- ભાવનગર પોલીસ દ્વારા બેંક ખાતા અનફ્રીઝ કરવા માટે લાખોની માંગણી કરાઈ હતી
- DGPએ તાત્કાલિક મિટિંગ બોલાવી નિર્ણય લીધો
- જે બેંક ખાતાંમાં એક જ વાર ફ્રોડની રકમ જમા થઈ હોય તે ફ્રીઝ ન કરવા આદેશ
સાયબર ગુનાઓમાં ફ્રિઝ થયેલા બેંક એકાઉન્ટોમાંથી 27 હજાર જેટલા બેંક ખાતા પોલીસે અનફ્રિઝ કરી જનતાને રાહત આપી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસ પર થઈ રહેલા આક્ષેપોને પગલે આ મામલે સાયબર સેલમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારીઓના સૂચનો મેળવીને નિર્ણય લેવાયો હતો કે, જે બેંક ખાતામાં પહેલીવાર ફ્રોડના નાણાં જમા થયા હોય તેવા બેંક ખાતા ફ્રિઝ કરવા નહી.
આ નિર્ણયને પગલે અનેક લોકોને રાહત મળી હતી. જો કે, સાયબર ઠગો સાથે બેંક ખાતા ધારક સંડોવાયેલો નથી તેના પૂરાવા પણ પોલીસને આપવા જરૂરી છે. સાયબર ફ્રોડના કેસમાં પોલીસ દ્વારા ખોટી રીતે બેંક ખાતા ફ્રિઝ કરી પૈસા પડાવવામાં આવતા હોવાનું અને હેરાનગતીની અનેક ફરિયાદો ઉઠી હતી.
સાયબર ક્રાઈમના વધતા ગુનાઓ સામે પોલીસની બેંક ખાતા ફ્રિઝ કરવાની કડક કાર્યવાહી જનતા ત્રસ્ત હોવાની ચર્ચાનો વિષય બની મોટો બન્યો હતો. પોલીસ બેંક ખાતા તોડ કરવા માટે ફ્રિઝ કરતી હોવાના આક્ષેપો પણ થયા અને ભાવનગર પોલીસ દ્વારા બેંક ખાતા અનફ્રિઝ કરવા માટે લાખો રૂપિયાની માંગણી કરાયાના કેસમાં પોલીસ અધિકારીઓની ધરપકડ પણ થઈ હતી. જો કે, આ મામલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તત્કાળ અસરથી સાયબર સેલમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારીઓ સાથે મિટીંગ કરી સૂચનો માંગ્યા હતા. આ સૂચનોમાં સ્પષ્ટ થયો કે, સાયબર ફ્રોડ કરતી ટોળકી પોતાના ચુકવણા પેટે વેપારીઓના ખાતામાં પૈસા જમા કરાવતી હોવાનું તેમજ ભોગ બનનારના ખાતામાં પણ જમા કરાવતી હોવાની વિગતો ખુલી હતી.
શેર ટ્રેડિંગના નામે ફ્રોડ કરતી ટોળકી જૂદા જૂદા રાજ્યોમાં અનેક લોકોને નિશાન બનાવતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા પોતાના ત્યાં આવેલા ફ્રોડના કેસની તપાસમાં સાયબર ઠગનું બેંક એકાઉન્ટ ચેક કરે છે. તે ફ્રિઝ કરી દે બાદ સાયબર ઠગોએ અન્ય એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોય તે પણ ફ્રિઝ કરી દે છે. આમ, ગુજરાત પોલીસે ફ્રિઝ કરેલા બેંક ખાતાનો ધારક સાયબર ઠગોનો ભોગ બન્યો હોય તેવું બની શકે છે.
પોલીસ દ્વારા ફ્રોડ કરનારના ખાતામાંથી અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય તો પોલીસ તે પણ ફ્રિઝ કરી દેતી હતી. આ રીતે એક જ ફ્રોડના કેસમાં રકમ જૂદા જૂદા પાંચ થી છ ખાતામાં ટ્રાન્સફર થઈ હોય તો તે બધા જ ફ્રિઝ કરી દેવાતા હતા. જેના કારણે લોકો હેરાન થતાં હતા. રાજ્ય પોલીસ વડાના સૂચનો બાદ સાયબર સેલ અને પોલીસ દ્વારા રાજ્યમાંથી ફ્રિઝ કરેલા લગભગ 27 હજાર જેટલા બેંક ખાતાને અનફ્રિઝ કર્યા હતા. ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસ ખોટી રીતે બેંક ખાતા અનફ્રિઝ કરતી હોવાની લોકોની ફરિયાદો વધતા અમે તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, પોલીસ તેના ઈન્વેસ્ટીગેશનના ભાગરૂપે કાર્યવાહી કરતી હતી. જેમાં કયારેક એવું બનતું નિદોર્ષ વ્યક્તિ ભોગ બની જતો હતો.
બીજીવાર એક જ બેંક ખાતામાં જમા થશે તો ફ્રિઝ થઈ જશે
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સાયબર ફ્રોડના કેસમાં પ્રથમવાર કોઈ બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણાં જમા થયા હોય તો તે ફ્રિઝ ના કરવા સૂચના આપી હતી. જો કે, જે તે ખાતા ધારકની નિદોર્ષતા અંગે પોલીસે ખરાઈ તો કરવાની છે. ફ્રોડની રકમ બીજીવાર એક જ બેંક ખાતામાં જમા થશે તો પોલીસ તે ફ્રિઝ કરી શકશે.


