ગંદા પાણી પ્રશ્ને લોકોએ કાઉન્સીલરના પતિ અને અધિકારીને રસ્તા ઉપર બંધક બનાવી રિમાન્ડ લીધી ! વાઇરલ વિડિયો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મતવિસ્તાર વારાણસીમાં તાજેતરમાં એક આઘાતજનક ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. વારાણસીના રસ્તા ઉપર ગંદા પાણીના ખાબોચિયનો સ્થાનિક કાઉન્સીલ કે અન્ય કોઇ સરકારી તંત્ર નિકાલ કરતું નહોતુ. લોકો અને સ્થાનિક વેપારીઓએ અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં એક પણ તંત્રએ લોકોની રજૂઆતને સાંભળી નહોતી. લોકરજૂઆતને ચણા મમરાની જેમ લીધી હતી.તંત્ર અને સ્થાનિક કાઉન્સીલરોની ઉપેક્ષાથી લોકો એટલાં ભડકયા કે એક દિવસ લોકોના ટોળાએ સ્થાનિક મહિલા કાઉન્સીલરના પતિને તેમના ઘેરથી લાવી ભર બજારે રસ્તા વચ્ચોવચ ખુરશી ઉપર બેસાડી તેમને દોરડાથી બાંધી દાવ લીધો.તેમની સાથે સ્થાનિક કાઉન્સીલ અધિકારીને પણ એ જ રીતે ખુરશી ઉપર બેસાડી દાવ લીધો. એકાદ કલાક આ ધમાલ ચાલી બાદમાં પોલીસ આવી અને પોલીસે લોકરોષને શાંત પાડ્યો. તેમની ભર બજારમાં ગંદા પાણીની સમશ્યા હલ કરાવવાની ખાતરી આપી મામલો થાળે પાડયો. એકાદ કલાકની ધમાલ બાદ બંધક કાઉન્સીલરના પતિ અને સ્થાનિક અધિકારીનો છુટકારો થયો. આ વિડિયો દેશભરમાં વાઇરલ થઇ રહયો છે. આ વિડિયો ક્યારનો છે એ જાણી શકાયુ નથી. પરંતુ વિડિયો નવભારત જેવી જાણીતી ડિજિટલ ચેનલ ઉપર ચાલ્યો હોવાથી ફેક વિડિયો નથી એ નકકી છે.યુ ટયુબ ઉપર પણ સર્ચ કરવાથી મળી જાય છે. વિડિયો અંગે હજુ સુધી કોઇ ખુલાસા નથી થયા.
આથી વિડિયો વિષે ખુલાશા થવાન બદલે ખુદ વડાપ્રધાનના મતવિસ્તારમાં લોકરોષ આટલી હદે તિવ્ર કેમ બન્યો? વડાપ્રધાન દેશ-વિદેશમાં વિકાસ માટે દિવસ રાત મથતાં હોય ત્યારે વડાપ્રધાનના મતવિસ્તારનું ધ્યાન રાખતાં ભાજપના નેતાઓ,સ્થાનિક ભાજપના નેતાઓ શું કરતા હશે? એ સવાલ છે. દિવા પાછળ અંધારુ કોને કહેવાય એ આ ઘટનાથી સવાલ થાય.
દેશમાં એક તરફ રોજ લાખો કરોડો રૂપિયાના વિકાસની યોજનાઓનું સરકાર અને ખુદ વડાપ્રધાન ઉદઘાટન કરતાં હોય ત્યારે ગંદા પાણીના નિકાલની સામાન્ય કહેવાય એવી સમશ્યાનો તંત્ર કે વારાણસીના સ્થાનિક ભાજપના અગ્રણીઓ નિકાલ ન કરી શકે એ બાબત શોચનિય છે. વહિવટી તંત્રને વડાપ્રધાનના મત વિસ્તાર હોય તો પણ કશો જ ફરક નથી પડતો એ આ ઘટનાથી ફલિત થાય છે. વડાપ્રધાન દેશમાં પરિવર્તન માટે દિવસ રાત જહેમત ઉઠાવે છે. પરંતુ સરકારી તંત્રમાં અહંકાર,આડોડાઇ,ભ્રષ્ટાચાર,મકકારી, સતાનો દૂરઉપયોગના જે રોગ જડ ઘાલી ગયા છે તેમાંથી વડાપ્રધાનના મતવિસ્તાર જેવા વી.વી.આઇ.પી ઝોનમાં પણ બાકાત નથી એ બતાવે છે. આ રોગ કેટલી હદે ઉંડો છે તે બતાવે છે. વડાપ્રધાનના મતવિસ્તારમાં સરકારી તંત્ર કેટલું નઘરોળ છે તેનું દ્રષ્ટાંત આ વાયરલ વિડિયોમાં છે. નવભારતે વારાણસીના મેયરનો ઇન્ટરવ્યુ લીધો છે. તેમણે સ્વીકાર્યુ છે કે ગંદકીની સમશ્યા અંગે અમે અનેક સ્તરે રજૂઆત કરી હતી. પરંતુ દરેક તંત્ર જવાબદારી સ્વીકારવાને બદલે એક બીજા ઉપર ખો દેતાં હતાં. જો મેયરને પણ તંત્ર ખો આપી શકતાં હોય તો લોકો વડે ચૂંટાયેલી કાઉન્સીલ અને તેના સર્વોચ્ચ નેતાની અધિકારીઓ પાસે અને તંત્ર પાસે શું હેસિયત છે એ પણ સમજી લેવું જોઇએ.
ભડકેલા વારાણસીના લોકોએ તમામ સહનિલતાની હદ વટાવી દીધી હશે. તેમણે રોષે ભરાઇને તમામ પરિણામોની તૈયારી સાથે જ કાઉન્સીલરના પતિ અને અધિકારીને તેમના ઘેરથી ઉઠાવી ભરબજારે બંધક બનાવ્યા હશે. તેમનો રોષ સાચો હશે તો પણ કાયદાની દ્રષ્ટિએ આ ટોળુ હવે ગુનેગાર બનશે. તેમની સામે અપહરણ સહિતના અનેક ગૂનાઓ દાખલ થઇ શકે છે. તેમને કદાચ સરકારી તંત્ર અને પોલીસ તંત્રના રોષનો ભોગ પણ બનવુ પડશે. તેઓ હેરાન પણ થશે.
પરંતુ સવાલ એ છે કે આવી પરિસ્થિતિ ઉભી કરનાર તંત્રવાહકોને કોઇ સજા થશે ? તેમની સામે કોઇ પગલાં લેવાશે. લોકોની સમશ્યા હલ ન કરી શકનાર પદાધિકારીઓ તેમના રાજીનામાં આપશે ? કોઇ નૈતિક જવાબદારી સ્વીકારશે? વડાપ્રધાનના મતવિસ્તારમાં આવી ઘટના બને તે ક્ષોભજનક છે. આ ઘટનાની નૈતિક જવાબદારી કોણ લેશે? માત્ર ઘટનાની જવાબદારી લેવાનો સવાલ નથી. દેશમાં સરકારી તંત્રની નઘરોળ દાદાગીરી અને બેજવાબદારીની મનોદશામાં પરિવર્તનની લહેર કોણ લાવશે ? વડાપ્રધાન સુધી તો આ વાત પહોંચશે કે નહિ તેની કોઇ ગેરન્ટી નથી. પરંતુ દેશના પરિવર્તનની વડાપ્રધાનની અથાક મહેનત અને નિષ્ઠાના યજ્ઞમાં સરકારી તંત્ર હજુ બાકાત છે. અપવાદ છે. આ તંત્ર જયાં સુધી પ્રજા વિરોધી અને નેતા વિરોધી રહેશે ત્યાં સુધી દેશનો સર્વાંગી વિકાસ અબજો રૂપિયાની યોજનાથી પણ નહિ થઇ શકે. એ પણ સત્ય છે.