ટોચના પદના અધિકારીઓ રાજીનામું આપવાનું કારણ પણ ન જણાવે એ નૈતિક અધ:પતન છે : આ કારણે ચૂંટણીની જાહેરાત પણ મોડી થઇ શકે છે
લોકસભા ચૂંટણી બારણે ટકોરા દઇ રહી છે ત્યારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક જ તેમના પદ ઉપરથી રાજીનામું ધરી દેતાં રાજકિય ભૂકંપ સર્જાયો છે. ચૂંટણી કમિશનર અનુપચંદ્ર પાંડે ગયા મહિને જ નિવૃત થયા છે. અરુણ ગોયલના આકસ્મિક રાજીનામાથી લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ મોડી જાહેર થઇ શકે છે.
ચૂંટણી પંચમાં હાલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર એક માત્ર સભ્ય છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત કરતાં પહેલાં બે ચૂંટણી કમિશનરોની નિમણૂંક કરવી પડશે. આ માટે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિ ૧પ માર્ચ પહેલાં ચૂંટણી સમિતિના બન્ને સભ્યોની નિમણૂંક કરી લેશે. મતલબ કે ચૂંટણીની જાહેરાત પણ મોડી થઇ શકે છે.
સવાલ એ નથી કે, ચૂંટણી કમિશનર તેમના પદ ઉપરથી રાજીનામું આપવું. પરંતુ જે સમયે તેમણે રાજીનામુ આપ્યુ એ સમય પણ મહત્વનો છે. ચૂંટણી કમિશનરને રાજીનામુ આપવાનો અધિકાર છે. પરંતુ તેમણે રાજીનામુ આપવાનું કારણ જણાવ્યુ નથી. આથી આખા દેશમાં સસ્પેન્સ ઉભો થયો છે. એક ટોચના અધિકારી દેશની ૧૪૦ કરોડની જનતાને સ્પર્શતા ચૂંટણી જેવા સંવેદનશીલ મામલાની મહત્વની વ્યકિત હોય ત્યારે અંગત કારણોસર રાજીનામુ આપી દયે તો તેમની લોકજવાબદારી અને નૈતિકતા સામે સવાલ થવા જોઇએ. લોકશાહિમાં નોકરશાહિએ હવે એવી પકકડ જમાવી દીધી છે કે તેને રાજકિય ઉપયોગ કરતાં પણ આવડી ગયો છે. અનેક અફસરો સમય જોઇ નોકરીની નાવ છોડી રાજકારણમાં કુદી પડે છે.
ચૂંટણી કમિશ્નર નિવૃત જજ,નિવૃત આઇએએસ વગેરે બાબતે કોઇ સવાલ ઉઠાવાતા નથી. આવી વણલખી આચારસંહિતા આવા ઉચ્ચ પદ બેઠેલા લોકોને લોકોથી પર થઇ કોઇ પણ નિર્ણય લેવા માટે વધુ સ્વતંત્રતા આપે છે. ચૂંટણી કમિશનર રાજીનામુ આપે આખા દેશમાં એ મુખ્ય સમાચાર બને છતાં તેના રાજીનામા પાછળ દેશ આખો અટકળ કરતો રહે તે કઇ વ્યવસ્થા. સામાન્ય સરકારી કર્મચારીને નોકરીમાં એક દિવસની રજા જોઇતી હોય તો તેમણે લીવ રિપોર્ટમા વેલીડ રિઝન આપવુ પડે છે. જે ચૂંટણી કમિશનર સમગ્ર ચૂંટણીની વ્યવસ્થા ગોઠવે છે તે વ્યવસ્થામાં કોઇ સરકારી કર્મચારી પોતાના ઘેર પ્રસંગ હોય કે કોઇ મેડિકલ રિઝન હોય તો ચૂંટણી ફરજમાં હાજર ન રહી શકે તો તેના પુરાવા આપવા પડે છે. તેમની સામે ગુનેગારો જેવી પૂછપરછ થાય છે. બ્લડ રિલેશનમાં લગ્ન હોય તો કંકોતરી પુરાવા સ્વરુપે રજૂ કરવી પડે છે. મેડિકલ રિઝન હોય તો ડોકટરના સર્ટિફિકે અને કેટલાંક કિસ્સમા સ્થાનિક અધિકારી વધુ કડક હોય તો સિવિલ સર્જનના એટલે કે સરકારી હોસ્પિટલના સર્ટિફિકેટ આપવાં પડે છે.
આમ સતાની ટોચે કોઇ પણ નિર્ણય લેવા માટે કોઇ પાબંદી નથી. કોઇ આચાર સંહિતા નથી. કોઇ સરકારી નિયમો લાગુ પડતાં નથી. આ અધિકારીઓ દેશ સેવા કરતાં હોય તેવો ઘાટ છે. પરંતુ જે તે જવાબદાર અધિકારીને સિસ્ટમે જ આ પાવર આપ્યો છે અને લોકશાહિના ભલા માટે આ સતા આપી છે એ ભૂલવુ ન જોઇએ. લોકશાહિમાં સનસનાટી અને સસ્પેન્સનું આ તત્વ અનપેક્ષિત છે. આજે દેશભરના માધ્યમમાં ચૂંટણી કમિશનર ગોયલનુ રાજીનામુ અટકળનું કારણ બન્યુ છે. વિપક્ષો તેને સતાપક્ષના દબાણનું કારણ ગણાવી આક્ષેપ કરે છે. સતાપક્ષ ક્ષોભમાં પડયો છે. પ્રજા સંશયમાં છે. કરોડો દેશવાસીઓની અટકળનું કારણ એક વ્યકિત એક હોદો બને એ પણ તંદુરસ્ત પ્રણાલી નથી. આપણી લોકશાહિના ચાર સ્થંભમાંથી વહિવટી સ્થંભને વધુ જવાબદેહી બનાવવો પડશે. ખાસ કરીને ટોચ ઉપર જે અફસરશાહિ છે તેને વધુ જવાબદેહી અને નૈતિક બંધનથી જોડવો પડશે. લોકશાહિની સંગીન બાબતો ઘણી છે.પણ સમગ્ર ચૂંટણી વ્યવસ્થાને વધુ વિશ્વસનિય વધુ પારદર્શક બનાવવી પડશે.