- વઢવાણની પીવીસી પાઈપ ફેક્ટરીમાં આગ
- આગમાં લાખોનું નુકસાન જવાની સંભાવના
- આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે એક પીવીસી પાઈપ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સંભવ છે. મોટા નુકસાનની શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ બનાવની વિગત પ્રમાણે વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી એક પીવીસી પાઈપની ફેક્ટરીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગે પછીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા હવામાં ચડ્યા હતા. મહત્વનું છે કે ફેક્ટરીમાં પીવીસી પાઈપનો મોટો જથ્થો પડ્યો હોઈ તેના દ્વારા આગ વધુ ફેલાઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ એક અનુમાન મુજબ આ આગ શોર્ટસર્કિટ થવાથી લાગી હોવાનું સંભવ છે.
જો કે મહત્વનું છે કે આ ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નોંધનીય છે કે આ આગ લાગવાની ઘટનામાં પીવીસી પાઈપનો મોટો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હોવાની સંભાવનાઓ છે. જેથી ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન જઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
હાલના સમયમાં જો કે ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવાઈ રહ્યો છે. જેથી લોકોએ ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જો કે હાલના મોટાભાગના બનાવોમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ લોકો માટે મોટી રાહતની વાત છે.