- મંત્રી પરસોતમ સોલંકીના નામે જમાવતો હતો રોફ
- ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું જણાવતો હતો
- 53 વર્ષીય આધેડની તાલુકા પોલીસે કરી ધરપકડ
રાજ્યમાં હવે ધારાસભ્યનો નકલી PA પણ માર્કેટમાં આવ્યો છે. જેમાં જૂનાગઢમાં ધારાસભ્યનો નકલી PA ઝડપાયો છે. મંત્રી પરસોતમ સોલંકીના નામે રોફ જમાવતો હતો. ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું જણાવતો હતો. તેમાં 53 વર્ષીય આધેડની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
કારમાં MLA GUJARAT લખી રોફ જમાવતો
કારમાં MLA GUJARAT લખી રોફ જમાવતો હતો. મેંદરડાના રાજેશ જાદવની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શખ્સ અને કાર ઝડપી તપાસ શરૂ કરી છે. ત્યારે અંગત મદદનીશ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા છે. જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવી લોકોને ફસાવતો હતો. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી હતી.
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો પીએ બોલું છું તેમ કહી ધમકી આપતો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે. જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ કે જેને પોલીસ મૂકવા આવે છે. તેમને વિનામૂલ્ય દાખલ કરવામાં આવે છે. આશ્રમના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાયો અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 116 પાગલ મહિલાઓ સાજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે. આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયાને એક અજાણ્યા નંબરમાંથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો પીએ બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો હતો.
પાગલ પુરુષને દાખલ કરવા માટેનું ખાસ દબાણ કર્યું
જેમાં કોઈ પાગલ પુરુષને દાખલ કરવા માટેનું ખાસ દબાણ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે મનસુખભાઈ તેમને વિનંતી કરી અને જવાબ આપ્યો કે આ આશ્રમમાં ફક્ત મહિલાઓને જ દાખલ કરવામાં આવે છે. પુરુષોને દાખલ કરવામાં નથી આવતા. છતાં પણ ડમી પીએ દ્વારા તેમને કડક ભાષામાં વાત કરવાનું ચાલુ રાખ્યું અને થોડીવાર પછી બીજો ફોન આવ્યો કે તમારી 11 લાખની ગ્રાન્ટ કેન્સલ કરાવી છે, ત્યારે મનસુખભાઈ એવું કહ્યું કે આ આશ્રમ દાતાઓના દાનથી ચાલે છે, અહીં ક્યારેય સરકારી ગ્રાન્ટ આવી નથી. આવા ધમકી ભર્યા અને કડક ભાષાના ફોનની ક્લિપ મનસુખભાઈ એ અમરેલી ખાતે પુરુષોત્તમ રૂપાલાના મદદ કાર્યાલયએ મંત્રી હિરેનભાઈ વાળાને મોકલી અને પોતાની હકીકત જણાવી હતી. જેના આધારે પુરુષોત્તમ રૂપાલાના કાર્યાલય મંત્રી હિરેનભાઈ વાળાએ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોબાઈલ લોકેશનને આધારે ડમી પી.એ.ને ઝડપી પાડ્યો
ફરિયાદને આધારે અને મોબાઈલ નંબરના લોકેશનને આધારે અમરેલી એલસીબીએ આ ડમી પી.એ.ને ઝડપી પાડ્યો અને હાલ સાવરકુંડલા પોલીસ આ શખ્સની આકરી પૂછપરછ કરી રહી છે. આ ડમી પી.એ. નું નામ છે ભાવેશ ગોયાણી, રહેવાસી પરવડી, તાલુકો ગારીયાધારનો છે. હાલ તો પોલીસ ડુપ્લિકેટ પીએ બનીને અન્ય કઈ જગ્યાએ આવું કાર્ય કર્યું છે. તેમજ તેની કાર્ય પદ્ધતિ બાબતે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે.


