વારંવાર ડિલિવરી લેનાર એકલ દોકલ ઇશાક સુધી નામ ખુલ્યા બાદ કેસનો વીંટલો કેમ વળી જાય છે ?
છેલ્લા એક દોઢ વરસથી સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે,આ ડ્રગ્સ કોણ મોકલે છે ? કોણ સ્વીકારનાર છે અને સમગ્ર ડ્રગ્સનો કારોબાર કઇ રીતે ચાલે છે તે શોધી કાઢવા રાજયસરકારનું તંત્ર વામણું સાબિત થયુ છે. જયારે જયારે સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે ત્યારે ત્યારે થોડા સમય માટે સનસનાટી સર્જાય છે.પોલીસ તંત્ર અને રાજયસરકાર ડ્રગ્સ ઝડપાય ત્યારે જાહેરાત કરી અને વાહવાહિ પણ મેળવે છે.પરંતુ ડ્રગ્સ દરિયાપારથી કોણ મોકલે છે અને ડ્રગ્સની ડિલીવરી લઇ તેનો ભારતમાં કારોબાર કોણ ચલાવે છે તેના મૂળ સુધી હજુ તંત્ર પહોંચી શકયુ નથી.
કેટલાક પાયાના સવાલ એ ઉભા થાય છે કે દરિયાપારથી આવતું ડ્રગ્સ આંતરાષ્ટ્રિય ડ્રગ્સ સિન્ડીકેટ મોકલતી હોય ત્યાં સુધી ગુજરાતનું ગૃહ મંત્રાલય પહોંચી શકતું ન હોય. ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ દરેક શીપમેન્ટ વિષે ઇનપુટ મેળવવામાં નિષ્ફળ જતી હોય. પરંતુ સૌરાષ્ટ્રના સાગરકાંઠેથી હોડકામાં અને બોટમાં ડ્રગ્સની હેરફેર થતી હોય તેમાં સ્થાનિક માણસોની સંડોવણી સિવાય આ કામ શકય નથી. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં તથા દેશમાં જે ડ્ર્ગ્સ નેટવર્ક ફેલાયુ છે. તેમાં કોઇ એક વ્યકિત ન હોય. પરંતુ આવા જોખમી અને આંતરરાષ્ટ્રિય ધંધામાં શોધી ન શકાય એટલી બધી વ્યકિતઓ પણ ન હોય. કોસ્ટગાર્ડ અને મરિન પોલીસની આ મામલે કામગીરી મહત્વની થઇ જાય. ત્યાર બાદ જમીન ઉપર આવેલી ગુપ્તચર એજન્સીઓની ક્ષમતા પણ કસોટીના એરણે ચઢે છે.
તાજેતરમાં વેરાવળ ખાતે જે નાટકિય રીતે 3પ૦ કરોડનું ડ્રગ્ઝ પકડાયુ તે અનેક સવાલ ખડા કરે છે. સૌ પ્રથમ તો આ ડ્રગ્સની લીડ વેરાવળ પોલીસને મળી હતી કે કુહાડા બંધુઓએ ડ્રગ્સ પકડી અને પોલીસને જાણ કરી હતી ? બીજુ ડ્રગ્ઝ મોકલનાર એકલ દોકલ વ્યકિત ન હોય. તેના મૂળ સુધી દેશન ટોચની એજન્સી પહોંચી શકી કે નહિ ? પહોંચી શકી તો ભવિષ્યમાં ડ્રગ્ઝ સૌરાષ્ટ્રના સાગરકાંઠા સુધી પહોંચે તે પહેલાં મધદરિયે જ કેમ ન ઝડપાય ? ડ્રગ્ઝની હેરાફેરીમાં સ્થાનિક કહેવાતાં માછીમારો અને દેશવિરોધી પ્રવૃતિ લોકો ઉપર સર્વલન્સ રાખવામાં આવે છે કે કેમ? જે રીતે કુહાડાબંધુઓની બોટનો ટંડેલ ડ્રગ્ઝના કારોબારમાં સંડોવાયો હતો એવા અન્ય માછીમારો કે દેશવિરોધી તત્વોને અલગ થલગ કરવામાં સ્થાનિક પોલીસ તંત્ર અને મરિન પોલીસ કેમ નિષ્ફળ ગઇ ?
સૌરાષ્ટ્રના સાગરકાંઠાનો ઇતિહાસ કલંકિત છે. ર૬-૧૧ના મુંબઇના હુમલામાં સૌરાષ્ટ્રના સાગરકાંઠાનો ઉપયોગ થયો હતો. મુંબઇ બોમ્બબ્લાસ્ટમાં સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠેથી આરડીએકસ ગયુ હતું. આ બન્ને કેસમાં સંગીન પુરાવાઓ હોવા છતાં સૌરાષ્ટ્રનો સાગરકાંઠો હજુ પણ ડ્રગ્સની હેરાફેરી માટે ડ્રગ્સ સિન્ડીકેટ ઉપયોગ કરી શકે છે તે સ્થાનિકથી માંડી રાજ્યના અને રાષ્ટ્રિય સુરક્ષા તંત્ર અને એજન્સીની નબળાઇ સુચિત કરે છે. યુધ્ધ રોજે રોજ લડવાના નથી હોતા.આવા સંજોગોમાં દરિયાઇ તમામ સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના દુષણ સામેનું યુધ્ધ લડવુ પડે તેવી સ્થીતિ છે. હવેના યુધ્ધ આર્થિક યુધ્ધ થઇ ગયા છે. ડ્ર્ગ્સનો વેપાર દેશમાં ફેલાવી ખાસ કરીને યુવા પેઢીને બરબાદીમાં ધકેલી દેશને નુકસાન કરવાની પણ એક સાજીસ ચાલે છે. આવા સંજોગોમા પોલીસ તપાસ એક ઇશાક કે એક ટંડેલ સુધી જ અટકી જાય એ વિચાર માંગતો સવાલ છે. કોઇ ઇશાકની ત્રેવડ ન હોય કે 3પ૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પોતાની આર્થિક તાકાત ઉપર મંગાવી શકે. તેમના આકાઓ સુધી પહોંચવાનો પડકાર તંત્ર સામે છે.