રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ મામલે મહત્વનો નિર્ણય લીધો છે તેનો આજથી અમેરિકામાં અમલ શરૂ થશે. ટ્રમ્પે વિદેશનીતિ વધુ મજબૂત કરતા કેટલાક આકરા નિર્ણય લીધા છે. જે અંતર્ગત આજે 9 જૂનથી અમેરિકામાં 12 દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 7 દેશોના નાગરિકોના પ્રવેશ પર આંશિક પ્રતિબંધ મૂકાયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયાભરમાં આતંકવાદ એક મોટો પ્રશ્ન બન્યો છે. ભારતમાં પીએમ મોદીના આતંકવાદીઓ સામેના કડક વલણ બાદ હવે અમેરિકા પણ આતંકવાદ મામલે વધુ આકરું વલણ અપનાવ્યું છે. આતંકવાદને રોકવા માટે આ પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે.
ટ્રમ્પે 12 દેશોના લોકો પર અમેરિકા આવતા પ્રવાસ પ્રતિબંધ લાદ્યો છે. અમેરિકામાં આજે જે 12 દેશોના નાગરિકોને પ્રવેશબંધી લાગુ કરાઈ છે તેમાં સોમાલિયા, રિપબ્લિક ઓફ કોંગો, અફઘાનિસ્તાન, ઇક્વેટોરિયલ ગિની,લિબિયા,સુદાન, બર્મા, હૈતી, ઈરાન, ચાડ, એરિટ્રિયા અને યમનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાત દેશોના લોકોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
વિદેશી નાગરિકોને લઈને કરવામાં આવેલ ટ્રમ્પના આદેશનો આજથી અમલ કરવામાં આવશે. 12 દેશો ઉપરાંત, આજથી 7 દેશોના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવશે. આ પ્રતિબંધ ઇમિગ્રેશન અને નોન-ઇમિગ્રેશન વિઝા બંને પર લાગુ થશે. જે દેશના નાગરિકો પર આંશિક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે તેમાં તે દેશના નાગરિકો માટે ચોક્કસ પ્રકારના વિઝા અથવા પ્રવેશો પ્રતિબંધિત છે, પરંતુ અન્ય લોકો માટે નહીં. અર્થાત્ આ નાગરિકોને ઇમિગ્રન્ટ વિઝા નહીં મળે, પરંતુ તેઓ ટૂરિસ્ટ વિઝા મેળવી શકશે. વિદ્યાર્થીઓને પરવાનગી મળશે, પરંતુ વર્ક વિઝા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કયા નાગરિકોને પ્રવેશ મળવો જોઈએ અને કયા દેશોના નાગરિકોને પ્રવેશ ના મળવો જોઈએ તેને લઈને 4 જૂનના રોજ આ અંગે આદેશ કર્યો હતો. વિદેશી નાગરિકો માટે લેવાયેલ આ મહત્વના નિર્ણયને લઈને ટ્રમ્પે કારણ આપતા જણાવ્યું કે મારા માટે સૌ પ્રથમ અમેરિકન નાગરિકોનું હિત છે. અનેક વિદેશીઓ ઇમિગ્રેશન કાયદાનો દુરુપયોગ કરી અમેરિકન નાગરિકોને નુકસાન પહોંચાડે છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ બનતા આવા લોકો માટે આ યોગ્ય નિર્ણય છે. આ નિર્ણય પાછળનો મારો ઉદેશ્ય ખતરારૂપ બનતા આવા વિદેશી નાગરિકોથી યુનાઇટેડ સ્ટેટ્સનું રક્ષણ કરવાનો છે.