મંગળવારે ગાઝા ક્ષેત્રમાં ઇઝરાયેલ દ્વારા કરાયેલા હવાઇ હુમલાઓમાં ઓછામાં ઓછા 23 પેલેસ્ટેનિયનોના મોત થયા છે
સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઇઝરાયેલી સેનાએ સાથે જ ગાઝાના આ વિસ્તારોમાં રહેતા હજારો લોકોને તાકીદે વિસ્તાર ખાલી કરી દેવાના આદેશ પણ આપ્યા હતા. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે બે મહિના સુધી ચાલેલી યુદ્ધવિરામ સંધી તૂટી પડયા બાદ ગત સપ્તાહે ઇઝરાયેલ દ્વારા શરુ કરવામાં આવેલા ભીષણ હુમલાઓમાં હજુ સુધીમાં લગભગ 700 લોકોના મોત થયા છે અને મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે. પેલેસ્ટેનિયન આરોગ્ય અધિકારીઓના અનુસાર ઇઝરાયેલ તરફથી થયેલા હુમલાઓને કારણે ગાઝામાં પ્રવર્તમાન માનવીય સંકટ વધુ ઘેરું બન્યું છે. મંગળવારે ઇઝરાયેલી સેનાએ ઉત્તરી સરહદે આવેલા શહેરો અને નગરોના લોકોને વિસ્તારને ખાલી કરી દેવા જણાવ્યું હતું. તેણે પેલેસ્ટાઇન તરફથી થઇ રહેલા રોકેટ મારાને ટાંકીને આ આદેશ આપ્યા હતા.
હમાસ પર દબાણ લાવવા હુમલા :
ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે વેગવંતુ બનાવાયેલું સૈન્ય અભિયાન ચલાવવા પાછળનો આશય હાલ હમાસના કબ્જામાં રહેલા બાકીના 59 બંધકોને મુક્ત કરવા માટે તેની પર દબાણ લાવવા માટેનો છે. આ 59 બંધકો પૈકી હાલ 24 બંધકો હજુ પણ જીવિત હોવાનું મનાઇ રહ્યું છે. બીજી તરફ હમાસે કહ્યું હતું કે તે કતર, ઇજિપ્ત અને અમેરિકા દ્વારા કરાઇ રહેલા મધ્યસ્થી નવા પ્રયાસોમાં સામેલ થઇ રહ્યું છે.
.


