- રેરાએ ડેવલપર્સ પાસેથી અંદાજે 2.61 કરોડની વસૂલાત પણ કરી
- 2017થી અત્યાર સુધીમાં 13,852 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અને 2,979 એજન્ટ રજિસ્ટર્ડ થયા
- હાલ માત્ર 57 સુઓમોટો પેન્ડિંગ છે
રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) દ્વારા સમગ્ર રાજ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઇ પણ ડેવલપર્સે રેરા રજિસ્ટ્રેશન વગર પ્રોજેકટ લોંચ કરવાથી લઇ એક પણ યુનિટનું વેચાણ કર્યું હોય તેવા કિસ્સામાં સુઓમોટો કરાય છે.
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં રેરામાં સુઓમોટોની 561માંથી 504 સુઓમોટોનો નિકાલ કરાયો છે અને હાલ માત્ર 57 સુઓમોટો પેન્ડિંગ છે. સુઓમોટો હેઠળ અંદાજે 2.61 કરોડની ડેવલપર્સ પાસેથી વસુલાત પણ કરી છે. રેરા ઓથોરિટીએ કહ્યું કે, રેરા સમક્ષ 2017થી અત્યાર સુધીમાં 13,852 રિયલ એસ્ટેટ પ્રોજેકટ અને 2979 એજન્ટ રજિસ્ટર્ડ થયા છે. રેરાના સત્તાવાર સુત્રો મુજબ સૌથી વધુ 179 સુઓમોટો અમદાવાદમાં થઇ છે. આમાંથી 164નો નિકાલ થઇ ગયો છે અને 15માં સુનાવણી ચાલે છે. ગાંધીનગરમાં 54માંથી 45નો નિકાલ અને 9 પેન્ડિંગ છે. સુરતમાં 43માંથી 38 અને વડોદરામાં 107માંથી 98 સુઓમોટોનો નિકાલ થઇ ગયો છે. રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ બાદ રેરામાં ફરિયાદો વધી ગઇ છે. જેમાં સમયસર યુનિટનું પઝેશન અપાયુ ના હોય, વ્યાજ સહિત રિફંડ અથવા મોડું પઝેશન, બાનાખત અથવા દસ્તાવેજ ના કરી આપે, પઝેશન બાદ યુનિટમાં ખામી હોય, સોસાયટીમાં કરેલી જાહેરાત મુજબ કોમન સુવિધા ન હોય અને સુવિધા ખામી યુક્ત હોય, પ્રોજેક્ટ લોન પૂરી કરી બેંક NOC આપી ના હોવા સહિતની છેલ્લા એક વર્ષમાં કુલ 570 ફરિયાદો આવી છે. ફરિયાદ સંદર્ભે રેરા દ્વારા સમાધાન અથવા ન્યાયિક પ્ર્રક્રિયા કરાય છે.
રિડેવલપમેન્ટમાં જૂના સભાસદોના પ્રવર્તતા પ્રશ્નોના રેરા ઓથોરિટી તરફથી જવાબ
રિડેવલપમેન્ટમાં સભ્યોની સંમતિ થઇ ગયા બાદ સભાસદના મૃત્યુના કિસ્સામાં નામ ટ્રાન્સફર થઇ શકે ?
સભાસદનું મૃત્યુ થાય તો પેઢીનામાના આધારે વારસાઇ થઇ શકે, પરિવારમાંથી હક કમી પણ કરાવી શકે. આ પછી શેરસર્ટિફિકેટમાં નામ દાખલ થયેલા વ્યક્તિઓ દસ્તાવેજ કરી શકે
રિડેવલપમેન્ટમાં ડિમોલીશન પછી મૃત્યુના કિસ્સામાં નામ ટ્રાન્સફર થાય ?
ડિમોલીશન પછી સોસાયટીમાં નામ ટ્રાન્સફર થઇ શકે
રિડેવલપમેન્ટમાં ડિમોલીશન પછી દસ્તાવેજ થઇ શકે ?
શેરસર્ટિફિકેટમાં નામ દાખલ થયેલા વ્યક્તિ ડેવલપર્સની સંમતિ લઇને દસ્તાવેજ કરી શકે. જેમાં ડેવલપર્સને કન્ફર્મીંગ પાર્ટી તરીકે રાખવા પડે
દસ્તાવેજ જૂના માપ પ્રમાણે થાય કે નવા માપ પ્રમાણે?
જૂના માપ પ્રમાણે દસ્તાવેજ થાય, જેમાં મકાનના જૂના ફોટા મૂકવાના રહે છે, દસ્તાવેજ બાદ સોસાયટીની ટ્રાન્સફર ફી ભરી શેરસર્ટિફિકેટમાં નામ દાખલ કરાવું પડે.
નવા સભાસદ તરીકે દાખલ થયા પછી ડેવલપર્સે ફરી MOU કરવાનો રહે છે?
ડેવલપર્સે નવા સભાસદ સાથે ફરી MOU કરવાનો રહેશે, જે રેરામાં પણ રજૂ કરવાનો હોય છે.
દસ્તાવેજ થઇ ગયા પછી રેરામાં નામ દાખલ થાય કે નહીં ?
ડેવલપર્સે દર ત્રણ મહિને ક્વાર્ટલી પ્રોગેસ રિપોર્ટ મૂકવાનો હોય છે, જેમાં નવો MOU અને દસ્તાવેજ ફોર્મ-3 ભરીને નવા નામ રજૂ કરવાના રહે છે.
જૂના માપ પ્રમાણે દસ્તાવેજ થયા બાદ સમગ્ર સ્કીમ પૂરી થયા પછી નવો દસ્તાવેજ કરવો પડે ?
સ્કીમ પૂરી થાય બાદ ડેવલપર્સે ફરી પૂરેપૂરા માપનો નવો દસ્તાવેજ કરી આપવાનો રહે છે.
રિડેવલપમેન્ટ દરમિયાન વિવિધ લાભો નવા સભાસદને મળે કે નહીં ?
નવા સભાસદ જ તમામ લાભ મેળવવા માટે હકદાર ગણાય


