- અગનવર્ષા સમાન પડતી ગરમીમાં પ્રાણી પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા
- કાળઝાળ ગરમી વચ્ચે કૂલરની મજા માણતા કાંકરિયા ઝૂના પ્રાણી-પક્ષીઓ
- ઝુ માં હિપ્પોએ હોજમાં માણી મજા તો દર 1 કલાકે પાણીનો છંટકાવ
આગઝરતી ગરમીમાં અમદાવાદની જનતા ત્રસ્ત છે. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા માટે કુલર મૂકયા છે.જયા સિંહ-વાઘ સહિત પક્ષીઓ કુલરની ઠંડી હવાની મોજ માણતા નજરે પડયા હતા.ગ્રીન નેટ થકી છાંયડો કરતા ઝુ માં પ્રાણીઓને ગરમીથી મળી છે રાહત તો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 2000થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ છે,સાથે સાથે ગરમી વધતા પક્ષી-પ્રાણીઓનું સતત મેડિકલ ચેક અપ તબીબની ટીમ કરી રહી છે.
પ્રાણી-પક્ષી માટે ખાસ વ્યવસ્થા
હાલ ગરમીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.વધતી ગરમીને ધ્યાનમાં લઈને 35થી 40 મોટા ઇન્ડસ્ટ્રીયલ કૂલર મુકવામાં આવ્યા છે. સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રાણીઓને ઠંડક મળે. સાથે તેમના પાણીમાં ORS અને ઈલેટ્રોરલ પાઉડર પણ નાખવામાં આવી રહ્યો છે. આ સાથે ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે.
ગ્રીન નેટ થકી છાંયડો
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 2000થી વધુ પક્ષીઓ અને પ્રાણીઓ છે. પ્રાણી સંગ્રહાલયની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષ હોવાથી થોડા અંશે ગરમીથી રાહત તો ચોક્કસ મળે છે. પરંતુ જ્યાં તડકાનું પ્રમાણ જોવા મળે છે, ત્યાં ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે. જેથી ન માત્ર પ્રાણીઓ પણ મુલાકાતીઓને પણ ગરમીથી રાહત મળે. પ્રાણીઓ તેમજ પક્ષીઓ ડિહાઇડ્રેશનનો શિકાર ન બને અને તેમના શરીરમાં યોગ્ય તાપમાન જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી હોય છે.

રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં અનોખી સુવિધા
વધતી જતી ગરમીને લઈ રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓ માટે અનોખી સુવિધા ઉભી કરવામાં આવી છે.પાણી,કુલર અને ફુવારાની સુવિધા સાથે પશુ,પક્ષીઓને હવે ખોરાકમાં વિટામિન્સ આપવામાં આવશે,જેના કારણે તેઓ હીટસ્ટ્રોકમાંથી આશાનીથી બચી શકશે.પક્ષીઓને ચણની અંદર વિટામિન્સ અપાશે.દરરોજ અંદાજે ૧૦થી ૧૫ પશુ-પક્ષીઓને વેટરનરી હોસ્પિટલોમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યાં છે. ગરમી વધવાને કારણે પક્ષીઓનાં શરીરમાં પાણીની માત્રા ઓછી થઇ જવાને કારણે અચાનક જ વૃક્ષ પરથી પડી જવાથી પક્ષીઓ મૃત્યુ પામી રહ્યાં છે
પ્રાણીઓને પણ અપાય છે કેન્ડી
બપોર પછીના સમયે તાપમાનનો પારો ખૂબ ઊંચો હોય ત્યારે રીંછને ખાસ પ્રકારની ફ્રુટ કેન્ડી આપવામાં આવે છે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખા તથા જરૂરીયાત મુજબ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં ઝાડ હોવાથી પ્રાણીઓ તડકાથી રાહત મેળવે છે. નાના કદના પ્રાણીઓ વરૂ, શીયાળ, ઝરખ, લોમડી, શાહૂડી વિગેરે પ્રાણીઓનાં પાંજરાઓમાં ખાસ પ્રકારની ગુફાઓ બનાવવામાં આવી છે. જેમાં પ્રાણીઓ ગરમીના સમયે આરામ કરી શકે છે. પાંજરાની અંદર વળક્ષોની ડાળીઓ વચ્ચે ફોગર (ફુવારા) ગોઠવાયા છે. જેથી સમગ્ર પાંજરાનું વાતાવરણ ઠંડુ રહી શકે. રાત્રીના સમયે તમામ પ્રાણીઓના નાઇટ શેલ્ટરમાં પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ખોરાકમાં થયો ઘટાડો
તમામ પ્રાણી-પક્ષીઓમાં ગરમીના કારણે લૂઝ મોશન ના થાય તે માટે તે માટે પીવાના પાણીમાં ઓ.આર.એસ. પણ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં માંસાહારી પ્રાણીઓમાં અંદાજે 10 ટકા જેટલો ખોરાકમાં ઘટાડો નોંધાય છે. જ્યારે સરીસૃપ પ્રજાતિના પ્રાણીઓ જેવા કે મગર, સાપ, કાચબા વિગેરેમાં દૈનીક ખોરાકમાં વધારો નોંધાયો છે.


