બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી ગઈ છે. શાકિબ છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સપ્ટેમ્બર 2024 માં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેમની બોલિંગ એક્શનને ગેરકાયદેસર ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો. હવે શાકિબને બીજો મોટો આંચકો લાગ્યો છે. સ્ટાર ખેલાડી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.
શાકિબ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર
ઢાકાની એક કોર્ટે ચેક બાઉન્સ કેસમાં સ્ટાર ખેલાડી વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. શાકિબ સિવાય ધરપકડ વોરંટમાં અન્ય ત્રણ લોકોના નામ પણ સામેલ છે. ઢાકાના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ઝિયાદુર રહેમાને રવિવારે આ આદેશ જાહેર કર્યો. 15 ડિસેમ્બર, 2024ના રોજ, શાકિબનું નામ છેતરપિંડીના કેસમાં સામે આવ્યું.
આ પછી, કોર્ટે 18 ડિસેમ્બરે કોર્ટમાં સુનાવણી બાદ શાકિબને 19 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો. આ કેસમાં શાકિબની કંપની અલ હસન એગ્રો ફાર્મ લિમિટેડના મેનેજર શાહગીર હુસૈન, ડાયરેક્ટર ઈમદાદુલ હક અને મલાઈકર બેગમ પણ સામેલ છે.
જાણો કેમ નોંધાયો શાકિબ વિરુદ્ધ કેસ
ચેક બાઉન્સ કેસમાં, ICICI બેંકના રિલેશનશિપ ઓફિસર શાહીબુર રહેમાને બેંક વતી કેસ દાખલ કર્યો હતો. બેંક અધિકારીના જણાવ્યા મુજબ, શાકિબ અને તેની કંપનીએ 41.4 મિલિયન ટાકા એટલે કે અંદાજે 3 કરોડ ભારતીય રૂપિયા ચેક દ્વારા ચૂકવવાના હતા. પરંતુ શાકિબ આમ કરવામાં નિષ્ફળ ગયો.
બાંગ્લાદેશમાં નથી શાકિબ
બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ બાદ શાકિબ અલ હસન દુબઈ ગયો. તેની સામે હત્યાનો પણ ગુનો છે. શાકિબે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ભારત સામે 2024માં રમી હતી. આ સમય દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરંતુ શાકિબ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમવા માંગતો હતો. પરંતુ સુરક્ષાના કારણોસર બોર્ડે તેની પસંદગી કરી ન હતી.
શાકિબ 2024 ના T20 વર્લ્ડકપ પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેશે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે. પરંતુ બોર્ડ તેને તક આપે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.
કરિયર પર એક નજર
શાકિબે બાંગ્લાદેશ માટે 71 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 4609 રન બનાવ્યા છે અને 246 વિકેટ લીધી છે. 247 વનડે મેચોમાં, 7570 રન બનાવવા સિવાય આ ખેલાડીએ 317 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા છે. 129 T20 મેચોમાં, આ સ્ટાર ખેલાડીએ 2551 રન બનાવ્યા છે અને 149 વિકેટ લીધી છે.


