- AICTE એડમિશનની તારીખમાં વધારો કરતા યુનિવર્સિટી અને કોલેજો ભરાઈ પડી
- 9 થી 24 જાન્યુઆરી સુધી પરીક્ષાના કારણે બહારગામના વિદ્યાર્થી ઘેર જઈ શકશે નહીં
- તહેવાર મનાવે કે પરીક્ષાની તૈયારી કરે ? તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ સમક્ષ ખડો થયો છે
જીટીયુએ ઉત્તરાયણના તહેવાર વખતે જ પરીક્ષાનું આયોજન ગોઠવ્યું હોવાના કારણે આશરે 90 હજાર જેટલા વિદ્યાર્થીઓની ઉત્તરાયણ બગડી છે. ઉત્તરાયણના તહેવારમાં જ જીટીયુએ ડિગ્રી અને ડિપ્લોમાના સેમેસ્ટર-1 રેગ્યુલર, સેમેસ્ટર-2 રેમેડિયલ, સેમેસ્ટર-3 રેગ્યુલર, સેમેસ્ટર-4 રેમેડિયલની પરીક્ષા ગોઠવી છે. તેના કારણે ઉત્તરાયણમાં ઘેર જવા માગતા વિદ્યાર્થીઓ હેરાન થશે તે નક્કી છે. જો કે તેના માટે એઆઈસીટીઈ વધુ જવાબદાર છે. જીટીયુની પરીક્ષાનો 9મી જાન્યુઆરીથી આરંભ થાય છે અને 24મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. 14મીએ ઉત્તરાયણ અને 15મીએ વાસી ઉત્તરાયણમાં પરીક્ષા નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ ઉત્તરાયણની રજામાં ગામે ઘેર જવા માગે છે, પરિવાર સાથે તહેવાર મનાવવા માગે છે તેવા વિદ્યાર્થીઓ ઘેર જઈ શકશે નહીં. તહેવાર મનાવે કે પરીક્ષાની તૈયારી કરે ? તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ સમક્ષ ખડો થયો છે. ઉત્તરાયણમાં પણ બહારગામના વિદ્યાર્થીઓને પરિવાર સાથે રહેવા નહીં મળે તે હકીકત છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ એડમિશન પુરા કરવા દેશની તમામ કોલેજોને તાકીદ કરી હતી. પરંતુ બાદમાં ખુદ કાઉન્સિલે જ એડમિશન પુરા કરવાની તારીખ વધારીને 30મી ઓક્ટોબર કરી હતી. તેના કારણે દેશની તમામ ટેકનિકલ યુનિવર્સિટી અને કોલેજોએ પણ ટર્મ પાછળ લઈ જવાની જરૂર પડી હતી. હવે જો જીટીયુ સેમેસ્ટર-2ની પરીક્ષા જાન્યુઆરીમાં ગોઠવે નહીં તો આ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ટર્મ પુરી થાય તેમ નથી. ત્યારબાદ ચૂંટણી આવતા સ્ટાફ તેમાં રોકાઈ જશે. જો જાન્યુઆરીમાં પણ પરીક્ષા પાછળ ખેંચી જાય તો છેક ફેબ્રુઆરી મીડમાં નવી ટર્મ શરૂ થાય. પછી વિદ્યાર્થીઓને વાંચવાનો બ્રેક ક્યારે આપવો ? તે પ્રશ્ન પણ થતો હતો. આવા અનેક કારણોસર જીટીયુએ ઉત્તરાયણ વચ્ચે આવે તે રીતે પરીક્ષા ગોઠવી છે.


