ડર્ટી ડઝન ગ્રુપના મિત્રોની રૂંધાયેલાના અવાજે વિજયભાઈ રૂપાણીને શબ્દાંજલી અર્પણ
સ્વ.વિજયભાઈ રૂપાણી રાજકોટની સેવામાં સતત ચિંતન કર્યા કરતા
એમ્સ રાજકોટ,ફ્લાયઓવર બ્રિજ,ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના કાર્યોની ભેટ માટે રાજકોટ હમેશાં વિજયભાઈ રૂપાણીનું ઋણી રહેશે
અગ્ર ગુજરાત રાજકોટ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજકોટના પનોતા પુત્ર અને કાયમી CM કોમન મેન તરીકે રાજકોટની સેવામાં ચિંતન કરતા વિજયભાઈ રૂપાણીનું અકાળે દુઃખદ નિધન થયું છે.વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર વહેતા થતા જ સમગ્ર રાજ્ય અને રાજકોટ શોક મગ્ન થયું છે. વિજયભાઈ રૂપાણીના રાજકોટની સેવા પાછળના કાર્યોને હંમેશા યાદ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીના ડર્ટી ડઝન ગ્રુપના મિત્રોએ વિજયભાઈને રૂંધાયેલાના અવાજે અંતિમ શબ્દાંજલી પાઠવી છે. ગુજરાતના રાજકારણમાં એક અગ્રણી નામ એટલે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રમણીકલાલભાઈ રૂપાણી. તેમનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ મ્યાનમારના યાંગોનમાં એક જૈન વણિક પરિવારમાં થયો હતો. બર્મામાં રાજકીય અસ્થિરતાને કારણે તેમનો પરિવાર ૧૯૬૦માં ગુજરાતના રાજકોટ શહેરમાં સ્થળાંતર થયો હતો. તેમણે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી અને ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.વિજય રૂપાણીએ તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ વિદ્યાર્થી નેતા તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે કર્યો હતો.તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ જોડાયા અને ૧૯૭૧માં જનસંઘમાં સક્રિય થયા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના થઈ ત્યારથી જ તેઓ તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ૧૯૭૬માં કટોકટી દરમિયાન તેમને ૧૧ મહિના માટે જેલવાસ ભોગવ્યો હતો.
વિજય રૂપાણીના લગ્ન અંજલિબહેન સાથે થયા છે. જેઓ ભાજપ મહિલા પાંખના સભ્ય છે. આ દંપતીને એક પુત્ર, ઋષભ, અને એક પુત્રી, રાધિકા છે. તેમણે પોતાના સૌથી નાના પુત્ર પૂજીતને એક દુર્ઘટનામાં ગુમાવ્યા બાદ તેમની યાદમાં પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી છે.જે સામાજિક કાર્યોમાં સક્રિય છે. ૨૦૨૧માં તેમને ભારતના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન મળ્યું હતું.
રાજકોટ અને સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટી ભેટ એમ્સ રાજકોટ વિજયભાઈ રૂપાણીની દિવ્ય દ્રષ્ટિથી પ્રાપ્ત થઈ છે.વિજયભાઈ રૂપાણી સતત રાજકોટના વિકાસમાં ખંતપૂર્વક કાર્યરત રહેતા હતા.રાજકોટમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવામાં વિજયભાઈ રૂપાણીનો સિંહ ફાળો છે.સૌરાષ્ટ્રની પ્રજાને આરોગ્યમાં સર્વોત્તમ ઉત્કૃષ્ટ સારવાર અને નિદાન મળી રહે તે માટે એમ્સને રાજકોટ લઈ આવવા પાછળના અથાગ પ્રયત્નો વિજયભાઈ રૂપાણીએ કર્યા છે.એમ્સ રાજકોટની આજે સેવા સૌરાષ્ટ્ર સહિત જિલ્લાના લોકો લઈ રહ્યા છે.
એમ્સ રાજકોટ, ફ્લાયઓવર બ્રિજ, ઇન્ટરનેશનલ એરપોર્ટ વિજયભાઈ રૂપાણીની રાજકોટને ભેટ છે.
વિજયભાઈના સમયમાં તેઓના નિર્ણયના કારણે રાજકોટના MSME અને ફેક્ટરીઓને બળ પ્રોત્સાહન મળ્યું છે. વિજયભાઈ રૂપાણીના કરેલા કાર્યોનું રાજકોટ હંમેશા ઋણી રહેશે.
સગાભાઈ જેવો મિત્ર ગુમાવ્યો છે: જ્યોતીન્દ્ર મહેતા
ડર્ટી ડઝન ગ્રુપના જ્યોતીન્દ્ર મહેતા(મામા)એ “અગ્ર ગુજરાત”ને જણાવ્યું હતું કે,અમારા મિત્ર મંડળમાં વિજયભાઈની ખોટ કોઈ પૂરી કરી શકશે નહીં.અમે સગા ભાઈ જેવો મિત્ર ગુમાવ્યો છે.અમે લોકો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા હતા.ઇમરજન્સી વખતે જેલમાં પણ 11 મહિના સાથે રહ્યા હતા. બાદ જેલમાંથી એક બાદ એક અમે લોકો નીકળતા ગયા હતા.ત્યારે હું અને વિજયભાઈના મોટાભાઈ પ્રવીણ રૂપાણી સાથે છૂટ્યા હતા.ત્યારે વિજયભાઈ અમને કહ્યું હતું તમે બધાએ છૂટી જશો બાદમાં તમારી પથારી પર હું મોટું સિંહાસન બનાવીને ઊંઘીશ. જેલમાંથી વિજયભાઈ અમને એક પત્ર લખ્યો હતો.વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈમાં આરએસએસ સંઘના સંસ્કાર છે. રાજકોટનો આખો નકશો બદલાઈ જાય એવું કાર્ય વિજયભાઈ રૂપાણીએ કર્યું છે.દુનિયાભરના ફાસ્ટેસ ગ્રોઇંગ શહેરોમાં રાજકોટના નામની ગણના થવા લાગી છે.
ભગવાનને ડાહ્યા માણસની જરૂર હશે પરંતુ અન્યાય કર્યો છે વિજયભાઈની જરૂર અહીં હતી: રાજેન્દ્રસિંહ જાડેજા
ડર્ટી ડઝન ગ્રુપના રાજેન્દ્રસિંહ જાડેજાએ “અગ્ર ગુજરાત”ની વાતચીત દરમિયાન વિજયભાઈ રૂપાણીને ચોધાર આંસુ સાથે યાદ કરતા કહ્યું હતું કે,આ સમયે કશું જ સમજાઈ રહ્યું નથી.50 વર્ષના હજારો પ્રસંગ છે. વિજયભાઈને હવે ક્યાં લેવા જવા.ઉપર વાળાને ડાહ્યા માણસની જરૂર હશે પરંતુ અન્યાય કર્યો છે.વિજયભાઈની જરૂર અહીં હતી.હજારો પ્રસંગો છે પરંતુ કહી શકું એમ નથી.
મારી બાયપાસ સર્જરી સમયે વિજયભાઈએ ખૂબ ચિંતા કરી હતી: હરિશચંદ્રસિંહ જાડેજા
ડર્ટી ડઝન ગ્રુપના હરિશચંદ્રસિંહ જાડેજાએ “અગ્ર ગુજરાત”ને જણાવ્યું હતું કે,એક સારો મિત્ર ગુમાવ્યો છે.વિજયભાઈ રૂપાણીની કાયમ માટે ખોટ રહેશે.તેઓ સંગઠનના માણસ હતા. રાજકોટ માટે ખૂબ ચિંતિત રહેતા રાજકોટના વિકાસ માટે સતત પ્રયત્નો કરતા રહેતા હતા. નાનપણથી જ એબીવીપી, જનસંઘ કે જનતા દળમાં હોય ત્યાંથી આગળ વધ્યા કોર્પોરેટર, સ્ટેન્ડિંગ ચેરમેન, મંત્રી અને મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી તેઓએ રાજકોટની સેવા છોડી નહીં.નાના માણસોથી લઈ સૌ કોઈને સાથે રાખીને ચલતા એવી દિવ્યા આત્મા હતા.મુખ્યમંત્રી હોવા છતાં મિત્રો સાથે મિત્રની જેમ જ રહેતા હતા.વિજયભાઈ રૂપાણી મુઠ્ઠી ઉંચેરા માનવી હતા.મારી બાયપાસ સર્જરી સમયે વિજયભાઈએ મારી ખૂબ ચિંતા કરી હતી. મને અમદાવાદ લઈ ગયા હતા અને સર્જરી થયા બાદ હું ઘરે આવ્યો ત્યાં સુધી સતત મારી ખબર અંતર પૂછીને ચિંતા કરી હતી.અમૂલ્ય મિત્રોની ખોટ આજીવન રહેશે.
પાણીના એક ટીપા માટે વલખા મારતા રાજકોટને પાણીની સમસ્યા માંથી મુક્ત કરાવવામાં વિજયભાઈનો સિંહ ફાળો
રાજકોટમાં એક સમયે પાણી માટે પ્રજાએ વલખા મારવા પડતા હતા.રાજકોટએ પાણી માટે રમખાણો જોયેલા છે. પાણીના એક ટીપા માટે લોકો વલખા મારતા હતા. ઘરોમાં ટેન્કર મારફત પાણી પહોંચાડવામાં આવતું હતું. નાના મોટા તમામ પાત્રોમાં પાણી ભરવા પડતા એવો સમય હતો. વિજયભાઈએ સમયે ઇરીગેશન મિનિસ્ટર બન્યા હતા. ત્યારે વિજયભાઈએ કહ્યું હતું કે રાજકોટને પાણી વગર તરસ્યું રહેવા નહીં દવ. વિજયભાઈ કહેતા હતા ચિંતા કરતા નહી બધું પ્લાનિંગ થઈ ગયું છે. ત્યારબાદ ક્યારે રાજકોટમાં પાણીની તંગી પડી નથી. નર્મદાના નીર રાજકોટ સુધી લઈ આવવામાં આવ્યા. ઘણા કાર્યો કરવામાં આવ્યા હતા.પાણી સમસ્યાનું નિરાકરણ એ રાજકોટ માટે સૌથી મોટી ભેટ છે. વિજયભાઈએ પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની કેડી કંડારી હતી.
કોરોના કાળમાં વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની આત્મનિર્ભર લોનનું આયોજન કર્યું હતું
કોરોના કાળ સમયે લોકડાઉન પૂર્ણ થયા બાદ નાના માણસોને ધંધો ફરી શરૂ કરવો અશક્ય હતો. ત્યારે વિજયભાઈ રૂપાણીએ આવા નાના માણસોને રૂપિયા 1 લાખની લોન ફક્ત બે ટકા વ્યાજે સહકારી બેંકોમાંથી અપાવવાનું આયોજન કર્યું હતું. આ આયોજન આત્મનિર્ભર ગુજરાતની લોન તરીકે ઓળખાય છે.2 લાખ 50 હજાર લોકોને રૂ.2500 કરોડની લોન આપવી હતી. ગુજરાતભરના નાના ધંધાર્થીઓને ફરી બેઠા કર્યા હતા.
‘મન મસ્ત ફકીરી ધારી હૈ,બસ એક હિ ધૂન જય જય ભારત” ગીત વિજયભાઈ રૂપાણીનું પ્રિય હતું
વિજયભાઈ રૂપાણી આર.એસ.એસના જ્યોતીન્દ્રભાઈ મહેતા સહિતના મિત્રો સાથે મળે ત્યારે એક ગીત ખૂબ ગણગણતા હતા. ગીતના બોલ આ પ્રકારે છે.”મન મસ્ત ફકીરી ધારી હૈ,બસ એક હિ ધૂન જય જય ભારત”.
દેશભક્તિના ગીત ખૂબ ગાતા; છલોછલ દેશભક્તિ જોવા મળતી હતી.
વિજયભાઈ રૂપાણીના રાજકીય કારકિર્દીના મુખ્ય સોપાનો
. ૧૯૭૮-૧૯૮૧: RSSના પ્રચારક તરીકે કાર્ય કર્યું.
૧૯૮૭: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ બન્યા.
૧૯૮૮-૧૯૯૭: RMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી.
૧૯૯૬-૧૯૯૭: રાજકોટના મેયર તરીકે શહેરની સેવા કરી.
૧૯૯૮: ભાજપના ગુજરાત એકમના મહામંત્રી તરીકે સંગઠનમાં મહત્વનો ભાગ ભજવ્યો.
૨૦૦૬: ગુજરાત પ્રવાસનના અધ્યક્ષ બન્યા.
.૨૦૦૬-૨૦૧૨: રાજ્યસભાના સભ્ય તરીકે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.
૨૦૧૩: ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ બન્યા.
૨૦૧૪: રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી જીતીને ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો.
૨૦૧૪: આનંદીબેન પટેલની કેબિનેટમાં પરિવહન, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો.
ફેબ્રુઆરી ૨૦૧૬: ગુજરાત ભાજપ પ્રમુખ બન્યા.
૭ ઓગસ્ટ ૨૦૧૬: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
. ૨૦૧૭: રાજકોટ પશ્ચિમ મતવિસ્તાર જાળવી રાખી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા.
૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧: મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું.
ડર્ટી ડઝન ગ્રુપનાં કોણ કોણ હતા સભ્યો
અભયભાઈ ભારદ્વાજ. (દિવંગત)
જ્યોતીન્દ્રભાઈ મહેતા
મનસુરભાઈ જસદણવાલા
શૈલેષભાઈ વ્યાસ
હરિશચંદ્રસિંહ જાડેજા
લાલભાઈ આચાર્ય
મુકેશભાઈ મહેતા
રાજભા જાડેજા
વિજયભાઈ જોશી (દિવંગત)
વિક્રમભાઈ પાઠક
પ્રદીપભાઈ પાઠક
વિજયભાઈ રૂપાણી (દિવંગત)