આપઘાતનું કારણ જાણવા પોલીસની તજવીજ : પરિવારમાં શોક છવાયો
વર્તમાન સમયમાં શિક્ષણને એક સ્પર્ધાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે અને તેમાં અવ્વલ આવવા માટે વિદ્યાર્થીઓને એકબીજાના હરીફ બનાવી દેવામાં આવ્યા છે. જેના કારણે માનસિક તણાવમાં રહેતા છાત્રો કયારેક જીંદગી જ હારી જતા હોય છે અને આપઘાત વ્હોરી લેતા હોય છે. સુરતમાં ધો.૧૨ સાયન્સની છાત્રાએ ગળેફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી લીધી હતી.
સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર ડીંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, આશાસ્પદ વિદ્યાર્થિનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.


