બિહારનું રાજકારણ હવે દિલ્હીના રાજકારણની માફક આગળ વધશે.નીતિશની ગત સરકારમાં મંત્રી રહેલાંઓ સામે કોર્ટ કાર્યવાહી થશે. વિવિધ ગેરરીતિના મામલે ઇડી સહિતની સરકારી એજન્સીઓની તપાસ આગળ વધશે. નીતિશની ભાજપ સાથેની નવી દોસ્તીમા રોડાં નાંખવા અને નીતિશની સરકાર તોડવા માટે તેજસ્વી યાદવ ,લાલુ યાદવ વધુ પ્રયાસ કરશે તો તેજસ્વીનું તેજ હણવા માટે લાલુ પરિવારના સભ્યોની જેલયાત્રાના સંજોગો પણ સર્જાશે તેવા રાજકિય સંકેતો મળી રહયા છે.
બિહારનું રાજકારણ તેજ થયુ છે ત્યારે જ દિલ્મી કોર્ટે શનિવારે બિહારના પૂર્વ મુખ્યમ઼ત્રી રાબડી દેવી અને તેમની પુત્રીઓ મીસા ભારતી અને હેમા યાદવ તથા અન્ય લોકોને સમન્સ પાઠવ્યા હતાં. વિશેષ ન્યાયધીસે આરોપીઓને તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે ઇડીની ચાર્જશીટની નોંધ લીધા બાદ સમન્સ પાઠવ્યા હતાં. આ સાથે જ કોર્ટે ઉદ્યોગપતિ અમિત કાત્યાલ સામે પ્રોડકશન વોરંટ પણ જારી કર્યુ હતું. અમિત કાત્યાલની ગત નવેમ્બર માસમાં આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવને એજન્સી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ હતું. લાલુ યાદવ આ કેસમાં હજુ હાજર થયા નથી.
યુપીએ-૧ સરકારમાં લાલુ યાદવ રેલમંત્રી હતાં ત્યારે ભારતિય રેલવેમા વિવિધ ઝોનમા ગ્રુપ ડી’માં ઘણા લોકોને જમીનના બદલામાં નોકરી આપવામાં આવી હતી. આ જમીન રેલવે મંત્રીના સગા સબંધીઓ અને નજીકના લોકોના નામે ટ્રાન્સફર થઇ હતી.
જો તેજસ્વી યાદવ બિહારમાં નીતિશ અને ભાજપના સહયોગની નવી રાજય સરકારને તોડવા માટે અથવા કોંગ્રેસ વગેરેના ધારાસભ્યોને તોડી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પ્રયાસ કરશે તો તેના પરિણામ પણ તેને ભોગવવા પડશે. એ પહેલાં જ તેમનું તેજ હણી નાંખવામાં આવે તેવી પણ શકયતા પણ જાણકારો સેવી રહયા છે. દિલ્હીમાં કેજરીવાલ સહિતના નેતાઓના જ કૌભાંડો અંગે તપાસ થઇ રહી છે અને સિસોદિયા સહિતના નેતાઓને જેલવાસ થયો છે તે હવે બિહારમાં થવાની શકયતા પણ નકારી શકાતી નથી.