ભારતની વિદેશ નીતિની અસરકારક સ્ટ્રેટેજી પણ અહીં કામ કરી ગઈ છે, કેમ કે મજબૂત દેશ હંમેશા પોતાના નાગરિકો વિદેશમાં ફસાઈ જાય ત્યારે વહારે આવતા હોય છે
મોટા, મજબૂત, મહાસત્તા અને ધનિક દેશો પોતાના નાગરિકો વિદેશમાં ફસાઈ જાય ત્યારે તેમને બચાવવા માટે ભરપુર પ્રયાસો કરે છે. તેમાં ક્યારેક દંભ પણ દેખાતો હોય છે, કેમ કે જે સિદ્ધાંતોની વાતો તેઓ કરતા હોય છે તેનાથી વિપરિત પોતાના નાગરિકોને બચાવી લેવા માટે ખાનગીમાં સોદાબાજી પણ કરી લેતા હોય છે. પણ એનું નામ જ ડિપ્લોમસી અને તેના દ્વારા દેશનું આંતરરાષ્ટ્રીય વજન કેટલું છે એ પણ નક્કી થતું હોય છે. નાગરિકોએ જે તે દેશમાં શું કર્યું તે ઘણી વાર ગૌણ બની જતું હોય છે, પણ ભારતના નાગરિક છે અને ભારતીય સરકાર રસ લઈ રહી છે ત્યારે તેની સાથેનો વ્યવહાર જરાક અલગ રીતે થાય તે વિદેશ નીતિનો હિસ્સો બની જતું હોય છે.
ભારતે પણ એ જ પદ્ધતિએ કામ કર્યું અને કતારમાં નેવીના ભૂતપૂર્વ આઠ અફસરોને ફાંસીની સજા કરી ત્યારે તેમને બચાવવા માટે ડિપ્લોમેટિક ચેનલને કામે લગાવી હતી. આ અફસરો કેવા સંજોગોમાં પકડાયા અને તેમની સામેના આક્ષેપો શું છે તે મુદ્દો બાજુએ રાખીને પણ ભારતીય નાગરિકો છે અને તેમને ન્યાય મળે તે માટેના પ્રયાસો થયા છે તે દુનિયાને દેખાડવાનું હતું. ભારતના અભિપ્રાયનું અને ભારતના વિદેશ મંત્રાલયનું કહેણ વજનદાર છે તે દેખાડવા માટેનો પણ આ એક પ્રયાસ હતો. એક તક પણ હતી અને વિદેશ નીતિની તાકાત દેખાડવા માટે આખરે આઠેય સામેની ફાંસીની સજા અટકાવવામાં આવી છે.
આગળ શું થશે તે ન્યાયિક પ્રણાલીનો ભાગ બનશે, પણ ફાંસી રોકવામાં આવી અને તે પણ આરબ દેશમાં તે અગત્યનું છે. ભારત સ્વતંત્ર રીતે પોતાની વિદેશ નીતિ ચલાવે છે અને ભારતની આજની જે તાકાત છે તેનો અહેસાસ પણ કરાવે છે તે અગત્યનું છે. દરેક દેશ આંતરરાષ્ટ્રીય ધોરણે આજ પદ્ધતિએ કામ કરવા માગતો હોય છે. બધા દેશો તે કરી શકતા નથી. તમારી પોતાની આર્થિક અને વ્યૂહાત્મક તાકાત તેમાં કામ આવતી હોય છે. લશ્કરી રીતે ભારતે એવું કોઈ પ્રદર્શન કર્યું નથી, પણ ભારતની આર્થિક તાકાત સાથે, વૈશ્વિક અભિગમ ઊભો કરવામાં તેનો અભિપ્રાય અને જરૂર પડે ત્યારે થોડી લશ્કરી તાકાત પણ કામ આવતી હોય છે. હાલના જ સમયમાં સુએઝ કેનાલ જવાના રસ્તે સોમાલી ચાંચિયાઓએ જહાજને કબજે કર્યું ત્યારે ભારતીય નૌકાદળે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. લાલ સમુદ્રમાં યમનના હૂતી બળવાખોરો ઇઝરાયલ વિરુદ્ધ કાર્યવાહીના નામે જહાજોને આંતરવાની કોશિશ કરવા લાગ્યા છે ત્યારે આ મેસેજ અગત્યનો હતો. ભારતના વેપારી જહાજોને એક પ્રકારે આનાથી રક્ષણ મળી શકે છે.
કતારના મામલામાં તેની સીધી નહીં, પણ આડકતરી અસર કરી શકાય. સમગ્ર રીતે ભારતીય વિદેશ મંત્રાલયે ડિપ્લોમેટિક ચેનલથી કામ શરૂ કર્યું હતું અને જાસૂસીના આરોપોમાં ફસાયેલા અધિકારીઓને બચાવવા માટે કોશિશ કરી હતી. નૌકા દળના ભૂતપૂર્વ અધિકારીઓ હતા અને એક ખાનગી કંપનીમાં સ્ટ્રેટેજિક કામ કરતા હતા તે પણ અગત્યનું હતું. સમગ્ર રીતે એક સ્ટ્રેટેજિક મૂવ થયો છે અને આગળ જે થાય તે…