌથી મોટો વિવાદ બની રહ્યો છે, ખાસ કરીને અમેરિકાની માંગ છે કે ભારત ડેરી, માંસ અને મરઘાં ઉત્પાદનો માટેના તેમના પ્રમાણપત્રોને સ્વીકારી લે, જે ભારત માટે ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણે સંવેદનશીલ વિષય છે. ડિજિટલ વેપાર પણ એક મોટો તણાવનું કારણ છે, કારણ કે અમેરિકા ઈચ્છે છે કે ભારત ઈ-કોમર્સ માટેના તેના નિયમોમાં મોટા ફેરફાર કરે અને માર્કેટપ્લેસ મોડલથી દૂર જઈને ઇન્વેન્ટરી આધારિત મોડલ અપનાવે.
સફળ અને ટકાઉ બની શકે
નિષ્ણાતોના મત મુજબ, સોદો હવે પહેલાં કરતાં વધુ નજીક લાગતો હોવા છતાં તે ત્યારે જ સફળ અને ટકાઉ બની શકે જ્યારે તે બંને દેશો માટે ન્યાયી અને સંતુલિત રહેશે. ભારતના વાણિજ્ય મંત્રી પણ સમાન અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. હવે જોવાનું એ છે કે મોદી–ટ્રમ્પ વચ્ચેની આ સકારાત્મક વાતચીત આગામી અઠવાડિયામાં સોદાના વાસ્તવિક પ્રગતિમાં કેટલો ફેરફાર લાવે છે.


