- બોટ દુર્ઘટના કેસમાં 20 આરોપીઓની કરાઈ હતી ધરપકડ
- નિષ્ણાંતો સહિત 433 લોકોના નિવેદનો નોંધાયા
- દુર્ઘટનામાં 12 બાળકો, 2 શિક્ષકોના નિપજયાં હતા મોત
વડોદરામાં 18 જાન્યુઆરી 2023ના રોજ થયેલી ગમખ્વાર દુર્ઘટના હજી ભૂલાતી નથી.હરણી તળાવમાં એક બોટમાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો બેઠા હતા. તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા. જો કે કેટલાકને તો બહાર કાઢી લેવાયા હતા.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ દોડી આવી હતી અને 13 બાળકોને સલામત રીતે બહાર કઢાયા હતાં.આ સમગ્ર ઘટનાને લઈ અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે,તો 433 લોકોના નિવેદન નોંધાયા છે.આ સમગ્ર ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતાં.
કરાઈ હતી SITની રચના
આ ગોઝારી ઘટનામાં પોલીસ કમિશનર દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી. ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ત્રણ DCP, એક ACP, બે PI તથા એક PSIનો સમાવેશ કરાયો હતો. આ દુર્ઘટના મામલે હરણી પોલીસ પાસેથી તપાસ લઈને SITને સોંપવામાં આવી હતી.
કઈ રીતે બોટે પલટી મારી હતી
આ અંગે પોલીસ અને FSLના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા હતા. જેમાં જાણવા મળ્યુ હતું કે, હરણી તળાવમાં બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સાથે તપાસમાં સામે આવ્યું છે કે, એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આગળના ભાગે બાળકો બેસાડયાં હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી.
રીપોર્ટ કરાયો હતો તૈયાર
વડોદરા જિલ્લા કલેકટરે હરણી બોટ દુર્ઘટના કેસનો રિપોર્ટ તૈયાર કરી દીધો હતો.રીપોર્ટ તૈયાર કરતા 19 દિવસ જેટલો સમય લાગ્યો હતો. સરકારે 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. અને સમગ્ર રીપોર્ટ રાજયસરકારમાં રજૂ કરાયો હતો.વડોદરા જિલ્લા કલેકટરે તૈયાર કરેલા રિપોર્ટ બાદ બોટકાંડ પાછળના અસલી ચહેરાનો પર્દાફાશ થયો હતો.સમગ્ર કેસના મુખ્ય આરોપી દીપેન શાહ અને ધર્મીલ શાહની પણ ધરપકડ કરવામાં આવી હતી.


