- ડિસેમ્બર મહિનામાં પણ 3 ટ્રીપ ગઈ હોવાના પુરાવા
- વધુ એજન્ટો દિલ્હી અને અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યુ
- એજન્ટો 60 – 80 લાખ રૂપિયા નક્કી કરે છે
ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે તપાસ તેજ થઇ છે. જેમાં 14 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમજ ડિસેમ્બર મહિનામાં પણ 3 ટ્રીપ ગઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. તથા વધુ એજન્ટો દિલ્હી અને અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યુ છે. ત્યારે CIDએ જણાવ્યું છે કે એજન્ટોને રૂપિયાનું રિસ્ક છે. એજન્ટો 60 – 80 લાખ રૂપિયા નક્કી કરે છે.
વિમાનમાં 200 કરતા વધુ પંજાબી લોકો હતા
વિમાનમાં 200 કરતા વધુ પંજાબી લોકો હતા. જેમાં દિલ્હીના એજન્ટો પંજાબી માટે ફ્લાઈટ બુક કરે છે. તથા વિમાનમાં જગ્યા હોય તો ગુજરાતી એજન્ટોનો સંપર્ક કરે છે. દિલ્હીના એજન્ટોએ મહિનામાં 3 ટ્રીપ મારી હોવાનું ખૂલ્યું છે. તેમાં 14 આરોપી વિરુદ્ધ LOCની કાર્યવાહી કરવામાં આવશે. ગયા મહિનામાં ગેરકાયદેસર નિકારાગુઆ થઈ ફ્રાન્સ જતુ વિટ્રી એરપોર્ટ પરથી પ્લેન ઝડપાયુ હતુ. જેમાં 60 થી વધુ ગુજરાતી હતા. તેની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ છે. અમેરિકામાં પણ વકિલ એજન્ટ છે. જે ત્યાં પકડાય તો સેટલ થવામાં મદદ કરતા હતા.
જાણો સમગ્ર મામલો:
ભારતમાંથી કબુતરબાજીની આશંકા વચ્ચે 303 જેટલા પેસેન્જરોને લઈને દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા રોમાનિયાના લિજેન્ડ એરલાઈન્સ ખાનગી પ્લેનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું હતું. જેની તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં ભારતીય અધિકારીઓ દોડી ગયા હતા અને ત્યાં પેસેન્જરોની પૂછપરછ હાથ ધરી હતી. આ પ્લેન મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચતા તેમાં સવાર પેસેન્જરો પોતાના ઘરે પહોંચ્યા હતા.
ભોગ બનનારા પરિવારજનો આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી
આ પ્લેનમાં ગુજરાતના 96 જેટલા પ્રવાસીઓમાંથી 21થી 27 જેટલા લોકો મહેસાણા અને ઉત્તર ગુજરાતના હોવાની માહિતી સામે આવી હતી. કબુતરબાજીનો ભેદ ઉકેલવા માટે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે. 20થી 40 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો મહેસાણા જિલ્લાના જોરણગ, ખેરવા, ગોઝારિયા, દિવાનપુરા, આખજ તેમજ મહેસાણાના હોવાની માહિતી ગામમાંથી મળી રહી છે. સીઆઈડીના અધિકારીઓ દ્વારા બે ગામમાં ત્રણ લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધવામા આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. જેમાં તેઓ વિદેશમાં માત્ર ફરવા ગયા હોવાનું જણાવી રહ્યા છે. આ મુદ્દે હજુ પણ પોલીસ કે અન્ય કોઈ એજન્સી દ્વારા પેસેન્જરોની સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી. હાલમાં તો પોલીસ અધિકારીઓની વિવિધ ટીમો માહિતી અને નિવેદન એકત્ર કરી રહી છે. કબુતરબાજીમાં સંડોવાયેલા એજન્ટો ભુગર્ભમાં ગયા હોવાનું જણાય છે. ઉપરાંત ભોગ બનનારા પરિવારજનો આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.


