- મહિલાઓમાં ફેફસાંના કેન્સરમાં ધૂમ્રપાન અને ગ્રામ્ય વિસ્તારમાં ચૂલા પર રસોઈને લીધે થતો ધુમાડો પણ કારણભૂત
- 90 ટકા દર્દીઓમાં સ્મોકિંગ મુખ્ય કારણ, દેશમાં ફેફસાંના કેન્સરમાં મૃત્યુદર 80 ટકા
- 50થી 80 વર્ષની વયના લોકોએ લો ડોઝ સિટી સ્કેન કરાવવો હિતાવહ
પહેલી ઓગસ્ટે ‘વર્લ્ડ લંગ કેન્સર ડે’ છે. સામાન્ય રીતે ફેફસાંના કેન્સરનું મુખ્ય કારણ ધુમ્રપાન છે. 90 ટકા ફેફસાંના કેન્સરના કેસ સ્મોકિંગને લીધે થાય છે, તમાકુ-ધુમ્રપાનના સેવનને લીધે ફેફસાંના કેન્સરની શક્યતા 25 ગણી વધી જતી હોય છે,
આસપાસની વ્યક્તિમાં પણ ધુમાડાની અસરને લીધે વિશ્વમાં વર્ષે અંદાજિત 13 લાખ જેટલા લોકોનાં મોત થઈ રહ્યા છે. અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ)માં છેલ્લે વર્ષ 2023ના અરસામાં ફેફસાંના કેન્સરના કુલ 953 દર્દી સારવાર માટે આવ્યા છે, જે પૈકી 745 પુરુષો એટલે કે 78 ટકા અને 208 મહિલા એટલે કે 21.83 ટકા મહિલા દર્દીને સારવાર આપવામાં આવી છે. વર્ષ 2019થી 2023 એમ છેલ્લા પાંચ વર્ષમાં જીસીઆરઆઈમાં ફેફસાંના કેન્સરના 4660 કેસ નોંધાયા છે, જેમાં 82.42 ટકા પુરુષો એટલે કે 3841 પુરુષ દર્દી અને 17.58 ટકા મહિલા એટલે કે 819 મહિલા દર્દીએ સારવાર લીધી છે.
મહિલાઓમાં ફેફસાંના કેન્સરમાં ધુમ્રપાન ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ચૂલા પર રસોઈને લીધે થતો ધુમાડો પણ કારણભૂત મનાય છે. જીસીઆરઆઈના ડાયરેક્ટર ડો. શશાંક પંડયા અને ડો. આનંદ શાહે જણાવ્યું હતું કે, દેશમાં ફેફસાંના કેન્સરમાં મૃત્યુદર 80 ટકા આસપાસ છે. ધુમ્રપાનની ટેવ હોય, 50થી 80 વર્ષની વય હોય તેવી વ્યક્તિએ લો ડોઝ સિટી સ્કેન કરાવવો હિતાવહ છે. તબીબોનું કહેવું છે કે, નોન-સ્મોકર્સમાં પણ ફેફસાંના કેસ સામે આવતાં હોય છે, જે ચિંતાજનક છે. સતત ખાંસી આવે, ઊંડો શ્વાસ લેવામાં કે ખાંસીના કારણે છાતીના ભાગે દુઃખાવો વધી જવો, અવાજ બેસી જવો, વગર કોઈ કારણે વજન ઘટે, ખોરાક ઓછો થાય કે ભૂખ ના લાગે, ખાંસી ખાતી વખતે ગળફામાંથી લોહી નીકળે, શ્વાસ ચઢે એ કેન્સરના લક્ષણ છે. આ સંજોગોમાં તકેદારી રાખી તબીબી સલાહ-સારવાર લેવી જોઈએ.
61થી 65 વર્ષના સૌથી વધુ 20% દર્દી
અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં 26થી 30 વર્ષની વયના પાંચ વર્ષમાં 43 દર્દી નોંધાયા હતા, 31થી 35 વર્ષ વાળા 65 અને 36થી 40 વર્ષના 134 દર્દીએ લંગ કેન્સરની સારવાર લીધી હતી. સૌથી વધુ 61થી 65 વર્ષના 928 એટલે કે 19.91 ટકા દર્દી નોંધાયા હતા.


