સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11માં વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર સુજીત કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકારો સાથે વાત કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, યોગને વૈશ્વિક ઓળખ મળી છે. જેના પગલે દર વર્ષે યોગ દિવસની ઊજવણી કરવામાં આવે છે.
યોગ દિવસની ભવ્ય ઉજવણી
જિલ્લા કલેકટરે યોગ દિવસની ઉજવણી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં જિલ્લા કક્ષાની ઉજવણી એસ.જી.વી.પી. ગુરુકુળ, છારોડી ખાતે કરવામાં આવશે. જેમાં બે હજારથી વધુ લોકો સહભાગી થવાના છે. અમદાવાદ જિલ્લામાં કુલ 1464 સ્થળો પર યોગનો કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે સવા ત્રણ લાખ લોકો યોગ કરશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ યોગ દિવસની થીમ, ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ (‘Yoga for One Earth One Health) અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુકત ગુજરાત’ પર યોગાસન કરવામાં આવશે. કલેક્ટરે વધુમાં કહ્યુ હતુ કે, યોગ થકી જાહેર સુખાકારી વધારવાનો ઉદ્દેશ છે. લોકો સ્વેચ્છાએ યોગને પોતાની જીવનશૈલીમાં સામેલ કરે અને નિરામય બની રહે, એવી આશા છે.
કાર્યક્રમોની યાદી
કલેક્ટર સુજીત કુમારે વધુમાં જણાવ્યું હતું કે, યોગ પ્રોટોકોલ પ્રમાણે સવારે 5-45 કલાકથી 8-00 કલાક સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 6-20થી 7-00 વાગ્યા સુધી મહાનુભાવોનાં વક્તવ્યો થશે અને ત્યાર બાદ 7-00 કલાક થી 7-45 દરમિયાન કૉમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે. અને ત્યાર બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થશે. કલેકટરે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો કોઈ પણ પ્રકારે ભંગ ન થાય, તેની સંપૂર્ણ કાળજી યોગ દિવસની ઉજવણીમાં લેવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.
લોથલ ખાતે પણ યોગ દિવસની ઉજવણી
જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટે માહિતી આપી હતી કે. અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા યોગ દિવસની ઉજવણીનું ખાસ આયોજન કરાયું છે. જેમાં સ્થાનિક લોકો, યુવાનો અને પોલીસ જોડાશે. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત તારીખ 15મી જૂનથી 21 જૂન દરમિયાન શાળાનાં બાળકો તથા યુવાનો સાથે યોગ સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા સાથે યોગાભ્યાસ ઉપરાંત ચિત્રસ્પર્ધા, વક્તૃત્વસ્પર્ધા, નિબંધ-લેખન સ્પર્ધા, રંગોળી સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિના પ્રયાસો કરાઈ રહ્યાં છે. જિલ્લામાં વાલીઓ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલાં મહત્ત્વપૂર્ણ સ્થળો પર યોગને પ્રોત્સાહન આપવા માટે સેલ્ફી પોઇન્ટ્સ બનાવવાનું પણ આયોજન છે.