- ભાજપના કેન્દ્રીય નેતાઓ સાથે ભૂપેન્દ્ર પટેલની બેઠક
- રાજ્યસભામાંથી ટર્મ પૂર્ણ થયા બાદ રૂપાલા, માંડવિયાના વિભાગોને લઈને સસ્પેન્સ
- કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ અહીં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમથી વાકેફ કર્યાનું જાણવા મળ્યુ
રાજકોટ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવાર બદલવા મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગણી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે દિલ્હીમાં હતા. જ્યાં તેમણે કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ અહીં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમથી વાકેફ કર્યાનું જાણવા મળ્યુ છે. આ તરફ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે અમદાવાદ આવી રહ્યા છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા બંને અનુક્રમે પોરબંદર અને રાજકોટમાં પ્રચારકાર્ય સ્થગિત રાખીને બુધવારે દિલ્હી જઈ રહ્યાનું જાણવા મળ્યુ છે.
ગુજરાત ભાજપ અને ઉમેદવારો સામે અસંતોષની બાબલ મુદ્દે ચાલી રહેલી માથાકૂટ પર કેન્દ્રીય નેતૃત્વ નજર રાખી રહ્યાનું જાણવાતા ટોચના આગેવાને કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં સોમવારે લોકસભા ચૂંટણી- 2024 ઘોષણાપત્રની સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. એસ. જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને તેઓ મંગળવારે ભાજપના પ્રચાર અંતર્ગત અમદાવાદમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી શકે તેમ છે. આથી, રાજકોટના ઉમેદવાર પરસોત્તમ સોલંકી અને પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયાનો દિલ્હી પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. અલબત્ત આ બંને કેન્દ્રીય મંત્રીઓ બીજી એપ્રિલના રોજ રાજ્યસભામાંથી નિવૃત થઈ રહ્યા છે. આથી, ત્યારબાદ પણ તેમની પાસે ભારત સરકારના મંત્રી તરીકે વિભાગો રહેશે કે પછી સાંસદ તરીકેની ટર્મ પૂર્ણ થાય બાદ તેમના વિભાગો ફરીથી વડાપ્રધાનને હસ્તક થાય છે તે અંગે સસ્પેન્સ છે. ગુજરાતના આ બે મંત્રી સિવાય રાજ્યસભામાં ટર્મ પૂર્ણ થઈ રહી હોય તેવા અનેક મંત્રીઓ ભારત સરકારમા છે.
વડાપ્રધાન મોદી સાથે મુખ્યમંત્રીની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે નવી દિલ્હીમાં ભાજપની ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. અડધો કલાકથી વધુ સમય ચાલેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાતમાં સાબરકાંઠા, અમરેલી અને રાજકોટ લોકસભા મતક્ષેત્રમાં ઉમેદવારને લઈને ચાલી રહેલા વિવાદો અંગે વડાપ્રધાનને અવગત કર્યાની ચર્ચા છે. નરેન્દ્ર મોદી સાથેની આ બેઠકમાં મુખ્યમંત્રી સ્વંય સફેદ ડાયરી લઈને ગયા હતા. જેમાં રહેલી નોંધને આધારે તેમણે સાંપ્રત સ્થિતિનું રિપોર્ટિંગ કર્યાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે, ગત સપ્તાહે મુખ્યમંત્રીએ સાબરકાંઠામાં મહિલા ઉમેદવાર સામે અસંતોષને ઠારવા પોતાના નિવાસસ્થાને બે જિલ્લાના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો, પ્રમુખોને બોલાવીને મામલો થાળે પાડયો હતો.
ચૂંટણી પ્રચાર પછી જય અમિત શાહે રાયપુરમાં ભજિયાનો લુત્ફ ઉઠાવ્યો
ગાંધીનગર લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી પ્રચાર કરી રહેલી ટીમ રવિવારે મોડી રાતે અમદાવાદ શહેરમાં રાયપુર દરવાજે પહોંચી હતી. જય અમિત શાહ, ગાંધીનગર લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક, પૂર્વ મંત્રી જીતુ વાઘાણી, સહપ્રભારી કે.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ સહિતના આગેવાનોએ કાર્યકરોની સાથે રાયપુરના ભજિયાનો લુત્ફ ઉઠાવ્યો હતો.


