ભારતનો વિકાસ દર 6.3 ટકા રહેવાનો વર્લ્ડ બેંકનો અંદાજ
વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે ભારત તરફી વર્લ્ડ બેંકનો વિશ્વાસ યથાવત્
Updated: Oct 3rd, 2023
નવી દિલ્હી, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર
આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા વર્લ્ડ બેંકે (World Bank) ભારત અંગે મહત્વનો રિપોર્ટ જાહેર કર્યો છે. વર્લ્ડ બેંકે નાણાંકીય વર્ષ 2023-2024 અંગે ભારત માટે સારા સમાચાર આપ્યા છે. વર્લ્ડ બેંકે 2023-24માં ભારતનો વિકાસ દર (Growth rate of India) 6.3 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. વૈશ્વિક સમસ્યાઓ છતાં ભારતીય અર્થતંત્ર (India Economy) પર વર્લ્ડ બેંકે વિશ્વાસ કાયમ રાખ્યો છે. વર્લ્ડ બેંકે આજે એટલે કે 3જી એક્ટોબર-2023ના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ભારતીય અર્થતંત્રની હરણફાળ ગતિ અંગેનો અહેવાલ રજુ કર્યો છે.
2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 6.4 ટકા રહેવાનો અંદાજ
વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્રનો વિકાસ દર આગામી 2 વર્ષની અંદર એટલે કે 2023-24માં 6.4 ટકા રહેવાનો તેમજ 2024-25માં 6.5 ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ દેશનું સર્વિસ સેક્ટર (Service Sector) ઊંચી ઉડાન ભરશે અને તે 7.4 ટકાના વિકાસ દરે આગળ વધી શકે છે.
નબળા ચોમાસાના કારણે ભારતીય અર્થતંત્રને આંશિક અસર
ભારતમાં ગત 5 વર્ષના મુકાબલે આ વર્ષે ચોમાસા (Monsoon)ની સ્થિતિ નબળી રહી હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે, જેના કારણે એગ્રીકલ્ચર સેક્ટર (Agriculture Sector) પર ખરાબ પ્રભાવ પડ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાદ્ય ફુગાવો (Food Inflation)માં વધારો થયો છે. જોકે વર્લ્ડ બેંકે આવનારા કેટલાક મહિનાઓમાં ખાદ્ય ફુગાવામાં ઘટાડો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.8 ટકા નોંધાયો
ભારતના પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ)ના ડેટા જાહેર થયા બાદ વર્લ્ડ બેંકનો રિપોર્ટ સામે આવ્યો છે. સરકારના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્રનો વિકાસ દર વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 7.8 ટકાની ઝડપી ગતિએ આગળ વધી રહ્યો હતો, જોકે અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ વિકાસ દર 7.7 ટકાથી વધુ હતો, જે રિઝર્વ બેંકના 8 ટકાના અનુમાનથી ઓછો હતો.
દરમિયાન વર્લ્ડ બેંકના નવા રિપોર્ટમાં ભારતીય અર્થતંત્રના વિકાસ દર અંગેનું અનુમાન રિઝર્વ બેંક (RBI)ના અંદાજથી 20 બેસિસ પોઈન્ટ ઓછું છે.