- હથિયાર મૂકનારને શોધવા રાજસ્થાન અને પંજાબ સુધી તપાસ
- નાના ચિલોડા પાસે હથિયાર કોણ મૂકી ગયા તે તપાસમાં એટીએસના હાથ ખાલી
- નુસરથ સહિતના ચારે આતંકીઓને પકડી કોર્ટમાં રજૂ કરતા તેઓના 14 દિવસના રિમાન્ડ મળ્યા
શ્રીલંકાથી હુમલો કરવા માટે આઈએસએ મોકલેલા ચાર સ્યુસાઈડ બોમ્બરો ને ગુજરાત એટીએસની ટીમે બાતમી આધારે અમદાવાદ એરપોર્ટથી પરથી ઝડપેલા ચાર સ્યુસાઈડ બોમ્બરોના કેસની તપાસ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી)ને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી થઈ પણ ટુંક સમયમાં એટીએસ દ્વારા કેસના કાગળો એનઆઈએને સોંપી દેવામાં આવશે. બીજી તરફ નાના ચિલોડા પાસે પત્થર પાછળથી મળી આવેલા હથિયાર કયાંથી આવ્યા તે દિશામાં એટીએસના હાથ ખાલી રહેવા પામ્યા છે. 14 દિવસની તપાસ બાદ પણ એટીએસને હજુ સુધી હથિયાર મુકનારા શખ્સો મળ્યા નથી, બીજી તરફ આ હથિયારો મુકનારા આરોપીઓને શોધવા માટે એજન્સીઓએ પંજાબ અને રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવ્યો છે.
હાલમાં સમગ્ર મામલે એટીએસના ઈનપૂટ આધારે શ્રીલંકા પોલીસે આઈએસના હેન્ડલર ઓસમાન સહિતના લોકોની ધરપકડ કરી સ્થાનિક લેવલે ફેલાયેલા આઈએસના સ્લીપર સેલ અંગે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ગુજરાત એટીએસને હિંમતનગર રોડ નાના ચિલોડા પાસે આવેલી નર્મદા કેનાલ પાસે પથ્થરો પર મુકવામાં આવેલી ત્રણ પિસ્ટલ અને વીસ કારતૂસ મળી આવ્યા હતા.
ચાર આરોપીને જેલ ભેગા કરવામાં આવ્યા
એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રીલંકાથી હુમલો કરવા માટે આવેલા નુસરથ સહિતના ચારે આતંકીઓને પકડી કોર્ટમાં રજૂ કરતા તેઓના 14 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ ગઈકાલે પુરા થતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ થયો હતો. આ કેસની તપાસ એનઆઈએને સોંપઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હવે, આ કેસમાં એનઆઈએને આરોપીઓના રિમાન્ડની જરૂર પડશે તો તેઓ કોર્ટમાં રજૂઆત કરીને રિમાન્ડની માંગણી કરશે.


