એક દિવસ એક વ્યક્તિ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે જ રસ્તાની બાજુમાં તેણે દોરડાથી બાંધેલા હાથીઓને જોયા. હાથીઓને જોતાંની સાથે જ તે અટકી ગયો. તેણે જોયું કે હાથીઓના આગળના પગમાં એક દોરડું જ બાંધેલું હતું. તેને આશ્ચર્ય થતું હતું કે હાથી જેવા વિશાળકાય પ્રાણીને બાંધવા માટે સાંકળને બદલે એકમાત્ર નાનકડું દોરડું બાંધ્યું હતું. જો હાથીઓ ઈચ્છે તો સાંકળને પણ તોડી દે, છતાં પણ તેઓ દોરડું તોડવાનો પ્રયત્ન કરવાને બદલે શાંતિથી જ ઊભા હતા. આ વ્યક્તિએ તે હાથીઓના મહાવતને પૂછ્યું કે, `આ શક્તિશાળી હાથીઓ આટલી શાંતિથી કેવી રીતે ઊભા રહ્યા છે? તેઓ આ દોરડું તોડી શકે તેમ હોવા છતાં પણ તોડવાનો પ્રયત્ન કેમ નથી કરતા?’
આ સાંભળી મહાવતે કહ્યું કે, `આ હાથીઓ જ્યારે નાના હોય છે ત્યારથી જ તેમને દોરડાથી બાંધવામાં આવે છે. તે સમયે મજબૂત દોરડાને તોડી શકવાની શક્તિ તેમનામાં હોતી નથી. તેઓના વારંવારના પ્રયત્ન પછી પણ દોરડું ન તૂટતાં તેમને ધીરે-ધીરે ખાતરી થઈ જાય છે કે તેઓ ક્યારેય આ દોરડાને તોડી શકશે નહીં. મોટા થાય ત્યારે પણ તેઓ એવું જ માને છે કે આ દોરડું તેમનાથી નહીં તૂટે અને તેઓ દોરડું તોડીને ભાગવાનો ક્યારેય પ્રયત્ન કરતાં નથી.’ આ વાત તે વ્યક્તિને આશ્ચર્ય પમાડે તેવી લાગી.
આ વ્યક્તિએ સંત સાથે આ વિષય પર ચર્ચા કરી ત્યારે સંતે કહ્યું, `આ જીવો પોતાનું બંધન તોડી શકતા નથી, કારણ કે તેઓ બંધન નહીં તોડી શકે તેની તેમને ખાતરી હોય છે. આ હાથીઓની જેમ જ આપણામાંથી કેટલાક લોકો પોતાની નિષ્ફળતાને કારણે ઘણીવાર એવું માની બેસે છે કે તેમને ક્યારેય સફળતા નહીં મળે અથવા તેઓ ચોક્કસ કામ નહીં જ કરી શકે. તેઓ પોતાની માનસિકતાને આ નકારાત્મક વિચારોના દોરડાથી બાંધીને આખી જિંદગી વિતાવે છે. મનુષ્યે સફળતા મેળવવા માટે ક્યારેય પ્રયત્ન કરવાનું છોડવું જોઈએ નહીં. સતત પ્રયત્ન કરવાથી સફળતા મળે જ છે. આ વાત મનુષ્યોએ કીડી પાસેથી શીખવી જોઈએ.’