ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ પછી ફટાકડા ફોડીને ઉજવણી નહીં કરવામાં આવે તેવો સારો નિર્ણય લેવાયો છે, પણ ચિંતા એનાથી ઓછી નહીં થાય કેમ કે આ વખતેય દિલ્હીમાં અત્યારથી જ પ્રદૂષણ દેખાવા લાગ્યું છે
નાના શહેરમાં હજી બહુ જ તકલીફ પડે તેવું વાયુ પ્રદૂષણ નથી દેખાતું એટલે આ સમસ્યાને ગંભીરતાથી લેવાતી નથી. પરંતુ આવતી કાલે રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં નવા યુગની આ સમસ્યા દેખાય તો નવાઈ નહીં લાગે. શહેરીકરણ વધી રહ્યું છે અને ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે એટલે હવાને સ્વચ્છ કરવા માટેના ભરપુર પ્રયાસો શરૂ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના શહેરોને પણ એકાદ વાર વાયુ પ્રદૂષણનો અનુભવ થાય તો આશ્ચર્ય નહીં થાય. દિલ્હીમાં ધૂમ્મસ થાય તેને ખરેખર તો ધૂમાડો કહેવો જોઈએ. ધૂમ્મસ જેવો ખુશનુમા શબ્દ તેને માટે વાપરી નાખીશું તો પછી હિલ સ્ટેશન પર રળિયામણું વાતાવરણ કયા શબ્દથી વધાવીશું!
દિલ્હીમાં પ્રદૂષણના સમાચાર અત્યારથી આવવા લાગ્યા છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 4000ને પાર થઈ ગયો છે. તેનું કારણ એ કે પંજાબ અને હરિયાણામાં ગયા અઠવાડિયાના અંતે ચારે બાજુ ખેતરોમાં આગ લાગી હતી. પરાળી બાળવાનું શરૂ થાય એટલે તેનો ધૂમાડો દિલ્હી સુધી પહોંચે. નાસાની સેટેલાઇટ તસવીરો થોડી મોટી આગ લાગે ત્યારે તેને મેપમાં નોંધી લે છે. શિયાળો આવે એટલે આ મેપ જોઈએ ત્યારે પંજાબ અને હરિયાણાના નકશામાં લાલમલાલ ટપકાં થયેલો હોય છે. એવું થયું છે અને તેના કારણે વાયુ પ્રદૂષણ શિયાળા પહેલાં જ દિલ્હી પહોંચી ગયું છે.
પરાળી બાળતા ખેડૂતોને રોકવા માટે ઢગલાબંધ પ્રયાસો થયા છે. પંજાબ સરકાર ઉપરાંત દિલ્હી સરકાર અને દિલ્હીની કેન્દ્ર સરકાર તેના માટે સહાય, સબસિડી, સાધનો આપે છે. પરાળીને એકઠી કરીને તેનો બીજો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. તેની થોડી ઘણી અસર થઈ છે, પણ હજીય નાના નાના ગામોમાં ખેડૂતો માથાકૂટમાં પડ્યા વિના ખેતરમાં પરાળી પડી હોય તેને આગ લગાવી દે છે. ખેતરને ચોખ્ખું કરીને પછી હવે શિયાળુ ઘઉં કરવાના હોય છે. પરાળીને દૂર કરવામાં દિવસો અને ખર્ચો લાગે તે પરવડે તેમ નથી.
ટૂંકમાં સમસ્યા પ્રતિ જાગૃતિ, એ પણ દેશની રાજધાનીમાં અને ત્રણ ત્રણ સરકારોના પ્રયાસો છતાં વાયુ પ્રદૂષણમાં ફેર પડી રહ્યો નથી. બહુ ઝડપથી તે વધી રહ્યું હતું તે વધવાની ગતિ થોડી ઘટી છે. દિલ્હીમાં મેટ્રોનું નેટવર્ક વધ્યું, ઇલેક્ટ્રિક બસો હજારોની સંખ્યામાં દોડતી કરાઈ તે બધાને કારણે ફેર છે, પણ તે દેખાતો નથી, કેમ કે સમસ્યા બહુ મોટી છે.
બાળકોને અસ્થમા થઈ જાય છે. અસ્થમા હોય ત્યારે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ટ્રાફિક પર અસર થાય, અકસ્માત થાય… ટૂંકમાં અનેક સમસ્યા છે. સમગ્ર રીતે આ સમસ્યા પાછળ આટલું મોટું તંત્ર લાગ્યું હોવા છતાં સ્વચ્છતા દેખાતી નથી ત્યારે ચિંતા તો કરવી જ પડે. દર વર્ષે કરવી પડે અને વારંવાર કરવી પડે. રાજકોટમાં પણ કરવી પડે, કેમ કે પ્રદૂષણ આવે તે પહેલાં જ રાજકોટમાં માત્ર ઇલેક્ટ્રિક બસો જ દોડતી રહે, રિક્ષાઓમાં પણ માત્ર ઇલેક્ટ્રિક હોય અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઇલેક્ટ્રિક વાહનો ફેરવતા થઈ ગયો હોય તો રાજકોટ રંગીલું જ નહીં, સફેદ બાસ્તા જેવું શિયાળામાં દેખાશે અને દેશમાં નમૂનારૂપ બની રહેશે.