અમેરિકામાંથી ગેરકાયદે ઇમિગ્રાન્ટ્સને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસરના માર્ગો મારફત અમેરિકામાં ઘૂસેલા 332 ભારતીયોને ડિપોર્ટ કરીને અલગ અલગ તારીખોએ ભારતમાં મોકલવામાં આવ્યા છે.
અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા આ લોકોમાં સૌથી વધારે 128 લોકો પંજાબના છે. જો કે આ બધા વચ્ચે જે સમાચાર આવી રહ્યા છે તેને પરિણામે અમેરિકામાં વસી રહેલાં અન્ય લાખો ભારતીયોની સાથે દેશમાં રહેતાં તેમના પરિવારના લોકોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે. લેટેસ્ટ અહેવાલો અનુસાર હવે 100 કે 200 કે 500 નહીં પરંતુ 14 લાખ પંજાબીઓ પર ડિપોર્ટેશનની તલવાર લટકી ગઈ છે. ટ્રમ્પ સરકારે એક અસાધારણ પગલાં તરીકે 20 ઇમિગ્રેશન જજિસને કોઈપણ નોટિસ આપ્યા વગર જ પાણીચું પકડાવી દીધું છે. ટ્રમ્પના આ નિર્ણયથી એવા 35 લાખ લોકોની ચિંતામાં વધારો થયો છે કે જેમણે શરણાર્થી તરીકે અમેરિકામાં રહેવા અરજી કરી હતી. હવે જજિસને દૂર કરવામાં આવતાં અમેરિકામાં કાયદેસર થવા માંગતા લોકોના કેસીસ પર અસાધારણ વિલંબ થવાની સંભાવના છે. આના પગલે અમેરિકામાં ઘણા લાંબા સમયથી વસવાટ કરી રહેલાં લગભગ 14 લાખ પંજાબી મૂળના લોકો પર ડિપોર્ટેશનનો ભય ઊભો થયો છે.
લગભગ 40 ટકા પડતર કેસો પંજાબ લોકોના
અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટની સિસ્ટમ પહેલેથી જ અસંખ્ય પડતર કેસના ભારે બોજ હેઠળ દબાયેલી છે અને તેના કારણે કાનૂની પ્રક્રિયામાં વર્ષોથી વિલંબ થઈ રહ્યો છે. પડતર કેસીસમાં લગભગ 40 ટકા કેસીસ પંજાબ મૂળના લોકોના છે. તેથી જો કેસીસ વધારે સમય સુધી લટકતાં રહેશે તો તેમને પણ ડિપોર્ટ કરવામાં આવી શકે છે.


