- મા જગદંબાએ સતત નવ દિવસ સુધી મહિષાસુર સામે યુદ્ધ કર્યું અને અંતમાં મહિષાસુરનો વધ કર્યો. આ નવ દિવસ એટલે આસો નવરાત્રિ પર્વ
આસો સુદ-1થી આસો સુદ-9 સુધીના પવિત્ર દિવસોને આસો નવરાત્રિ તરીકે ઓળખાય છે. વર્ષભરમાં કુલ 4 વાર નવરાત્રિ પર્વ આવે છે. મહા અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ પર્વ કહેવાય છે. આ નવરાત્રિ ગૂઢ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ મનાય છે. જ્યારે ચૈત્ર અને આસો માસની નવરાત્રિ મહાપર્વ કહેવાય છે.ખાસ કરીને આ શરદઋતુમાં માનવ કે પ્રાણી અનેક પ્રકારનાં કષ્ટોથી, બીમારીથી પીડાય છે. માટે તમામ કષ્ટો અને પીડાથી મુક્ત થવા શાસ્ત્રમાં મા જગદંબાની ઉપાસના વિશેષ બતાવી છે.
નવરાત્રિ પર્વમાં મા જગદંબાની
ઉપાસનાનું રહસ્ય અને મહત્ત્વ
- મા જગદંબા આપણી બુદ્ધિનાં અધિષ્ઠાત્રી દેવી છે. અંતર્યામી સ્વરૂપે સર્વ માનવ-પ્રાણીઓમાં વસી રહ્યાં છે. જીવનનાં તમામ સંકટમાં આપણી રક્ષા કરનાર છે. મા જગદંબા મૂળ પ્રકૃતિ છે. તેમના સત્ પ્રયાસથી આ જગતની ઉત્પત્તિ થઈ છે, આ જગત ટકી રહ્યું છે અને અંતે સંહાર પણ મા જગદંબાથી જ છે. માટે આ પુનિત પર્વમાં કષ્ટ અને સંકટ દૂર કરવા માની ઉપાસના કરવી જોઈએ.
- મા જગદંબા પોતે જ બોલ્યાં છે કે શરદ ઋતુની નવરાત્રિમાં જે માનવ પૂર્ણ ભક્તિથી, ભાવથી, શ્રદ્ધાથી મારું પૂજન કરશે, મારી ઉપાસના કરશે તો તે મારી અવિરત કૃપાથી તમામ બંધનોમાંથી મુક્ત થઈ, ધનધાન્ય, પુત્રલાભ અને સંપત્તિથી સંપન્ન થઈ જાય છે. (આ વાત મા જગદંબાએ ચંડીપાઠના અધ્યાય 12માં 12 અને 13મા શ્લોકમાં કહી છે.)
- આ સંસારની મૂળ સ્થિતિ મા આદ્યશક્તિ છે. આ સંસાર જે ગતિથી ચાલે છે. સંસારમાં જે શક્તિ છે, વિશ્વમાં જે યંત્રો ચાલી રહ્યાં છે તે શક્તિ, વિશ્વ જેના વડે ટકી રહ્યું છે તે પાણી-પવન-ઊર્જા, પ્રકાશ આ તમામ શક્તિ મા જગદંબા જ છે. ટૂંકમાં, સંસારની અવિરત ગતિમાં જે શક્તિ છે તે મા જગદંબા છે. આ શક્તિનો સંચાર સતત વૃદ્ધિ પામતો રહે તે માટે, માનવમાં જે શક્તિ છે તે શક્તિ સતત ક્રિયાશીલ રહે તે માટે આ નવરાત્રિ પર્વમાં માનવે મા જગદંબાની ઉપાસના કરીને દિવ્ય શક્તિ મેળવી લેવા તક ઝડપી લેવી જોઈએ.
- આ જગતનાં નૈતિક મૂલ્યોને ટકાવી રાખવાં ખૂબ જરૂરી છે. આ સારાં નૈતિક મૂલ્યો ટકાવી રાખવા, તેનું અસ્તિત્વ ટકાવી રાખવા સાધના-ઉપાસના કે તપ જરૂરી છે. કોઈ પણ માનવ આ પર્વમાં સતત સાધના, ઉપાસના અને તપ જાળવી રાખશે તો ચોક્કસપણે આ વિશ્વમાં નૈતિક મૂલ્યો ટકી રહેશે અને અનૈતિક મૂલ્યો સામે માનવ રક્ષણ મેળવી શકશે. માટે આ શારદીય નવરાત્રિ પર્વમાં અચૂકપણે મા જગદંબાની ઉપાસના કરવી જોઈએ.
- આ જગતમાં કષ્ટ પીડા દૂર કનાર, સંકટ દૂર કરનાર, ગ્રહપીડા દૂર કરનાર અનૈતિક મૂલ્યોનો નાશ કરનાર જો કોઈ હોય તો તે મા જગદંબા છે.
મા જગદંબાનું અવતરણ માનવરક્ષણ માટે થયું
આસો નવરાત્રિ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે તે અનુસાર, મહિષાસુર નામના અસુરે પોતાની પ્રભાવી આસુરી શક્તિથી તમામ દેવોને હરાવી ઈન્દ્રાસન છીનવી લીધું હતું. દેવો તથા મનુષ્યને ત્રાહિમામ્ પોકારતા કરી દીધા હતા. દિવ્ય વિચારો નાશ પામવા લાગ્યા હતા. દિવ્ય શક્તિ પણ નાશ પામવા લાગી હતી. આ સમયે ત્રસ્ત લોકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા અને એ સમયે તમામ દેવોનાં શરીરમાંથી અનેક પ્રકારનાં તેજ બહાર નીકળ્યાં આ તમામ તેજ ભેગું થઈ અને એક દિવ્ય તેજપુંજ બન્યો. તમામ શક્તિઓ ભેગી થઈ એક દિવ્ય શક્તિ ઉદ્ભવી એ જ શક્તિ મા જગદંબા. તમામ દેવોએ મા જગદંબાને પોતપોતાનાં દિવ્ય શસ્ત્રો ભેટ કર્યાં અને એ રીતે મા જગદંબાએ આ શસ્ત્રો અને આયુધો વડે સતત નવ દિવસ સુધી મહિષાસુર સામે યુદ્ધ કર્યું અને અંતમાં મહિષાસુરનો વધ કર્યો. આ નવ દિવસ એટલે આસો નવરાત્રિ પર્વ.
મા જગદંબાએ બીજી વખત શુંભ અને નિશુંભ નામના દૈત્યનો નાશ કરવા અવતાર લીધો. પૂર્વકાળમાં શુંભ નિશુંભ નામના બે ભાઈઓ અસુરોએ ઈન્દ્રાસન પડાવી લીધું ત્યારે દેવોએ મા જગદંબાએ આપેલા વચન મુજબ હિમાલય જઈને સ્તુતિ કરી. મા પાર્વતી પ્રસન્ન થયાં અને મા પાર્વતીમાંથી મા અંબિકા કૌશિકી ઉત્પન્ન થયાં. શુંભ-નિશુંભ મા જગદંબાનું રૂપ જોઈ ખૂબ જ પ્રભાવિત થયા. તેની સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મૂક્યો. આ રીતે આ અસુરો દિવ્ય શક્તિને પોતાની કામવાસનાનું રૂપ બનાવવા માગતા હતા. તે સમયે આ સ્વરૂપે અનેક સમય સુધી યુદ્ધ કરી બંને શુંભ-નિશુંભનો નાશ કર્યો. (આ બંને અવતારની વાત ચંડીપાઠમાં આવે છે.)
ત્રીજું અવતરણ દુર્ગમ નામના અસુરને મારવા માટે કર્યું. આ દુર્ગમ અસુર બ્રહ્માજીનો ઉપાસક હતો. તેણે કઠોર તપ કરીને અનેક વરદાનો મેળવ્યાં. અંતમાં બ્રહ્માજીના વેદો પણ ચોરી લીધા. સમગ્ર સૃષ્ટિ ઉપર કાળો કેર વર્તાવ્યો. દુષ્કાળ કરી મૂક્યો. એ સમયે મા જગદંબાએ અવતાર લઈ દુર્ગમ અસુરનો નાશ કરી સૃષ્ટિને પાપવિહોણી બનાવી ને ફરીથી દિવ્ય શક્તિનો સંચાર કર્યો. (આ કથા શિવપુરાણમાં છે.) માટે જ આત્મરક્ષણ માટે આ પવિત્ર પર્વમાં આદ્યશક્તિની ઉપાસનાની તક ઝડપીને આત્મકલ્યાણ મેળવી લેવું જોઈએ.
આત્મકલ્યાણ, આત્મરક્ષણ માટે કરો ઉપાસના
આપણી સંસ્કૃતિમાં સાધના અને ભગવદ્ ભક્તિના અનેક માર્ગ છે. ખાસ કરીને મા જગદંબા અને આપણી વચ્ચેનું અંતર સતત ઘટતું રહે તે માટે સાધના-ઉપાસના, મંત્રજાપ જરૂરી છે. આ કળિયુગમાં માનવની, સાધકની આયુષ્ય અને શક્તિ બંને સીમિત છે તથા ધર્મ પ્રત્યે આસ્થા પણ ઓછી છે. આવા સંજોગોમાં દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે કઠોર તપ-યજ્ઞ વગેરે સંભવ નથી. તેવા સંજોગોમાં સદાશિવ દ્વારા બતાવેલો એકમાત્ર સરળ માર્ગ મા જગદંબાની ઉપાસના છે. આ ઉપાસના અનેક રીતે
થઈ શકે.
મા જગદંબાને પ્રસન્ન કરવાં હોય તો આટલું કરો
નવરાત્રિ પર્વ દરમિયાન ઘરમાં પૂજાસ્થાનમાં બાજઠ ઉપર મગનું આસન કરી તેના ઉપર મા જગદંબાની અષ્ટ ભુજા છબિનું સ્થાપન કરવું. કાણાંવાળો કોરેલો ગરબો પધરાવવો. સવાર-સાંજ નવરાત્રિ દરમિયાન ગરબામાં દીપ પ્રગટાવી પવિત્ર ગૂગળ-ચંદન-કપૂરનો ધૂપ કરીને ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચૈના અવિરત મંત્રજાપ કરી શકાય. આ મંત્રમાં ત્રણેય મુખ્ય દેવીની ઉપાસના આવી જાય છે. મા કાલી (પાર્વતી)મા લક્ષ્મીજી અને મા સરસ્વતીની એકસાથે ઉપાસના કરવાનો અમૂલ્ય મંત્ર છે.
- દુર્ગા સપ્તશતિ (ચંડીપાઠ)ના તેર અધ્યાયનું નિત્ય પઠન કરવાથી મા જગદંબા ખૂબ જ પ્રસન્ન થઈ માનવની મનોકામના પૂર્ણ કરે છે.
- શ્રી યંત્ર સિદ્ધ કરવા માટેનો આ ઉત્તમ સમય છે. આ સમયમાં દૂધ, મલાઈ, મધ, કેસર, ગંગાજળ મિશ્રિત પંચામૃત બનાવી શ્રી સુક્તની ઋચાઓ ગાતાં ગાતાં શ્રી યંત્ર પર અભિષેક કરવાથી શ્રી યંત્ર સિદ્ધ થાય છે. મા લક્ષ્મીની આજીવન કૃપા સાધક પર વરસે છે.
- આ ઉપરાંત દુર્ગા સપ્તશતિમાં માની પ્રસન્નતા માટે તેમજ અમૂલ્ય દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવા માટે અમૂલ્ય સ્તોત્ર બતાવાયા છે. નવરાત્રિ પર્વ દરમિયાન આ દેવી સ્તોત્ર જેવા કે, સપ્તશ્લોકી દુર્ગા સ્તોત્ર, અર્ગલા સ્તોત્ર, શ્રી દુર્ગા અષ્ટોતર શતનામ સ્તોત્ર, દેવી કવચ સ્તોત્ર, રાત્રિસુક્ત, દુર્ગા બત્રીસી નામમાળા અને અતિ પવિત્ર એવા સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ માનવને ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરે છે. અતિ તેજસ્વી દિવ્ય શક્તિ ઉપાસકને મળે છે. માનવના વિચારમાં નિર્મળતા, દિવ્યતા અને ન્યાયિક લાગણી ઉદ્ભવે છે.
આત્મકલ્યાણ માટે, આત્મરક્ષણ માટે, પરિવારનાં સુખ-સમૃદ્ધિ માટે, અલૌકિક શક્તિ પ્રાપ્ત કરવા માટે આ નવરાત્રિ પર્વમાં માતા જગદંબાની ઉપાસના ખાસ કરવી જોઈએ.