વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે આની જાહેરાત કરી છે. પીએમ મોદી 12 માર્ચે પોર્ટ લુઈસ જશે.રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. મોરેશિયસના વડા પ્રધાન રામગુલામે શુક્રવારે નેશનલ એસેમ્બલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે, “આ આપણા દેશ માટે ખરેખર એક વિશેષ સન્માનની વાત છે કે આટલા વ્યસ્ત કાર્યક્રમ (વડાપ્રધાન મોદીના) હોવા છતાં, અમને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વને હોસ્ટ કરવાની તક મળશે.”
અમારા માટે ગર્વની વાત- પીએમ નવીન રંગૂલમ
મોરેશિયસ દર વર્ષે 12 માર્ચે પોતાનો રાષ્ટ્રીય દિવસ ઉજવે છે. તેને 12 માર્ચ, 1968ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. રામગુલામે કહ્યું, “આપણા દેશની આઝાદીની 57મી વર્ષગાંઠની ઉજવણીના સંદર્ભમાં, મને ગૃહને જણાવતા અત્યંત આનંદ થાય છે કે મારા આમંત્રણ પર, ભારતના વડા પ્રધાન મહામહિમ નરેન્દ્ર મોદી અમારા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનવા માટે સંમત થયા છે.”
ભારત-મોરેશિયસ સંબંધો વધુ મજબૂત બનશે
મોરેશિયસના વડાપ્રધાન રામગુલામે કહ્યું કે પીએમ મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરશે. તેમણે ભારતીય નેતાના વ્યસ્ત કાર્યક્રમને પ્રકાશિત કરવા માટે મોદીની પેરિસ અને યુએસની તાજેતરની મુલાકાતોનો પણ ઉલ્લેખ કર્યો. રામગુલામે કહ્યું, “વડાપ્રધાન મોદીની મુલાકાત આપણા બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનો પુરાવો છે, ગયા વર્ષે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.”


