બેંક લોન કૌભાંડી શૈલેષ ભંડારીની સાથે બે આઇપીએસ સહિત પોલીસ અધિકારી સામે ફરિયાદ
સરકારી બેંકો સાથે બોગસ બિલિંગ થકી રૂપિયા ૬3ર કરોડના બેંક લોન કૌભાંડ બાદ ઇલેકટ્રોથર્મ લિમિટેડના ભંડારી બંધુ સામે કર્મચારીના અપહરણ, જાનથી મારી નાંખવાની ધમકીની વધુ એક ફરિયાદ કચ્છ પોલીસે નોંધી છે. નવ વર્ષ જૂના આ કેસમાં પાંચ વર્ષ સુધી ભોગ બેનલાની કાયદાકિય લડાઇ અને સુપ્રીમ કરોટના આદેશના એક મહિના બાદ આ ફરિયાદમાં ભંડારી ,બે આઇપીએસ અધિકારી, ત્રણ ડીવાયએસપી, બે પીએસઆઇ સહિત ૧૮ સામે ફરિયાદ થઇ છે.
સમગ્ર ઘટનામાં ઇલેટ્રોથર્મ લિમિટેડના ભંડારી બંધુની ભૂમિકા તો ક્રુરતમ છે.પોતાની કંપનીમાં જ નોકરી કરતાં કર્મચારીને લોન કૌભાંડના ડમી તરીકે ફરજિયાત ઉપયોગ કરી તેની મજબુરીનો ફાયદો ઉઠાવવાની અને ન માનતાં તેનું અને તેની પત્નીનું જીવન નર્ક બનાવવા તેના ઘરમાંથી તમામ નાણા ઝવેરાતની લૂંટ કરવા કર્મચારીને અપહરણ કરી ગોંધી રાખવા સહિતની ફરિયાદ છે. તેને કંપનીની ભઠ્ઠીમાં બાળી નાંખવાની પણ ધમકી અપાઇ હતી. પરંતુ આ ઘટનામાં પૈસાના જોરે પોલીસનો કેવો ઉપયોગ કરી શકાય છે. પોલીસ વિભાગ કઇ દિશામાં કામ કરે છે તેની ભીતરની વાતો બહાર આવી છે.
આ પ્રકરણમાં જે આઇપીએસ સામે ફરિયાદ થઇ છે. જે તે સમયના કચ્છના એસ.પી. ગૌતમ પટેલ, અને એસપી ભાવનાબેન પટેલ વિરૂધ્ધ પણ કલોઝર રિપોર્ટ આપવા બદલ ફરિયાદ નોંધાઇ છે કેસ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી ગયો છે. અસાધારણ મનોબળ અને ધીરજથી ભોગ બનેલ પીડિત કર્મચારીએ નવ વર્ષનો સંઘર્ષ કર્યો છે. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના અનુભવી જજોએ જે તપાસના આદેશ આપ્યા છે એ જોતાં પ્રથમદર્શી કેસ બને છે. પોલીસ તંત્રમાં પી.આઇ. પી.એસ.આઇ. કક્ષાએ સતાનો દૂરઉપયોગ કરી કાંડ કરવાના બનાવો છાસવારે હવે પ્રકાશમાં આવી રહયા છે. જૂનાગઢમાં તરલ ભટ્ટ કાંડ હોય કે ઉનાનું દારૂ કાંડ હોય પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી એટલે કે પી.આઇ.ની મીઠી નજર નીચે ગૂનાખોરીને પ્રોત્સાહન આપવાની ઘટનાઓ બહાર આવી રહી છે. ઉનાની મહિલા બુટલેગર પાસેથી માત્ર હપ્તા લેવા સુધી નહિ બે પોલીસમેન અને એક હોમગાર્ડે આ મહિલાનો દારુ વેંચવાનો ધંધો ચાલુ રાખવા માટે તેનુ શારિરિક શોષણ પણ કર્યુ.
પોલીસ તંત્રના નાના કર્મચારીઓ સુધી ફરજ ઉપર હોવા છતાં આટલી હદે ગેરકાયદે પ્રવૃતિ કરવાની હિંમત રહે છે તેની પાછળ ટોચના અધિકારીઓની ફડક ન રહેવાની અને તેમની સામે કોઇ પગલાં નહિ લેવાય એવી ધરપત હશે.કંઇ થશે તો તેમના ઉપરના અધિકારી તેમન બચાવી લેશે એવો પણ વિશ્વાસ હશે. લોકોની આંખમાં ધુળ નાંખવાં માટે દેખીતા પગલાં પણ લેવાય એવી ગોઠવણ હશે. લોકો કહે છે કે, પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચાર ચાલે છે. આવી વાત સહજ રીતે માનવી ન જોઇએ. પરંતુ જયારે કોઇ ટોચના આઇપીએસનું નામ કોઇ ગુનો છાવરવા માટે અથવા ગુનાખોરીમાં આર્થિક હિત કે સતાના પ્રભાવમાં આવીને રાજકિય ઇશારે પણ ખરડાય ત્યારે સમગ્ર પોલીસ તંત્રની વ્યવસ્થા ઉપર સવાલ ઉભો થાય છે. લોકોનો વિશ્વાસ ડગે છે. એક પોલીસ અધિકારી સમગ્ર ખાખી વર્દીને દાગ લગાડે છે.
કચ્છનું પ્રકરણ એક નથી. આવા અનેક પ્રકરણમાં છેલ્લા થોડા સમયથી પોલીસ તંત્રમાં મધ્યમ હરોળના અને ટોચની હરોળના અધિકારીઓના નામ આવે છે. કચ્છ કાંડ અલગ એ માટે છે કે અહીં ગૂનો બન્યાના સંગીન કાનુની પુરાવા છે. પીડિતને ન્યાય આપવાને બદલે આઇપીએસ અધિકારીએ કેસ કલોઝર કરવાની મંજુરી આપી છે. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ બન્ને આઇપીએસ સહિતના પોલીસ અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. આવી ઘટનાઓ પોલીસ પ્રત્યે સામાન્ય લોકોની શ્રધ્ધા શંકામાં પરિવર્તિત કરે છે. પોલીસનું સૂત્ર છે મે આઇ હેલ્પ યુ ? પણ લોકો તેમને મદદગાર તરીકે નથી જોતાં. સમગ્ર પોલીસ તંત્રને એક નજરે ન જોવુ જોઇએ. અનેક ઇમાનદાર અધિકારીઓ, પ્રજાભિમુખ અધિકારીઓ અને ફરજનિષ્ઠ કર્મચારીઓ થકી આ તંત્ર ચાલી રહયુ છે. પરંતુ અન્ય ક્ષેત્રની માફક પોલીસ તંત્રમાં પણ લુણો લાગ્યો છે. પોલીસની સતાના માધ્યમથી પૈસો બનાવવા અને પ્રભાવવ વધારવાની હોડમાં આવા મુઠ્ઠીભર લોકો સમગ્ર પોલીસ તંત્રની આબરૂ દાવ ઉપર લગાડે છે. તેમાં પણ જયારે આઇપીએસ અધિકારીઓ શંકાના ઘેરાવમાં આવે ત્યારે પરિસ્થિતિ વધુ બગડે છે.