- નવી સરકાર બાદ વિભાગોની ફાળવણીને લઈને વિપક્ષના પ્રહાર
- પીટીઆઈ નેતા ગૌહર ખાને પીએમ શાહબાઝ પર ઠાલવ્યો આક્રોશ
- નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતાએ કર્યા ભારતના વખાણ
પાકિસ્તાનમાં નવી સરકારની રચના થઈ ચૂકી છે. શાહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવામાં સફળ થયા છે. સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર પણ શરૂ થઈ ગયું છે. તો, પીટીઆઈ નેતા ગૌહર ખાને પીએમ શાહબાઝ પર ગુસ્સો ઠાલવ્યો છે અને પાડોશી દેશ ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે.
વાસ્તવમાં, વિભાગોની વહેંચણી દરમિયાન બધાને ખુશ કરવા માટે શાહબાઝે કેટલાક વિભાગોમાં વધારો કર્યો હતો અને વહેંચણી કરી હતી. આ મુદ્દે ગૌહર ખાને વર્તમાન સરકાર પર ગુસ્સો ઠાલવતાં કડક શબ્દોમાં ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થા બનાવવા અને ચલાવવા માટે આપણે ભારત પાસેથી શીખવાની જરૂર છે.
પીટીઆઇ નેતાએ કહ્યું કે શરીફ પરિવારનું એકમાત્ર લક્ષ્ય પોતાનું પેટ ભરવાનું અને પોતાના સગાઓને ફાયદો પહોંચાડવાનો છે. વગર કોઈ જરૂરિયાતે વિભાગો વધારીને લોકો વચ્ચે વહેંચણી કરવામાં આવી છે.
ગૌહર ખાને શાહબાઝ શરીફને ટાર્ગેટ કરતાં કહ્યું કે “હું તમને ભારતનું ઉદાહરણ આપું. 1971માં ભારતની વસ્તી લગભગ 54 કરોડ હતી. અત્યારે ત્યાંની વસ્તી 140 કરોડ છે. ત્યાં 1971મે લોકસભાની જેટલી બેઠકો હતી આજે 140 કરોડની વસ્તી થઈ છતાં પણ એટલી જ બેઠકો છે.”
ખાને પોતાની વાતને આગળ કરતાં વધુમાં કહ્યું, “વસ્તી વધી હોવા છતાં ભારતમાં બેઠકોમાં વધારો નાથી કરવામાં આવ્યો. તેઓ પોતાની જનતા માટે પૈસા બચાવવા માંગે છે. તેઓએ સીટો વધારવા અને પોસ્ટની વહેંચણી પર ધ્યાન નાથી આપ્યું. હાલના સમયમાં 140 કરોડની વસ્તીવાળા દેશમાં લોકો તે જ બેઠકો પર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, “સત્તામાં જો હોદ્દાઓની વહેંચણી ન કરવામાં આવે અને લોકોને એડજસ્ટ ન કરવામાં આવે તો લોકશાહી આગળ વધે છે. પરંતુ જો ફાયદાનો વિચાર કરવામાં આવ્યો તો દેશની પ્રગતિમાં અવરોધો ઊભો થાય છે.”
ગૌહર ખાને આગળ કહ્યું કે, લોકોને ફાયદો પહોંચાડવા અને પોતાના લોકોને આગળ વધારવાની વિચારસરણી રાખતા શરીફ પરિવારના રાજકારણે દેશને ઘણો પાછળ ધકેલી દીધો છે અને લોકશાહી ખાતાં થઈ ચૂકી છે.


