- વાહનચાલકો સ્થળ પર દંડ ભરી શકશે
- 135 દિવસમાં ચલણ નહીં ભરનારને સજા
- RTOમાં કોઈપણ પ્રકારની કામગીરી નહિ
વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અંતર્ગત ઈ ચલણની અમલવારી ગુજરાતમાં 16 જાન્યુઆરી મંગળવારથી શરૂ કરવામાં આવી છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ઈ ચલણ મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનોના ઈ ચલણ જનરેટ કરવામાં સરળતા રહેશે.
આ એપ્લિકેશનથી સ્થળ પર ડોક્યુમેન્ટ વિના જ વાહનના રજીસ્ટ્રેશન નંબર પરથી ઈ-ચલણ જનરેટ કરી શકાશે. આ એપ્લિકેશન ઈ-ચલણ 90 દિવસોમાં નહિ ભરવામાં આવે તો સીધું જ ઈ-ચલણ કોર્ટમાં પહોંચી જશે. વર્ચ્યુઅલ કોર્ટમાંથી વાહન માલિકને ઈ-ચલણનો મેસેજ પણ પહોંચશે અને વર્ચ્યુઅલ કોર્ટના મેસેજ બાદ જો 45 દિવસમાં ઈ ચલણનો દંડ નહિ ભરાય તો વાહનચાલક સમક્ષ સમન્સ ઇસ્યુ કરવામાં આવશે.
આ સાથે જ જે ઈ-ચલણના દંડ નહિ ભરાયા હોય તેવા વાહનોના RTOમાં કોઈપણ પ્રકારની કામગીરી નહિ થઈ શકે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઇ-ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઇ-ચલણ આપશે. જેમાં વાહનચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે.
જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ફોન થકી પણ ભરી શકશે.આ એપ્લિકેશનના અમલથી વાહનચાલકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ ઇ-ચલણ આપવામાં આવશે અને વાહનચાલકો આ ચલણ સ્થળ પર પણ ભરી શકશે. આ સાથે 135 દિવસ સુધીમાં ચલણ નહીં ભરનાર વાહનચાલક સામે કોર્ટ કાર્યવાહી કરશે.


