- પીએમ અને સીએમ યોગી આદિત્યનાથ સહિત 10000 મહેમાનો આવશે
- અયોધ્યામાં 23 હજારથી વધુ જવાનો, પેરામિલીટ્રી ફોર્સ તૈનાત કરાઈ
- સીસીટીવી થી લઈને એઆઈ અને એન્ટી ડ્રોન સિસ્ટમથી સર્વેલન્સ કરાશે
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને સાત દિવસની પૂજાવિધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામનગરીમાં રામલલાના અભિષેક અને પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જેને લઈને દેશ-વિદેશથી દિગ્ગજ નેતાઓથી લઈને અનેક હસ્તીઓ અયોધ્યા આવવાની છે. જેની સુરક્ષાને પગલે ઉત્તરપ્રદેશ સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા સિક્યુરીટીને લઈને તૈયારીઓ કરી લીધી છે.
24 હજારથી વધુ જવાનો-અધિકારીઓ તૈનાત
અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પહેલાં રામનગરીમાં 24 હજારથી વધુ જવાનો અને અધિકારીઓ તૈનાત કરી દેવાયા છે. જેથી અયોધ્યા રામમંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલાં અયોધ્યામાં સુરક્ષાની દ્રષ્ટિએ અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. હજારો જવાનો, કમાન્ડો અને અધિકારીઓ 22મી સુધી ખડેપગે રહેશે. સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવાઈ છે.
10 હજાર આમંત્રિતો રામમંદિરમાં હાજર હશે
22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 10 હજાર જેટલા આમંત્રિતો રામ મંદિરમાં હાજર હશે. જેને લઈને તંત્ર માટે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટી પ્રાથમિકતા છે. આમંત્રિતોની સંખ્યા ખૂબ વિશાળ છે, જેને લઈને શહેરની સુરક્ષાની જાળવણી તેટલી જ પડકારજનક છે. આ જ કારણ છે કે, પ્રાણ પ્રતિષ્ઠાના એક સપ્તાહ પહેલાં જ અયોધ્યાને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાયું છે. તમે જ્યાં જોશો ત્યાં પોલીસ કર્મીઓ અને કમાન્ડો નજરે પડશે.
17 એસપી અને 230થી વધુ અધિકારીઓ તૈનાત
અયોધ્યાની સુરક્ષા માટે યુપી પોલીસના 13 હજારથી વધુ જવાનો, પેરામિલિટ્રીના 11 હજારથી વધુ જવાનો તેમજ યુપી ATS અને STFના કમાન્ડો તૈનાત કરાયા છે. વીઆઈપીની સુરક્ષા માટે 3 ડીઆઈડી અને 17 એસપી સાથે 230થી વધુ અધિકારીઓ તૈનાત છે… સરયુના કાંઠે NDRF અને SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આઈબી અને રૉના અધિકારીઓએ પણ અયોધ્યામાં ડેરા નાંખ્યા છે. જમીનથી લઈને આકાશ સુધી અને સરયૂ નદીના તટ પર પોલીસની બાજ નજર છે. અન્ય જિલ્લાની પોલીસને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવી છે.
મંદિરના 5 કિ.મી. વિસ્તારમાં ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરાશે
સમગ્ર અયોધ્યા અત્યારે સીસીટીવી કેમેરાના નેટવર્કના નિરીક્ષણમાં છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એન્ટી ડ્રોન સિસ્ટમ વડે સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવામાં આવી છે. ખાનગી ઈમારતો અને મકાનોમાં લગાવેલા 1500 જેટલા સીસીટીવી કેમેરાને પણ ITMS એટલે કે ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડી દેવાયા છે. યલો ઝોનમાં 10 હજાર સ્થળો પર સંદિગ્ધોની ઓળખ માટે AI આધારિત મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે, જે ITMS સાથે જોડાયેલી છે..12 એન્ટી ડ્રોન સિસ્ટમની મદદથી રેડ અને યલો ઝોનને સુરક્ષિત કરવામાં આવ્યા છે. ખાનગી ડ્રોન પર પ્રતિબંધ મૂકાયા છે. મંદિરની આસપાસ 5 કિલોમીટરના વિસ્તારમાં ઉડતા ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરી શકાય છે.


