3૭૦ની કલમ હટી ગઇ પરંતુ વતન પરત જવા ઇચ્છતા કાશ્મીરીઓની અરજ બહેરા કાને અથડાય છે
વતન ઝૂરાપો શું છે એ તો જેમણે વતન ઝૂરાપો ભોગવ્યો હોય તેને જ ખબર પડે. વિશ્વમાં સૌથી કમનસીબ જાતી યહુદીઓ કહેવાય છે. તેમને ભાગે પેઢીઓ દર પેઢી પોતાની માતૃભૂમિની તરસ રહી છે. વિશ્વમાં આવી જ એક જાતી છે. કમનસીબે તે ભારતમાં છે. કાશ્મીરી પંડિતોની. કાશ્મીરી પંડિતોએ ૧૯૮૯ના આતંકી નૃસંશ હત્યાકાંડ બાદ વતન છોડયુ હતુ. બલકે તેમને લાચારી સાથે વતન છોડવુ પડયુ હતું.ડર અને દહેશતના માહોલમાં છોડવુ પડ્યુ હતું. આજે આ ઘટનાને 3પ વરસના વહાણા વહી ગયા છે. છતાં કાશ્મીરી હતભાગી પરિવારોને તેમનું માદરે વતન નસીબ નથી થયુ. કમનસીબીની વાત એ છે કે કાશ્મીરમાં 3૭૦ની કલમ હટયા બાદ જે આશા બંધાઇ હતી તે પંડિતો માટે ઠગારી નિવડી છે. ૬૦ હજાર કાશ્મીરી પંડિત પરિવારો તેમનું સ્વર્ગ જેવુ વતન કાશ્મીર છોડી અન્યત્ર વસે છે. તેમના માટે આંદોલન ચલાવનાર અને તેમને આશા બંધાવનાર લોકો આજે અદ્રશ્ય થઇ ગયા છે. આજે કાશ્મીરીઓ પંડિતોને કાશ્મીરમાં પુન: વસવાટ કરવો છે. ઘરવાપસી કરવી છે. પરંતુ બહેરા તંત્રને કાને આ વાત અથડાતી નથી.
કાશ્મીરી પંડીતોને વતનમાં વસવાટ કરવા માટે ચાલતું આંદોલન એક આખી પેઢી સુધી ચાલ્યુ. આ પેઢી ખતમ થઇ ગઇ છે. પરંતુ તેમનો વતન ઝૂરાપો ખતમ નથી થયો. ૬૦ હજાર પંડિત પરિવારમાંથી ૪૧૯ પરિવારો તો એવા છે કે તેમને સરકારની મદદ વગર પણ વતન જવુ છે. તેમની અરજીઓ પાંચ પાંચ વરસથી તંત્રની ફાઇલમાં ધુળ ખાય છે. પરંતુ તેનો નિકાલ આવતો નથી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાશ્મીરી પંડિતોની હાલત ખુબ ખરાબ થઇ હતી. પરંતુ કાશ્મીરી પંડીતો સહિતના મુદે કેન્દ્રમાં ભાજપની સરકાર સતા ઉપર આવ્યા બાદ ફરી એક વખત કાશ્મીરી પંડિતોના જીવનમાં આશા બંધાણી. પરંતુ બબ્બે ટર્મ સુધી સતામાં રિપિટ થયા બાદ પણ વર્તમાન સરકાર કાશ્મીરી પંડીતોનો પુન: વસવાટ કરાવી શકી નથી. મજબુત સરકારની આ નબળાઇ વિષે પણ વિચાર કરવો જોઇએ.
ર૦ર૧ની સાલના ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરી પંડિતોએ ગૃહમંત્રાલયમાં અરજી કરી હતી. તેઓ પોતાની જીમ્મેદારી ઉપર સરકારની કોઇ સહાય વગર વતનમાં જવા ઇચ્છતા હતાં. ઘરવાપસી ઇચ્છતા હતાં. ૪૧૯ પરિવારોએ મરવુ પડે તો વતનની માટીમાં મરવુ એવી તૈયારી સાથે સરકારને અરજ કરી હતી. પરંતુ સરકારના બહેરા કાને આ અરજ સંભળાઇ નથી.
ર૦૧૯થી કાશ્મીરમાં લેફટનન્ટ ગવર્નરનું શાસન છે. એટલે કે કેન્દ્ર શાસિત શાસન છે. સરકારે લાખો કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યુ છે. ત્રણ વર્ષમાં કાશ્મીર બજેટ માટે 3.3૮ લાખ કરોડની ફાળવણી થઇ છે. પુન:વસન માટે આ બજેટના અઢી ટકા વાપરવાની જોગવાઇ છે. પરંતુ આ પૈસાની ફાળવણી પંડિતોના પુન:વસન માટે થઇ છે કે કેમ? થઇ નથી તો શા માટે નથી થઇ? તેનો તંત્ર કોઇ જવાબ આપતું નથી. જો નવી સરકારના દસ વર્ષના શાસન બાદ પણ કાશ્મીરી પંડિતોને ઘરવાપસી ન મળે તો પંડિતો માટે ગત સરકારો અને આ સરકાર વચ્ચે કોઇ ઝાઝો ફરક નહિ રહે. દેશવાસીઓએ પણ કાશ્મીરી પંડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. પરંતુ આ કમનસીબ પંડિતોના જીવનમાં ઘરવાપસીની એ સવાર કદી પડતી જ નથી. વો સુબહ કભી તો આયેગી….ની સ્થીતિમાં ૬૦ હજાર પંડિત પરિવારો વતન ઝુરાપો વેઠે છે.