- 240 સીટ પણ ભાજપને વધારે કહેવાય: શંકરસિંહ વાઘેલા
- કોંગ્રેસને વધુ મહેનતની જરુર છે
- દિલ્હીનો આદેશ હશે એજ થશે
લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને આ વખતે કોઈએ ના ધાર્યું હોય તેવું પરિણામ સામે આવ્યું છે. ત્યારે આ મામલે હવે શંકરસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે શંકરસિંહ વાઘેલાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ જે પરિણામ આવ્યું છે તેનાથી ભાજપને બ્રેક લાગી ગઈ છે. ભાજપ જે ગતિથી આગળ વધી રહી હતી તે રીતે તેને બ્રેકની જરૂર હતી. સરકારતો બનશે પણ એ સરકાર ભાજપની નહીં પણ એનડીએની સરકાર બનશે. સાથે જ તેમણે ઈન્ડિયા ગઠબંધન વિશે પણ વાત કરતાં કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન પરિણામના નજીક પહોંચી ગયું પણ જીતથી દૂર રહી ગયું છે.
પીએમ મોદીનો પહેરવેશ બદલાયો
શંકરસિંહે કહ્યું કે, એનડીએ હવે ફક્ત કહેવા માટે નહીં પણ સાચા અર્થમાં ગઠબંધન છે. ભાજપને પરિણામમાં જે 240 બેઠકો મળી છે તે પણ વધારે કહેવાય. ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારે પાર્ટી, સંઘ અને બધા પર એમનો કંટ્રોલ હતો. જે બાદ આ 10 વર્ષમાં તેમણે ખોટા માર્કેટિંગ અને રાષ્ટ્રવાદનો પ્રચાર કર્યો હતો. જે બાદ મોદી વ્યક્તિના બદલે પરમાત્મા બની ગયા હતા તેવું પણ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. પહેલા ભાજપની સરકાર હતી પણ હવે ગઠબંધનની સરકાર હશે. એટલે જ હવે તેમનો પહેરવેશ પણ બદલાઈ ગયો છે.
“કોંગ્રેસે હરખાવાની જરૂર નથી”
શંકરસિંહે કહ્યું કે, અત્યાર સુધી પીએમ મોદી ભગવો પહેરતા હતા તેના બદલે હવે તેમણે દિવસભર લીલો પહેરવેશ પહેર્યો હતો. કોંગ્રેસે હજી વધારે મહેનત કરવાની જરૂર છે. કોંગ્રેસે હરખાવાની જરૂર નથી. જો બધાની સાથે તેમણે વ્યવસ્થિત બેઠક કરી હોત તો સરકાર બનાવી હોત.
શંકરસિંહના ગંભીર આક્ષેપો
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં જે રામમંદિર બનાવવામાં આવ્યું તેમાં ભગવાનને ઘર આપવા માટે લોકોના ઘર તોડવામાં આવ્યા હતા જેના કારણે અયોધ્યા અને તેની આસપાસ 10 કિલોમીટરમાં ભાજપની હાર થઈ હતી. ભાજપે માસ કેડર પાર્ટી બનવાની જરૂર છે. કોંગ્રેસએ ખાલી માસ પાર્ટી છે. સાથે જ રાજ્યસરકારમાં તો ફેરફાર દિલ્હી મુજબ જ કરવામાં આવશે તેવું પણ શંકરસિંહે જણાવ્યું હતું.


