દિલ્હીમાં શાળાઓ બંધ છે, બાંધકામ બંધ કરી દેવાયું છે અને વાયુ પ્રદૂષણનું સ્તર જોખમી સ્તરથી ઉપર જતું રહ્યું છે ત્યારે હવે ત્યાં રમાનારી ક્રિકેટ મેચ થાય તો કદાચ સૌનું ધ્યાન પડે કે…
દિલ્હી રાજધાની છે અને મોટા ભાગની ટીવી ચેનલ્સ અહીંથી ચાલે છે એટલે અહીંના વાયુ પ્રદૂષણના દૃશ્યો દર્શકોને જોવા મળતા રહે છે. પણ એ તો વર્ષોથી ચાલે છે. તેનાથી કંઈ ફરક પડતો નથી. પેલું જોણું પણ સૌ રસપ્રદ રીતે જુએ છે. પંજાબ અને હરિયાણામાં ખેડૂતો પરાળી બાળવા માટે આગ લગાવે ત્યારે એક સાથે ચારે બાજુ આગને કારણે સેટેલાઇટ્સ તેના ફોટા પાડે છે. લાલ લાલ ટપકાં તરીકે તે નકશામાં ફરી દેખાય છે. મૂળ તો પ્લેન્ટ પર મોટી ફાયર લાગે ત્યારે તેની નોંધ સેટેલાઇટ્સ લે છે તે જંગલોમાં લાગતા દવ માટે છે.
પરાળી બાળવાને કારણે દિલ્હી સુધી પ્રદૂષણ પહોંચે છે એ વાત સાચી, પણ હકીકત એ છે કે દિલ્હી મહાનગર છે અને તેની પોતાની સમસ્યાઓ છે. વાહનોનું પ્રદૂષણ પણ એટલું જ છે. તેમાં આ બહારથી આવતું પ્રદૂષણ ભળે છે. દિલ્હીને જંગી પ્રમાણમાં વીજળી જોઈએ. તેના કોલસાના વીજમથકો પાદરમાં જ આવેલા છે. તેમાંથી પણ મોટા પાયે ધૂમાડો છૂટે છે. સમસ્યા એટલી જંગી છે કે અનેક ઉપાયો છતાં તેમાં ઘટાડો થઈ રહ્યો નથી. ઇલેક્ટ્રિક બસો અને વાહનોની સંખ્યા વધી રહી છે. ગ્રીન એનર્જી માટે ભરચક પ્રયાસો થઈ રહ્યા છે અને પરાળી બાળતા રોકવા માટે અનેક યોજનાઓ પણ જાહેર થઈ છે.
આમ છતાં તેનાથી ફાયદો થતો નથી, કેમ કે સમસ્યા જંગી છે. પણ કેટલી જંગી છે તેનો અંદાજ તેની ચિંતા પરથી આવતો નથી. ઠીક છે શિયાળામાં થોડા દિવસ ધૂમ્મસ વધી જાય છે એટલી આ સામાન્ય વાત નથી. તેના કારણે અસ્થમાના દર્દીઓની હાલત ખરાબ થઈ જાય છે. ખાસ કરીને બાળકોની હાલત ખરાબ થાય છે. તેમના ગળા ખરાબ થઈ જાય છે અને નાની ઉંમરે અસ્થમા થવા લાગે છે. તેનાથી સમસ્યા તરફ વધારે લોકોનું ધ્યાન જવા લાગ્યું છે.
તેના કારણે થોડી જાગૃતિ આવી છે અને વાલીઓને સાથે રાખીને શાળામાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે નાગરિકોની ભાગીદારીની ચર્ચાઓ થાય છે. પણ આ મુદ્દે માત્ર દિલ્હીમાં નહીં, માત્ર જેમના પરિવારમાં અસ્થમાની બીમારી આવી હોય ત્યાં નહીં, સમગ્રી રીતે ચિંતા કરવા જેવી છે. અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં અને ભરૂચ-અંકલેશ્વર અને વાપી-વલસાડના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એર પોલ્યૂશન એક સમસ્યા તરીકે હાજર જ છે. રાજકોટ અને જામનગર જેવા શહેરોમાં આવતીકાલે તે સમસ્યા આવી શકે છે.
સમસ્યાનો ઉકેલ આવે પણ ત્યાં સુધીમાં એક કે બે પેઢીને હાની થઈ ચૂકી હોય છે. એટલે નાગરિકોમાં જો આ સમસ્યાને ગંભીર ગણવામાં આવે તો થોડો ફેર પડે. લોકલાગણી હોય તેની જડ નેતાઓ પણ અવગણના કરતા નથી. લોકોને ગમે તેવું કરવાની તેમને ઈચ્છા હોય છે. એટલે મતદારો અને નાગરિકોએ પોતાની અસલ સમસ્યા શું છે તે સમજવું જોઈએ. તે દૂર કરો એવી અમારી લોકલાગણી છે એવો મેસેજ આપવો જોઈએ. તો કામ ફટાફટ થાય.