લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
2 વર્ષથી લટકતી સગાઈ મુદ્દે વિવાદ ઉગ્ર, ઈજાગ્રસ્ત યુવક રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં સગાઈ બાદ લગ્ન લટકાવવાના મુદ્દે ઉદ્ભવેલો વિવાદ હિંસક બનતાં જમાઈ પર જ સસરા પક્ષે હુમલો કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જરીયા મહાદેવ મંદિર પાસે આવેલી નર્સરી નજીક થયેલા આ બનાવમાં 29 વર્ષીય અજીત ભોજીયાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શક્તિપરા ગામે રહેતા અજીત ભુપતભાઈ ભોજીયા ગત રાત્રે લગભગ 9 વાગ્યે નવાગામ વિસ્તારમાં જરીયા મહાદેવ નજીક આવેલી નર્સરી ખાતે હાજર હતા. આ દરમિયાન તેમના સસરા ગુલાબભાઈ તેમજ સાળાઓ રામભાઈ, રાજુભાઈ અને સંજયભાઈ સહિતના લોકોએ તેમને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં અજીતને ખાસ કરીને પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટના બાદ અજીતને તાત્કાલિક ચોટીલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેમની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે અજીત મજૂરી કરીને લાકડું કાપવાનું કામ કરે છે અને ઘરનો મોટો દીકરો છે. લગભગ બે વર્ષ પહેલાં તેની સગાઈ ચોટીલા નજીક નવાગામ વિસ્તારમાં રહેતા ગુલાબભાઈની દીકરી સાથે થઈ હતી. સમાજના રિવાજ મુજબ અજીત તરફથી અંદાજે રૂ.2 લાખની રકમ પણ ચૂકવવામાં આવી હતી.
તેમ છતાં લાંબા સમયથી લગ્ન બાબત કોઈ નિર્ણય ન લેવાતા બંને પરિવારો વચ્ચે વારંવાર ચર્ચાઓ ચાલતી હતી. ગત રોજ અજીતને સસરા પક્ષે મહેમાનગતિ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં ભોજન બાદ અજીતે ફરી લગ્ન અંગે વાત ઉઠાવી હતી. અજીતના જણાવ્યા અનુસાર, સગાઈને બે વર્ષ થઈ ગયા છે અને જરૂરી રકમ પણ ચૂકવી દીધી છે, તો હવે લગ્ન કરાવી દો, એવી વાત કરતા જ સસરા પક્ષે ઉશ્કેરાઈ ગયા હતા. વાતચીત દરમિયાન બોલાચાલી વધી ગઈ અને થોડા જ સમયમાં પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી.
આક્ષેપ મુજબ, સસરા અને સાળાઓએ મળીને અજીત પર હુમલો કર્યો અને ધોકા તથા લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં અજીતના પગને ગંભીર ઇજા થતાં તૂટફૂટ થઈ હોવાનું જાણવા મળે છે. હાલમાં ઘટનાની જાણ પોલીસ સુધી પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત અજીતના નિવેદનના આધારે પોલીસ સસરા પક્ષના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


