ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટેનું સૌથી સુગમ સાધન દાયકાઓથી રહ્યું છે ત્યારે તેની ગતિ અને સજ્જતા બંનેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે
કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે આગામી દાયકા માટે મહત્ત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે, જેના ભાગરૂપે એક લાખ કરોડ રૂપિયાના ટેન્ડરો બહાર પાડીને નવી ટ્રેનો ખરીદવામાં આવશે. તમને યાદ હશે કે દર વર્ષે રેલવેનું બજેટ પણ એટલું જ ચર્ચાસ્પદ બનતું હતું. કયા વિસ્તારમાં નવી ટ્રેન શરૂ થઈ તેની જાહેરાત થતી અને તે સમાચારો બનતા હતા. લાંબા સમયથી માગણી હોય છતાં ટ્રેન ના મળે ત્યારે નિરાશા પણ થતી હતી. નવી ટ્રેનો શા માટે શરૂ નથી થતી તેનો અફસોસ યાત્રિકોને થતો, પણ તેનો જવાબ એટલો સહેલો નહોતો.
નવી ટ્રેનો તૈયાર કરવામાં ઓછી મુશ્કેલી હતી, મુખ્ય સમસ્યા હતી કે નવા પાટા તૈયાર નહોતા. એક જ ટ્રેક હોય ત્યારે તેના પર વચ્ચે અંતર રાખીને ટ્રેનોને દોડાવવી પડે. સાથે જ સામસામે ટ્રેનો આવી જાય ત્યારે વચ્ચે કોઈ એક સ્ટેશને લોકલ ટ્રેનને રોકવામાં આવે, જેથી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ શકે. તેના કારણે એક તબક્કે નવી ટ્રેનો વધારવાનું મુશ્કેલ બનવા લાગ્યું અને રેલવે મંત્રાલય માટે નવા ટ્રેક, ડબલિંગ અને હવે ઇલેક્ટ્રિફિકેશન અગત્યનું બન્યું હતું. રેલવે માટે આપણે અંગ્રેજોને યાદ કરીએ છીએ, પણ હવે ભારતની પોતાની યોજનાઓ એટલી મોટી થઈ ગઈ છે કે અંગ્રેજોને યાદ કરવાની જરૂર નથી. સૌ પ્રથમ કોંકણ રેલવે એક મોટો પ્રોજેક્ટ હતો, જેના દ્વારા મુંબઈથી વાયા ગોવા થઈને છેક દક્ષિણ ભારત સુધી વિંધ્ય પર્વતમાળાની ડાબી બાજુ અને દરિયાકિનારાની જમણી બાજુ આખી નવી જ ટ્રેન લાઈન નાખવામાં આવી હતી. તેના સફળ સંચાલક તરીકે શ્રીધરને પ્રસંશા મળી હતી. બાદમાં શ્રીધરને દિલ્હીમાં મેટ્રો ટ્રેનનું માળખું તૈયાર કર્યું, જે આજે પાટનગરની પ્રજા માટે સૌથી અગત્યનું બન્યું છે. ને હવે તૈયાર થઈ રહી છે બૂલેટ ટ્રેન, જે અમદાવાદ અને મુંબઈને જોડશે.
દરમિયાન નરેન્દ્ર મોદી સરકારમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો અને રેલવે બજેટ બંધ થયું. રેલવે બજેટને મુખ્ય બજેટમાં ભેળવી દેવાયું અને તેના કારણે નવી ટ્રેનો કે નવા ટ્રેકની જાહેરાત બહુ ધ્યાન ખેંચતા નહોતા. તેના બદલે સમગ્ર ધ્યાન હવે ટ્રેકનું નવિનીકરણ, ટ્રેકનું ડબલિંગ કરવા પર અપાયું હતું. એકની જગ્યાએ બે પાટા હોય તો સામસામી ટ્રેનો દોડી શકે. પ્રવાસ સુરક્ષિત પણ થઈ જાય અને ઝડપી પણ થાય. રાજકોટથી ટ્રેક ડબલિંગ આગળ વધીને દ્વારકા તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે ટ્રેન મુસાફરીમાં તેના ફાયદા સીધા દેખાઈ રહ્યા છે. ડબલ ટ્રેક થઈ જાય તેની સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ જાય છે. એટલે કે ડિઝલની જગ્યાએ ઇલેક્ટ્રિક લોકો દોડવા લાગ્યા છે. આ ઇલેક્ટ્રિફિકેશનને કારણે જ વંદે ભારત ટ્રેન શક્ય બની છે, કેમ કે તેમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો ઉપયોગ કરીને એન્જિન નહીં, પણ ડબ્બા પોતે પણ દોડી શકે.
મહેસાણાથી હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર. એટલે કે માલગાડી માટેના તદ્દન જુદા પાટા. ડબલ પાટા થઈ જાય અને વચ્ચે માલગાડી નડે જ નહીં તો પ્રવાસ કેટલો ઝડપી, સુરક્ષિત થઈ જાય તેટલું સમજી શકાય છે. તેનો અર્થ એ કે હવે ટ્રેનોની ઝડપ પણ વધારી શકાશે, ઝડપ વધવાથી ટ્રેનોની સંખ્યા પણ વધારી શકશે.
તેના કારણે જ કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના મહત્ત્વની બની જાય છે. આગામી દાયકામાં 3500થી વધુ નવી ટ્રેનો દોડતી કરવાની છે. જૂની ટ્રેનો પણ દૂર થશે અને 15 વર્ષ સુધીમાં 7થી 8 હજાર નવી ટ્રેનો દોડતી હશે. તે માટે ટ્રેનો બનાવતી (હવે ખાનગી સેક્ટર પણ તેમાં છે તે) કંપનીઓને એક લાખ કરોડના ટેન્ડરોનો લાભ મળવાનો છે. રેલવેનું બજેટ પણ હવે ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવા આવ્યું છે ત્યારે વધુ પેસેન્જર ટ્રેનો અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરમાં વધારે ગૂડ્ઝના વહનના કારણે આવક પણ વધશે. ટૂંકમાં પાયાનું કામ થઈ જવાના કારણે હવે ટ્રેનોની સંખ્યા, ટ્રેનોની સુવિધા વધશે અને હવાઈ પ્રવાસનની સાથે જેમને રેલ પ્રવાસ ગમે છે, તેમના માટે દોડતા ભારત પણ શક્ય બનશે.