સિરામીક, ટેક્સટાઈલ, બ્રાસના ઉદ્યોગમાં ગંભીર કટોકટી
મિડલ ઈસ્ટના ભયંકર યુદ્ધથી ગુજરાતમાં લાખો શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થચિન્હ મુકાયું: ૪૦ ટકાથી વધુ યુનિટોમાં તાળાબંધી, વેકેશન
અગ્ર ગુજરાત, રાજકોટ
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલ યુદ્ધની અસરો હવે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણાતા ઉદ્યોગો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ઈરાન યુદ્ધ અને ગલ્ફ દેશોની અસ્થિરતાને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ, સુરતનો ટેક્સટાઈલ (વીવિંગ) ઉદ્યોગ અને જામનગરનો બ્રાસ ઉદ્યોગ અત્યંત ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. કાચા માલની અછત અને ઈંધણના વધતા ભાવે હજારો શ્રમિકોની રોજીરોટી સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે.
નોંધનીય છે કે વૈશ્વિક યુદ્ધની આ આગમાં ગુજરાતના આર્થિક હબ ગણાતા શહેરો હોમાઈ રહ્યા છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ગેસના ભાવમાં રાહત કે ટેક્સમાં છૂટછાટ આપવામાં નહીં આવે, તો રાજ્યના જીડીપી અને રોજગારી પર તેની લાંબાગાળાની ગંભીર અસરો જોવા મળી શકે છે.
મોરબી સિરામિક ઉદ્યોગ: નેચરલ ગેસના ભાવમાં સીધો 100% વધારો
મોરબીના સિરામિક ઉદ્યોગ માટે એપ્રિલ મહિનો આર્થિક રીતે ભારે સાબિત થવા જઈ રહ્યો છે. ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં ધરખમ વધારો કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. યુદ્ધ પહેલા ગેસનો ભાવ જે રૂ. 41 હતો, તે એપ્રિલથી કુલ વપરાશ પર રૂ. 85 (પ્લસ ટેક્સ) થવાની શક્યતા છે. અત્યાર સુધી 50% વપરાશ પર રૂ. 41 અને વધુ વપરાશ પર રૂ. 63 લેવાતા હતા, પરંતુ હવે કંપનીને નવો માલ મોંઘો મળતો હોવાથી સીધો રૂ. 85નો ભાવ ઇન્ડિકેટિવ તરીકે અપાયો છે. આ ભાવ વધારાને કારણે ટાઇલ્સની પડતર કિંમતમાં મોટો ઉછાળો આવશે.
હાલમાં મોટાભાગના એકમો બંધ છે, છતાં જે 70 જેટલા એકમો ચાલુ છે તેમને આ ભાવ વધારો મોટો ફટકો મારશે. સિરામિક એસોસિએશને ઉદ્યોગકારોને હાલ ‘MGO’ માટે અરજી ન કરવા સૂચન કર્યું છે અને સરકાર પાસે વેટ (VAT) ઘટાડવા રજૂઆત કરવાની તૈયારી કરી છે.
સુરત વીવિંગ ઇન્ડસ્ટ્રી: પ્રોડક્શન કાપ અને સાપ્તાહિક રજાઓ
સુરતની શાન ગણાતો ટેક્સટાઈલ ઉદ્યોગ હાલમાં યાર્નના વધતા ભાવ અને તૈયાર માલના ઓછા ભાવ વચ્ચે પીસાઈ રહ્યો છે. ફોગવા દ્વારા તાજેતરમાં મળેલી જાહેર સભામાં મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં 85% વીવર્સે પ્રોડક્શન ઘટાડવાની તરફેણ કરી છે. ખર્ચને નિયંત્રિત કરવા માટે કાં તો દરરોજ એક પાળી (શિફ્ટ) બંધ રાખવી અથવા અઠવાડિયામાં બે દિવસ રજા રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે.શ્રમિકોની અછત, યાર્નના આસમાને પહોંચેલા ભાવ અને ગ્રે માર્કેટમાં નબળી માંગને કારણે 35 હજારથી વધુ વીવિંગ કારખાનેદારો મુશ્કેલીમાં છે.
જામનગર બ્રાસ ઉદ્યોગ: 80% એકમોને લાગ્યા તાળા
જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગની હાલત સૌથી વધુ કફોડી બની છે. ગલ્ફના યુદ્ધને કારણે સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જામનગરના બ્રાસ ઉદ્યોગને મળતો ઓક્સિજન બંધ થયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અંદાજે 450થી વધુ એકમો અત્યારે બંધ હાલતમાં છે. કુલ ઉદ્યોગના 80% એકમોમાં શટડાઉન જેવી સ્થિતિ છે. યુકે, અમેરિકા અને ગલ્ફ દેશોમાંથી આવતો કાચો માલ બંધ થયો છે. સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ગેસની ભારે અછત સર્જાઈ છે. હજારો પરપ્રાંતીય અને સ્થાનિક શ્રમિકો બેરોજગાર બન્યા છે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાલમાં ગેસ સિલિન્ડરોની વિગતો મંગાવી પરિસ્થિતિ થાળે પાડવા પ્રયાસો શરૂ કરાયા છે.


