- ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીમાં આજે પરિણામ જાહેર
- બોર્ડની તમામ બેઠકો પર દેવપક્ષની ભવ્ય જીત
- સાધુ બેઠક પર શાસ્ત્રી હરિજીવન સ્વામીની જીત
ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય થયો છે. બોર્ડની તમામ બેઠકો પર દેવપક્ષની જીત થઈ છે. મળતી માહિતી મુજબ, સાધુ, પાર્ષદ, ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો પર દેવપક્ષની જીત થઈ છે. ગૃહસ્થ બેઠકમાં દેવપક્ષના જનક પટેલ, બટુક પટેલ, વીનુ પટેલ, સુરેશ દામજી પટેલની જીત થઈ છે. તો સાધુ બેઠક પર શાસ્ત્રી હરિજીવન સ્વામીની જીત થઈ છે. પાર્ષદ બેઠક પર પોપટ ભગતનો વિજય થયો છે. મહત્વનું છે કે બ્રહ્મચારી બેઠક પહેલા જ બિનહરીફ થઈ હતી.
પ્રથમ સાધુ અને પાર્ષદ બે બેઠકની મતગણતરી કરાઈ
બોટાદના ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણી મામલે આજે આચાર્ય પક્ષના વિવાદ બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ સાધુ અને પાર્ષદ બે બેઠકની મતગણતરી કરાઈ છે. દેવ પક્ષના સાધુ બેઠકના શાસ્ત્રી હરિજીવન સ્વામી તો પાર્ષદ બેઠકના કપિલેશ્વરની જંગી મતથી જીત થઇ છે. શાસ્ત્રી હરિજીવન સ્વામીને કુલ 107 મત 119 માંથી મળેલ તો આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર 12 મત મળેલ છે. દેવપક્ષના પાર્ષદ કપિલેશ્વરને કુલ 69 માંથી 62 મત મળેલ ત્યારે આચાર્ય પક્ષના ઉમેદવારને માત્ર 6 મત મળેલ છે.

દેવ પક્ષના સાધુ સંતોમાં જીત લઇ ખૂબ આનંદ જોવા મળ્યો
અગાઉ એક બેઠક પર દેવપક્ષની જીત બાદ અન્ય બે બેઠક પર જીત મળતા કુલ 7 માંથી 3 બેઠક પર દેવપક્ષનો વિજય થયો છે. જેમાં દેવ પક્ષના સાધુ સંતોમાં જીત લઇ ખૂબ આનંદ જોવા મળ્યો છે. જેમાં ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણીની મતગણતરી પહેલા વિવાદ થયો હતો. જેમાં આચાર્ય પક્ષના એસ.પી સ્વામીએ સવાલો ઉઠાવ્યા હતા. તેમાં એસ.પી સ્વામીની ચૂંટણી અધિકારીને લેખિતમાં માંગ હતી કે ગૃહસ્થ વિભાગની મતગણતરીમાં સાધુને ન જવા દેવા. તેમજ ગૃહસ્થ વિભાગની મતગણતરી કેન્દ્રમાં ચેરમેન, સંતો હાજર રહેતા ગડબડી કરી શકે તેવા એસ.પી સ્વામીના આક્ષેપો હતા. તેમજ મતગણતરી માટે કેલ્ક્યુલેટર લઈ જવા માટે માંગણી કરી હતી.


