- ક્ષત્રિય આંદોલન વિવાદ મુદ્દે પહેલીવાર અમિત શાહે મિડીયાને આપ્યું નિવેદન
- હજી પણ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ કરવાને લઈ કરી રહ્યું છે આંદોલન
- રૂપાલાએ દિલથી માંફી માંગી છે : અમિત શાહ
ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ક્ષત્રિયો આંદોલન કરીને રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે અમિત શાહના રોડ-શો દરમિયાન સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા અમિત શાહને ક્ષત્રિય આંદોલનને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે શાહે કહ્યું કે,રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે.
અમિત શાહનો અમદાવાદમાં રોડ-શો
ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહે વિશાળ રોડ શો યોજી મતદારોના અભિવાદન ઝીલયા હતા. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું,આવો જાણીએ શું કીધુ અમિત શાહે
રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે: અમિત શાહ
ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ક્ષત્રિયો આંદોલન કરીને રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે અમિત શાહના રોડ-શો દરમિયાન જ્યારે તેમને આ મુદ્દા વિશે પુછવામાં આવ્યું ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી છે. ગુજરાતની 26 માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતીશુ. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે.
કાર્યકર્તાઓ ઉમટયા
સાણંદથી શરૂ થયેલા શાહના આ પ્રચંડ પ્રચારમાં રોડ-રસ્તા ભાજપના કાર્યકરોથી ઉભરાઈ ગયા હતા. શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની ઝાકમઝોળ જોવા મળી હતી. શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ઢોલ નગારાના તાલે સમર્થકો ઝૂમ્યા હતા અને ચારે બાજુ જયશ્રી રામ અને 400 પારના નારા લાગ્યા હતા. શાહના રોડ શોમાં સમર્થકો અને કાર્યકરોનો જમાવડો જોઈ શકાય તેવો હતો. ઠેર ઠેર કેસરિયા ઝંડા જ જોવા મળી રહ્યા હતા. કેસરી સાફા અને ભાજપના સમર્થનમાં ઠેર ઠેર હોડિંગ્સ અને પોસ્ટરોને કારણે આખા માહોલ જાણે ભાજપ મય બની ગયો તેમ લાગતું હતું.
આવતીકાલે અમિત શાહ ભરશે ફોર્મ
અમિત શાહ 19 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે. નોમિનેશન કરતાં પહેલા શાહે વિશાળ રોડ શો યોજીને વિપક્ષને ચેલેન્જ આપી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાત આવવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત આવવાના છે. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં અનેક રેલીઓનું આયોજન કરાયું છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ વખતે કોને ચૂંટીને દિલ્લી મોકલે છે.


