સર્વ પાપહરા નૃણાં, ગર્ભવાસ નિકૃંતની।
વરુ થિન્યા વ્રતેનૈવ, માંધાતા સ્વર્ગતિં ગત।।
અર્થાત્ વરુથિની એકાદશી સર્વ પાપોને નષ્ટ કરે છે અને ગર્ભવાસના દુઃખમાંથી મુક્તિ અપાવે છે. રાજા માંધાતા વગેરે આ અનુપમ વ્રત કરીને સ્વર્ગના અધિકારી બન્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને વરુથિની એકાદશીનું માહાત્મ્ય વિગતે કહી સંભળાવે છે. આ વ્રતના આચરણથી સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે, પાપો બળીને ભસ્મ થઈ જાય છે. `આ વ્રત કરનારને દસ હજાર વર્ષ સુધી કરેલા તપ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. તેની ઈહલોક અને પરલોકની સર્વ એષણાઓ પરિપૂર્ણ થાય છે.
હે રાજન્! અશ્વદાન કરતાં ગજદાન શ્રેષ્ઠ ગણાય છે, ગજદાન કરતાં ભૂમિદાન મોટું છે, ભૂમિદાન કરતાં તલદાન મોટું છે, તલદાન કરતાં સુવર્ણદાન મોટું ગણાય છે અને સુવર્ણદાન કરતાં અન્નદાનનો મહિમા મોટો છે. અન્નદાનને શાસ્ત્રકારોએ શ્રેષ્ઠ દાન ગણ્યું છે. કન્યાદાન અન્નદાન તુલ્ય ગણાય છે.
આ સર્વ દાન કરતાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે. વરુથિની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય વિદ્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે. આ દિવસે ઉપવાસી રહીને વ્રત કરનાર વૈષ્ણવ સર્વ પાપથી મુક્ત થઈને વિષ્ણુલોકને પામે છે.
જે મનુષ્ય કન્યાવિક્રય કરીને દ્રવ્યોપાર્જન કરે છે, તે પ્રલય થાય ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. કન્યાનો પૈસો લેનાર બીજા જન્મે બિલાડીનો અવતાર ધારણ કરે છે. વરુથિની એકાદશીની વ્રતવિધિ આ પ્રમાણે છે.
એકાદશીના આગલા દિવસે અડદ, મસૂર, ચણા, કોદરા, મધ, બે વખતનું ભોજન, પારકું અનાજ, સ્ત્રીસમાગમ વગેરેનો ત્યાગ કરવો. વળી, એકાદશીના દિવસે પણ આ જ પ્રમાણે દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી. દિવસે નિદ્રા ન કરવી, પાનનું સેવન ન કરવું. પારકાની નિંદા ન કરવી. દુરાચારી વ્યક્તિ સાથે વિતંડાવાદ ન કરવો. બારસના દિવસે પણ ઉપરોક્ત દરેક વસ્તુઓ વર્જ્ય ગણવી.
રાત્રે જાગરણ કરી હરિકીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર પરમ ગતિને પામે છે અને તે યમરાજના ભયથી મુક્ત બને છે. તે અક્ષય ગતિને પામે છે.
જે વ્રતધારી વિષ્ણુપૂજન કરે છે અને આ વ્રતકથાનું શ્રવણ અને પઠન કરે છે, તેને સહસ્ત્ર ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પાપથી વિરક્ત થઈને વૈકુંઠમાં વંદનીય અને પૂજનીય બને છે. વરુથિની એકાદશીનું માહાત્મ્ય જેટલું આંકીએ તેટલું ઓછું છે.’