ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી
હાઈકોર્ટ સુધી પહોંચેલા કેસમાં કોર્ટ બહાર સમાધાન; ગ્રાહક દંપતીને આશરે 89 લાખ રૂપિયાનું વળતર ચૂકવાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની ઇન્ડિયન બેંકમાં ગીરવે મૂકેલા સોનાના દાગીના ગુમ થવાના ચકચારભર્યા બનાવમાં આખરે બેંકે પોતાની બેદરકારી સ્વીકારી ગ્રાહક દંપતીને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી કાનૂની લડત બાદ મામલો કોર્ટ બહાર સમાધાનથી પૂર્ણ થતાં બેંકે ગ્રાહકોને સોનાની કિંમતના આધારે મોટી રકમ ચુકવવાની તૈયારી દર્શાવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના જનકલ્યાણ સોસાયટી વિસ્તારમાં રહેતા સંગીતાબેન શાહ અને શ્યામભાઈ શાહે વર્ષ 2023માં ઇન્ડિયન બેંકની રાજકોટ મુખ્ય શાખામાંથી ગોલ્ડ લોન લીધી હતી. આ લોન માટે તેમણે આશરે 1004 ગ્રામ સોનાના ઘરેણાં તેમજ કિંમતી રત્નો બેંકમાં ગીરવે મૂક્યા હતા.
બાદમાં ઓક્ટોબર 2025માં દંપતી લોનનું રિન્યુઅલ કરવા બેંકમાં પહોંચ્યું ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે તેમના દાગીનાનું પેકેટ બેંકના લોકરમાંથી ગુમ થઈ ગયું છે. આ ખુલાસા બાદ દંપતી સ્તબ્ધ બની ગયું હતું. બેંક તરફથી સ્પષ્ટ જવાબ ન મળતા અને મામલે બેદરકારી સામે આવતા શાહ દંપતીએ અંતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
કોર્ટમાં ચાલેલી કાર્યવાહી દરમિયાન વધુ એક ગંભીર હકીકત સામે આવી હતી. બેંકને માર્ચ 2025માં આંતરિક ઓડિટ દરમિયાન જ દાગીના ગુમ થયાની જાણ થઈ ગઈ હતી, છતાં આ અંગે ગ્રાહકોને સમયસર જાણ કરવામાં આવી નહોતી. ઉલટાનું નવેમ્બર 2025 સુધી દંપતી પાસેથી નિયમિત વ્યાજ વસૂલાત ચાલુ રાખવામાં આવી હતી. આ ઉપરાંત બેંકે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ લાંબો સમય લીધો હતો.
હાઈકોર્ટમાં મામલો ગંભીર બનતાં અને કાયદાકીય દબાણ વધતાં ઇન્ડિયન બેંકે અંતે સત્તાવાર રીતે પોતાની ભૂલ સ્વીકારી સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. બેંક દ્વારા શાહ દંપતીને કુલ રૂ.1,32,52,746નું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. આ રકમમાંથી લોનની બાકી મુદ્દલ રકમ કપાત કર્યા બાદ દંપતીને આશરે રૂ.89,36,746 નેટ ચુકવવામાં આવશે.
આ સાથે જ બેંકે નવેમ્બર 2025 પછી વસૂલાયેલ વ્યાજ અને પેનલ્ટી ચાર્જ પણ પરત આપવાનો નિર્ણય કર્યો છે. બેંકના જણાવ્યા મુજબ વળતરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને ગોલ્ડ લોન ખાતા બંધ કરી દેવામાં આવશે અને ગ્રાહકોના સિબિલ સ્કોર અથવા ક્રેડિટ હિસ્ટ્રી પર પડેલી નકારાત્મક અસરને પણ સુધારી દેવામાં આવશે.
આ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી પણ મોડે શરૂ થઈ હતી. દાગીના ગુમ થયાની ઘટના બાદ લગભગ છ મહિના પછી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ અગાઉ શાહ દંપતીએ પોલીસને અરજી આપી હોવા છતાં શરૂઆતમાં ગંભીરતા દાખવાઈ નહોતી. બાદમાં મામલો ચગતા બેંક અધિકારીની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ કેસમાં તે સમયના આસિસ્ટન્ટ બેંક મેનેજર શ્રુતિ દિવાકર શખારે અને વિષ્ણુ નારાયણ એલાય સામે આરોપ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
બેંકની કસ્ટડીમાં રાખેલા દાગીનાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરનાર આ કેસમાં ગ્રાહક દંપતીની લાંબી લડત બાદ અંતે ન્યાય મળ્યો છે અને બેંકને પોતાની બેદરકારી બદલ મોટું વળતર ચૂકવવાની ફરજ પડી છે.


