- શોર્ટ સર્કિટને મોકડ્રિલ કહી ગુમરાહ કર્યા, વાલીઓ પાસેથી ઉઘરાણાં કરી સ્કૂલબસનો ટેક્સ ન ભર્યો
- આગની ઘટના છુપાવી નાના ભૂલકાઓની જિંદગી સાથે ખેલનાર ચિરિપાલ ગ્રૂપની સ્કૂલ હવે દંડાશે
- DEO-DPEOના હિયરિંગમાં બચાવ માટે નક્કર જવાબ ન હોવાથી સ્કૂલે વધુ સમય માગ્યો
આગની ઘટના છુપાવી ભૂલકાઓની જિંદગી સાથે ખેલનાર ચિરીપાલ ગ્રૂપ સંચાલિત શાંતિ એશિયાટિક સ્કૂલ સામે ગણતરીના દિવસોમાં જ દંડનીય કાર્યવાહી થઈ શકે. આગની ઘટના બાદ સ્કૂલમાં હાથ ધરાયેલી તપાસમાં પ્રાંત સહિતના અધિકારીઓએ ક્લીનચીટ આપી દેતા વિવાદ સર્જાયો હતો.
બાળકો, વાલીઓ અને શિક્ષણ વિભાગને ગુમરાહ કરવા બદલ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા સ્કૂલનું હિયરીંગ હાથ ધરાયું હતુ. જેમાં સ્કૂલના પ્રતિનિધિઓ દ્વારા એ જ જૂનો લૂલો બચાવ કરાયો હતો કે, વાલી-વિદ્યાર્થી ચિંતામાં ન આવી જાય એ માટે ઘટના છુપાવી હતી. એટલુ જ નહી, અધિકારીઓ દ્વારા અન્ય કેટલીક બાબતો રજૂ કરતા સ્કૂલે જવાબ રજૂ કરવામાં વધુ સમય માગ્યો હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ આજે થયેલા હિયરીંગ પરથી એવુ જાણવા મળે છે કે, થોડા જ સમયમાં સ્કૂલ સામે દંડનિય કાર્યવાહી થઈ શકે.
અમદાવાદ શહેરનાં શેલા ખાતે આવેલી અને CBSE બોર્ડ સાથે જોડાયેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત તા.11 જુલાઈએ બપોર પછી પ્રાથમિક વિભાગના બિલ્ડિંગમાં બીજા માળે છઝ્રના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ સાથે ધુમાડો ફેલાવાની ઘટના ઘટી હતી. નાના ભૂલકાંઓ ધુમાડાના ગોટાથી ગભરાઈ ગયા હતા. તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ મુદ્દે વાલીઓને કોઈ જાણ કરવામાં આવી નહોતી. વાલીઓ તો દુર ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલનો સંપર્ક કર્યો તો એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, સ્કૂલમાં મોકડ્રિલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ડીઈઓ કચેરીના એક અધિકારી ગુરુવારે સાંજે સ્કૂલમાં તપાસ માટે પહોંચ્યા પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો નહોતો. આ સિવાય ઘટના પર પડદો પાડવા રાતો રાત કલરકામ કરી દેવાયું હતુ. પરંતુ ગભરાયેલા વિદ્યાર્થીઓને વાલીઓને જાણ કરતા સવારના સુમારે જ અંદાજે 500થી વધુ વાલીઓ સ્કૂલ કેમ્પસમાં ધસી આવતા સંચાલકોની મેલી મૂરાદ ઉઘાડી પડી હતી. એ પછી પોલીસ, ફાયર અને શિક્ષણ વિભાગ દ્વારા ફાયરને લઈ તપાસ હાથ ધરાઈ હતી જેમાં સ્કૂલને ક્લીનચીટ અપાઈ હતી. પરંતુ આવી ગંભીર ઘટનામાં વાલી, વિદ્યાર્થી અને શિક્ષણ વિભાગને અંધારામાં રાખી છેતરપીંડી ભર્યુ કૃત્ય કરવા બદલ દંડનીય પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
સ્કૂલની આબરૂના ધજાગરા ઊડતા 90 હજાર દંડ ભરી બસ છોડાવી
શાંતી એશિયાટિક સ્કૂલે સ્કૂલવર્ધી માટે વાલીઓ પાસેથી સમયાંતરે રકમ ઉઘરાવી લીધી છે. વાલીઓના ખિસ્સા ખંખેર્યા પણ બસની આરટીઓ ટેક્સની રકમમાં ચોરી કરી હોવાનું બહાર આવતાં ગુરુવારે સ્કૂલની બે બસ ડિટેઇન કરાઇ હતી. બંને બસ પર અંદાજે 90 હજાર ટેક્સ બાકી હોવા છતાં બસ રસ્તા પર દોડાવાતી હતી. વાલીઓ પાસેથી સમયસર સ્કૂલવર્ધીની રકમ વસુલી લેનાર સ્કૂલ સંચાલકો સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતાં RTO એ કાર્યવાહી કરી છે. બસના ટેકસની રકમ ભરપાઇ કરી કોન્ટ્રાક્ટર બંને બસ છોડાવી ગયો હતો.


