દેશનું પ્રથમ મેગા સિટી જયાં ઝુંપડપટ્ટી ઇતિહાસ બની જશે : રાજય સરકારની મોટી જાહેરાત
ગુજરાતનું ડાયમંડ સિટી સુરત હવે શહેરી વિકાસ ક્ષેત્રે દેશભરમાં એક નવું ઉદાહરણ બેસાડવા જઈ રહ્યું છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારે માહિતી આપી છે કે સુરત શહેર ઝૂંપડપટ્ટી મુક્ત બનવાની ખૂબ નજીક છે. છેલ્લા બે દાયકાની મહેનત બાદ, અહીં સ્લમ વિસ્તારમાં રહેતી વસ્તી 38% થી ઘટીને માત્ર 5% રહી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે સુરતને સંપૂર્ણપણે સ્લમ ફ્રી સિટી જાહેર કરવા માટે વહીવટી તંત્રને કામે લગાડ્યું છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના મહાનગરોને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સસ્તા આવાસો અને પુનર્વસનની એક મહત્વકાંક્ષી યોજના શરૂ કરી હતી. વર્ષ 2006 ના આંકડા જોઈએ તો સુરતની કુલ વસ્તીના લગભગ 38% લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. પરંતુ છેલ્લા 20 વર્ષના સતત પ્રયાસોને કારણે આજે આ આંકડો ઘટીને માત્ર 5% પર આવી ગયો છે, જે એક મોટી સિદ્ધિ છે.
ભારતમાં હાલ ચંડીગઢ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર તરીકેનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેની વસ્તી આશરે 10 લાખની આસપાસ છે. તેની સરખામણીમાં સુરતની સિદ્ધિ ઘણી મોટી અને જટિલ છે કારણ કે સુરતની વસ્તી 70 થી 80 લાખ જેટલી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આટલી વિશાળ જનસંખ્યા ધરાવતું સુરત જ્યારે સંપૂર્ણપણે ઝૂંપડપટ્ટી મુક્ત (Slum Free) બનશે, ત્યારે તે દેશનું પ્રથમ મેગા સિટી હશે જેણે આ માઈલસ્ટોન હાંસલ કર્યો હોય. આ કામગીરી શહેરી આયોજનના સંદર્ભમાં ખૂબ જ નોંધપાત્ર બની રહેશે.
સુરતમાં જે રીતે સ્લમ વિસ્તાર નહિવત થઈ રહ્યો છે તે સાનુકૂળ સંજોગોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટ બેઠકમાં કડક સૂચનાઓ આપી છે. તેમણે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યો છે કે સુરતને સત્તાવાર રીતે રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી મહાનગર બનાવવા માટે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના વિભાગો સંકલન સાધીને પરિણામલક્ષી પગલાં ભરશે.
અન્ય શહેરોમાં પણ સુરત પેટર્ન લાગુ થશે
સુરતની સફળતા માત્ર એક શહેર પૂરતી સીમિત રહેશે નહીં. મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સુરતની તર્જ પર રાજ્યના અન્ય નગરો અને મહાનગરોને પણ તબક્કાવાર રીતે ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવાના છે. આ માટે અત્યારથી જ આયોજન કરી અન્ય શહેરોમાં પણ ગરીબોના જીવનધોરણમાં સુધારો લાવવા અને પાકા મકાનો ઉપલબ્ધ કરાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.


