કોંગ્રેસ અને અન્ય વિપક્ષો લોકો સુધી આ મુદો કેટલી હદે લઇ જવામાં સફળ થાય છે તે જોવાનું રહયુ
ઇ.ડી.ના દરોડા પડયા અને સરકારે અબજો રૂપિયાના કામ જે કંપનીને આપ્યા તેમણે
ભાજપને પેટ ભરીને ચૂંટણી ફંડ આપ્યુ છે એ બાબત સ્થાપિત થાય છે
આ માટે ભાજપને મત ન આપવો એ વાત મતદારોને કઇ રીતે ગળે ઉતારવામાં આવે છે એ બાબત પડકારજનક
દેશની સુપ્રિમ કોર્ટે ઇલેકટરોલ બોન્ડની વિગતો જાહેર કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ જારી કર્યો અને ત્યાર બાદ આ વિગતો જાહેર થઇ ત્યાં સુધી જે રૂખ અખત્યાર કર્યો તે દેશની લોકશાહિ માટે ભવિષ્યમાં લેન્ડમાર્ક બની જવાનો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો પહેલાં જ સુપ્રિમ કોર્ટના આદેશ અને તેને પગલે ઇલેકટ્રોલ બોન્ડની જે વિગતો બહાર આવી છે તે માત્ર ખળભળાટ જગાવનારી નથી. પરંતુ મૃત:પ્રાય થઇ ગયેલી કોંગ્રેસ અને વિપક્ષો માટે સંજીવની સાબિત થાય તેમ છે. ઇલેકટ્રોલ બોન્ડમાં ભારતિય જનતા પાર્ટીને ૯પ ટકા ડોનેશન મળ્યુ છે. જયારે વિપક્ષોને પાંચ ટકા ડોનેશન મળ્યુ છે. જેમના હાથમાં સતા તેમના હાથમાં વધુ ફંડ એવુ તથ્ય બહાર આવ્યુ છે. ભાજપને ઇલેકટ્રોલ બોન્ડ બહાર પડયા ત્યારથી અત્યાર સુધીમા ૭૭૦૦ કરોડ રૂપિયાનું ફંડ મળ્યુ છે. બીજા નંબરે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ફંડ મળ્યુ છે. કારણ કે તેમની ત્યાં બીજી ટર્મથી સતા છે. દુધે ધોયેલા કોઇ નથી. સાઉથમાં સ્ટાલિનને વધુ ફંડ મળે છે. પરંતુ સાઇઝની વાત કરીએ તો ભાજપ કેન્દ્રમાં દસ વર્ષથી સતા ઉપર છે એટલે ભાજપને સૌથી વધુ ફંડ મળ્યુ છે.
ઇલેકટરોલ બોન્ડથી ફંડ મળવાથી શું વિરોધ થઇ શકે ? એવો સવાલ થાય. તો સૌ પ્રથમ કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે ઇ.ડી.અને ઇન્કમટેકસ દ્વારા જે કંપનીઓ ઉપર દરોડા પાડયા છે એ કંપનીએ મોટા ભાગના કિસ્સામાં માત્ર એક મહિનામા ભાજપને ઇલેકટોલ ફંડ આપ્યુ છે. કેટલીક સેલ (કાગળ ઉપરની) કંપનીએ તો તેની સાઇઝથી વધુ એટલે કે ૧3પ કરોડની માર્કેટ સાઇઝ ધરાવતી કંપનીએ પ૦૦ કરોડ કે તેનાથી વધુના ઇલેકટરોલ બોન્ડ ભાજપને આપ્યા છે. આ વિગતો પારદર્શક ન રાખી મોદી સરકાર શંકાના ઘેરામાં આવી છે. જો સુપ્રિમ કોર્ટનો આદેશ ન થયો હોત તો લોકશાહિ દેશમાં એસબીઆઇ કદી જ લાભાર્થીઓ અને ખરીદનારાના નામ પ્રજા સમક્ષ આપવા તૈયાર નહોતી.
કોંગ્રેસે તેના શસ્ત્રો સજાવ્યા છે તેમા ત્રણ બાબત મુખ્યત્વે છે. જે લોકશાહિ રાષ્ટ્ર માટે વિચારશીલ છે. હવે ભાજપ બિનલોકશાહિ ઢબે દેશ ચલાવે છે એવુ કહેવાથી મતદોર ભાજપને જાકારો આપશે કે કોંગ્રેસની સજજતા અંગે મતદારો વિચારશે તે જોવાનું રહયુ.
કોંગ્રેસના આક્ષેપ સહસબંધવાળા અને સંગીન છે. ભાજપે કંપનીઓને ધમકાવી ઇ.ડી. અને ઇન્કમટેકસની મદદથી સાત હજાર કરોડનું ફંડ મેળવ્યુ છે. ભાજપના રાજમાં અરૂણ જેટલીનું બ્રેઇન ચાઇલ્ડ ઇલેકટરોલ ફંડ ર૦૧૮માં અમલી બનાવ્યા. જેમાં લાભાર્થી એટલે કે રાજકિય પક્ષ એસબીઆઇ અને આપનાર પાર્ટી સિવાય સમગ્ર દેશને આ વિષે અંધારામાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા હતી. જે સુપ્રિમ કોર્ટે રદ કરાવી. ભાજપને સૌથી વધુ ફંડ મળ્યુ છે. વિપક્ષોને બિનલોકશાહિ ઢબે સાફ કરી દેવા તેમના મુખ્ય નેતાઓને ત્યાં દરોડા પાડવા,કંઇ ન મળે તો પણ જેલમાં પુરી દેવા,કાનુની ચુંગાલમાં ફસાવી દેવા વગેરે આક્ષેપ કોંગ્રેસ અને વિપક્ષોએ મોદી સરકાર ઉપર કર્યા છે. પરંતુ તેને હજુ જનસમર્થન નથી મળ્યુ. ભુતકાળમાં જયપ્રકાશ નારાયણ,અટલબિહારી વાજપેયેલ કે મોરારજી દેસાઇએ ઇન્દીરા ગાંધીકાળમાં મીસા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો ત્યારે દેશવાસીઓની સહાનુભૂતિનો જુવાળ જે તે સમયના વિપક્ષી નેતાઓ તરફ વળ્યો હતો. તેનો આજે અભાવ છે.
કદાચ કોંગ્રેસ અને વિપક્ષોનું મુસ્લીમ તુષ્ટીકરણ તેના આડેનું મોટુ સેન્ટીમેન્ટસ બની રહયુ છે. ભાજપ હિન્દુ લાગણીઓને જીતવામાં સફળ થયુ છે. અયોધ્યા રામમંદિરમાં કોંગ્રેસ અને વિપક્ષોએ જે રોડાં નાંખ્યા તેને કારણે બહુમતી લોકમત કોંગ્રેસ અને વિપક્ષથી વિમુખ થઇ ગયો છે. લોકમત કદી કાયમી નથી હોતો. જયારે જયારે મતદારોને તેમ લાગે કે તેમની સ્વતંત્રતા છિનવાય છે. તેમની પાયાની બાબતો અંગે સરકારમાં અસંવેદનશીલતા અને અસહિષ્ણુતા આવી ગઇ છે ત્યારે મતદારો વિપક્ષની ભૂમિકામાં આવી જાય છે. ગુજરાત સહિત હિન્દી બેલ્ટમાં કોંગ્રેસ કે વિપક્ષ કોઇ ચમત્કાર સર્જી શકે તેમ નથી. પરંતુ ઇલેકટરોલ બોન્ડનો મુદો સાચી રીતે વ્યાપક પણ પ્રજા સુધી લઇ જવામાં સફળ થશે તો વિપક્ષની સ્થીતિ સુધરશે. મોદી સરકારનું લોકસભાની બેઠકો ૪૦૦ને પાર મેળવવાનું સુત્ર છે એ થોડુ નબળુ પડી શકે છે.