સાતથી વધારે શ્રધ્ધાળુઓને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયા : મહેસાણાના નવા દેલવાડા નજીક અકસ્માત
અગ્ર ગુજરાત, બહુચરાજી
ચૈત્રી પૂનમના પાવન પર્વે માઁ બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડીરાત્રે એક બેફામ ટ્રકચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં બે માઈભક્તના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ અંગેની મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.
ગંભીર રીતે ઘાયલ થયેલા ઠાકોર હેતલબેન, ઠાકોર જુહાજી, વિક્રમ અમૃતજી ઠાકોર, મેહુલ જુહાજી ઠાકોર સહિતના સાત 7 પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે પાટણના ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
અકસ્માત બાદ ટ્રકચાલક મદદ કરવાને બદલે સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બંન્ને યુવકના મૃતહદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો સોંપવામાં આવ્યો છે. રોડ પર બીજા દિવસે પણ પણ લોહીના નીશાન જોવા મળી રહ્યાં છે. હાલમાં ટ્રક પણ સ્થળે પડેલી છે.


