રામલલ્લાની મૂર્તિ પસંદ થઈ ગઈ છે અને શિલ્પકાર યોગીરાજને પ્રહલાદ જોષી તથા યેદીયુરપ્પાએ વધાવી લીધા છે તેવા ફેક ન્યૂઝ પહેલી જાન્યુઆરીએ બહુ પ્રતિષ્ઠિત પ્રકાશનોની વેબ સાઇટ પર પણ પ્રગટ થયા, બોલો!
ફેક ન્યૂઝના અતિરેક સાથે ઈસૂના નવા વર્ષ 2024નો પ્રારંભ થયો છે. પ્રથમ જાન્યુઆરીએ દેશના અગ્રગણ્ય કહેવાય તેવા અખબારો, મેગેઝીન અને ટીવી ચેનલોની વેબસાઇટ પર એક ફેક ન્યૂઝ પ્રગટ થયા છે. તેમાં દાવો કરાયો કે રામલલ્લાની મૂર્તિ પસંદ થઈ ગઈ છે. તેનું બહુમાન કર્ણાટકના અરૂણ યોગીરાજને મળ્યું છે. અરૂણ યોગીરાજને અભિનંદન આપતો મેસેજ કેન્દ્રના પ્રધાન પ્રહલાદ જોષીના નામે વહેતો થયા. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાએ પણ પોતાના રાજ્યના શિલ્પકારની મૂર્તિ પસંદ થઈ તેની ખુશી વ્યક્ત કર્યાના નકલી સમાચારો પણ વહેતા થયા.
આ બધા જ સમાચારો સારા સારા પ્રકાશનોની વેબસાઇટ પર પણ પ્રગટ થયા તે નવા વર્ષનો ખતરનાક ટ્રેન્ડ દર્શાવે છે. આગામી વર્ષ ચૂંટણીનું વર્ષ છે ત્યારે કેવા કેવા નકલી સમાચારો, ફેક ન્યૂઝ, વાહિયાત વિવાદો આવવાના છે તેનું આ ટ્રેલર છે. પીટીઆઈએ યોગીરાજ સાથે મુલાકાત પણ કરી અને તેમણે ખુશી વ્યક્ત કરી તેવું પણ લખી નખાયું. આ પ્રતિષ્ઠિત ગણાતા અખબારોની વેબસાઇટમાં કામ કરનારાએ તપાસ પણ ના કરી કે પીટીઆઈએ આવા સમાચાર અને ઇન્ટરવ્યૂ આપ્યા છે કે કેમ. પ્રહલાદ જોષી કે યેદીયુરપ્પાના સોશ્યલ એકાઉન્ટ જોવાની પણ પરવા કરવામાં ના આવી. કદાચ 31 ડિસેમ્બરની અસર હશે અને ઓફિસમાં સાવ જૂનિયર લોકો જ કામ પર હશે!
એટલું જ નહીં, અયોધ્યમાં રામજન્મ ભૂમિલ ન્યાસના પ્રવક્તાને પણ કોઈએ પૂછ્યું નહીં. ‘અગ્ર ગુજરાતે’ ફેક્ટ ચેક કરીને પાકું કરી જ લીધું હતું કે આ ફેક ન્યૂઝ છે. પરંતુ સારા સારા પ્રકાશનોની વેબસાઇટ પર ન્યૂઝ હતા એટલે ડબલ નહીં, પણ પાંચ ગણી પરવા કરી હતી. અમે સત્તાવાર સૂત્રો સાથે વાત કરી અને પછી વિહિપના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલ સાથે પણ વાત કરી ત્યારે તેમણે પણ ચિંતા વ્યક્ત કરી કે તેમના પર ગઈ રાતથી આવા ફોન આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તમારા જેવા અખબારો ડબલ ચેક કરવાની કોશિશ કરે છે તે સારી વાત છે, કેમ કે આવા સમાચારો બહુ જગ્યાએ પ્રગટ થઈ ગયા છે. કેટલીક જગ્યાએ અમારા તરફથી અપાયેલી માહિતીનો ઉલ્લેખ પણ છે કે 17 જાન્યુઆરી પહેલાં રામલલ્લાની મૂર્તિના ફોટો કે વીડિયો પ્રગટ થવાના છે.
આવી વિગતો પણ લખાઈ છે, પણ તેની સાથે કોમનસેન્સ જોડીને કોઈએ એ જાણવા કોશિશ ના કરી કે 17 જાન્યુઆરી પહેલાં કેવી રીતે યોગીરાજની મૂર્તિઓ સાથેની તસવીર બહાર આવે. સોશ્યલ મીડિયા પર આલિયા, માલિયા અને જમાલીયા જામી પડ્યા છે અને થોડી હિટ્સ અને લાઇક્સ મળે તેમાંથી કમાણી કરી રહ્યા છે. પણ તેના કારણે સમાજને નુકસાન થઈ રહ્યું છે. ‘અગ્ર ગુજરાત’ જેવા સમાચારોની સત્યતા ચકાસીને, ખાતરી કરીને, વિનોદ બંસલ જેવા પ્રવક્તાઓ સાથે વાત કરીને પછી જ સમાચાર આપે છે. ત્યારે તેની પાછળ મહેનત, સમય અને ઉર્જા લાગે છે. ત્યારે સ્પર્ધા કરવી પડે છે ફાલતુ પ્રકારના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફૂટી નીકળ્યા છે તેની સામે. ‘અગ્ર ગુજરાત’ના સુજ્ઞ, સમજદાર, જાગૃત વાચકોને વિનંતી છે કે ફૂટકળિયા સોશ્યલ મીડિયાના એકાઉન્ટ્સને બિલકુલ જુઓ નહીં. તેના પર સમય ના વીતાવો, લાઇક્સ ના આપો અને અનસબસ્ક્રાઇબ કરી દો. તેની સામે ‘અગ્ર ગુજરાત’ જેવા આધારભૂત સમાચાર સ્રોત પર જ આધાર રાખો. તેના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ પર જ આધાર રાખો, જેથી નકલી સમાચારો, ફેક ન્યૂઝ સામે આપણે સંયુક્ત રીતે લડાઈ આપીને જાહેર જીવનને સ્વચ્છ રાખી શકીએ.