- વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
- વિરમગામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતો થયા ખુશખુશાલ
- વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વિરમગામ તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા નીચણાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિરમગામ શહેર મા સતત બીજા દિવસે વરસાદી માહોલ
વિરમગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળી રહ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. તેમજ રોડ-રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. જેના કારણે વાહન ચાલકોને હેરાન-પરેશાન થયા છે.
રાજ્યના 146 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં આજે 146 તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે પાટણના સરસ્વતીમાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે જો પાટણ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં સાંજ સુધી 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના ભાભરમાં 2.7 ઈંચ વરસાદ, પાટણના સાંતલપુરમાં 2.5 ઈંચ વરસાદ તો કચ્છના માંડવીમાં 2.4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પણ અન્ય તાલુકામાં મેઘરાજા વરસ્યા છે. વરસાદને પગલે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની સારી આવક થઈ છે. તેમજ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા 7 દિવસ વરસાદની આગાહી કરાઈ
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરાઈ છે. ઓફસૉર ટ્રફ, શિયારઝોનના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


