- અમારી પ્રાર્થનાઓ આ દુ:ખદ ઘટનાના પીડિતો સાથે છે
- પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ
- મુશ્કેલ સમયમાં અમે ભારતના લોકોની સાથે છીએઃ બાઈડેન
યુએસ પ્રમુખ જો બાઈડેને ગુરુવારે કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલને લઈને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સેનાના સભ્યો અને કર્મચારીઓની બહાદુરીની પણ પ્રશંસા કરી હતી. જેમણે જટિલ બચાવ કામગીરી હાથ ધરી હતી. વાયનાડમાં મંગળવારે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 190 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાટમાળ હટાવ્યા બાદ આ સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા છે.
શું કહ્યું બાઈડેને
રાષ્ટ્રપતિ બાઈડેને એક નિવેદનમાં કહ્યું કે જીલ (અમેરિકાની પ્રથમ મહિલા) અને હું ભારતના કેરળ રાજ્યમાં વિનાશક ભૂસ્ખલનથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારી પ્રાર્થનાઓ આ દુ:ખદ ઘટનાના પીડિતો સાથે છે અને અમે તેમના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે અમે જટિલ બચાવ કામગીરીમાં મદદ કરનાર ભારતીય સેવા સભ્યો અને પ્રથમ પ્રતિભાવ આપનારાઓની બહાદુરીની પ્રશંસા કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે ભારતના લોકોની સાથે છીએ.
ભૂસ્ખલનથી હજારો લોકો વિસ્થાપિત
મળતી માહિતિ અનુસાર જિલ્લાના 9,328 લોકોને 91 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આમાંથી 578 પરિવારોના 2,328 લોકોને જેઓ ચુરલમાલા અને મેપ્પડીમાં ભૂસ્ખલનને કારણે વિસ્થાપિત થયા હતા તેમને નવ રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
રાહુલ-પ્રિયંકાએ મુલાકાત લીધી હતી
મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા નેતાઓએ વિસ્થાપિત લોકોને મળ્યા અને તેમની સાથે એકતા વ્યક્ત કરી. વિજયને અહીં સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું કે વાયનાડ દુર્ઘટનાના પીડિતોને બચાવવાની પ્રથમ પ્રાથમિકતા છે. વિજયને કહ્યું કે ગુમ થયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવા માટે આપત્તિ પ્રભાવિત વિસ્તાર અને નદીમાં શોધ ચાલુ રહેશે.


